- પાકિસ્તાનમાં આરોગ્ય મોરચે સતત વણસતી જતી પરિસ્થિતિ
- સરકારે ઉહાપોહ વધતા તપાસ માટે ટીમની રચના કરી
- હોસ્પિટલનો દાવોઃ મૃતદેહો જૂના છે અને મેડિકલ ઉપયોગમાં લેવાયેલા છે
- સીએમ સલાહકારે હોસ્પિટલની મુલાકાત લઈને બધા મૃતદેહોનો અગ્નિસંસ્કાર કરવા આદેશ આપ્યો
પાકિસ્તાનમાં આરોગ્ય મોરચે પરિસ્થિતિ કથળી રહી છે અને તેનો પુરાવો એવો મળ્યો છે કે મુલતાન શહેરની પંજાબ નિશ્તાર હોસ્પિટલની છત પરથી લગભગ 500 જેટલા મૃતદેહો મળતા સનસનાટી વ્યાપી ગઈ છે. કેટલાકનું કહેવું છે કે આ તો હજી એક જ હોસ્પિટલની વાત છે. જો આવી બીજી હોસ્પિટલોની ચકાસણી કરવામાં આવે તો આ આંકડો હજી પણ કેટલો મોટો નીકળી શકે છે. સરકારે વધેલા ઉહાપોહના પગલે છ સભ્યોની ટીમ તપાસ માટે રચી છે
આ હોસ્પિટલની છત પરથી મળેલા મૃતદેહોના આંતરિક અંગો ગાયબ છે. કેટલાય મૃતદેહોની છાતી ખુલ્લી છે અને તેમના હૃદય પણ કાઢી લેવામાં આવ્યા હોવાની શંકા છે. હોસ્પિટલ સત્તાવાળાઓનો દાવો છે કે છત પરથી મળેલા મૃતદેહો જૂના છે અને સડી ગયા છે. મુખ્યમંત્રીના સલાહકાર ચૌધરી જમાન ગુર્જરે હોસ્પિટલની મુલાકાત લીધી હતી. તેમણે કહ્યું હતું કે મૃતદેહોનો ઉપયોગ પહેલા કરાઈ ચૂક્યો છે અને મેડિકલ ઉપયોગ માટે હાડકા અને ખોપરીઓ કાઢવા તેમને છત પર મૂકવામાં આવ્યા હતા.
પાકિસ્તાનમા આરોગ્ય મોરચે સ્થિતિ આમ પણ ઘણી ખરાબ છે. પાકિસ્તાન હાલમાં એક મહિના કરતાં વધુ સમયથી પૂર સામે ઝઝૂમી રહ્યુ છે. તેના લીધે હુએ ચેતવણી આપી છે કે આગામી સમયમાં પાકિસ્તાનમાં મચ્છરજન્ય રોગો વધશે. તેના લીધે પાકિસ્તાને મેડિકલ સ્ટાફની અછતની સ્થિતિનો સામનો કરવો પડશે. આ ચેતવણી પછી પાકિસ્તાન સરકારે તાજેતરમાં ભારત પાસેથી 60 લાખ મચ્છરદાની ખરીદવા મંજૂરી આપી છે.
પાકિસ્તાનની આરોગ્યક્ષેત્રની સ્થિતિનો અંદાજો તે વાત પરથી લગાવી શકાય છે કે ત્યાં જીવનરક્ષક દવાઓ ઉપલબ્ધ નથી. કેન્સર, ટીબીની દવાઓ અને મલ્ટિ વિટામિન્સની ગોળીઓ માટે પાકિસ્તાન ભારત પર નિર્ભર છે.