બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ (Sheikh Hasina) ભારતમાંથી તેલની આયાત માટે આશા વ્યક્ત કરી છે. હકીકતમાં સૂચિત પાઇપલાઇન પ્રોજેક્ટ (Pipeline project) આવતા વર્ષ (2023) સુધીમાં પૂર્ણ થવાની સંભાવના છે. આ પાઈપલાઈન દ્વારા ભારતમાંથી ઓઈલ બાંગ્લાદેશ પહોંચશે. બાંગ્લાદેશના વડા પ્રધાને રવિવારે ઢાકામાં તેમના નિવાસસ્થાને આસામ વિધાનસભાના અધ્યક્ષ બિસ્વજીત દૈમરી સાથે મુલાકાત દરમિયાન આ આશા વ્યક્ત કરી હતી.
પૂર્વોત્તરના 32 ધારાસભ્યોની એક ટીમ બાંગ્લાદેશના પ્રવાસે છે, જેમાંથી સ્પીકરે ચાર સભ્યોના પ્રતિનિધિમંડળ સાથે રવિવારે બાંગ્લાદેશના વડા પ્રધાનને મળ્યા હતા. 130 કિમીની ભારત-બાંગ્લાદેશ ફ્રેન્ડશિપ પાઈપલાઈન (IBFPL) પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય પશ્ચિમ બંગાળના સિલિગુડી માર્કેટિંગ ટર્મિનલથી તેલ ઉત્પાદનોની આયાત કરવાનો છે.
1965ના યુદ્ધમાં બંધ માર્ગો ખોલાયા છે
બેઠક દરમિયાન હસીનાએ 1965ના યુદ્ધ દરમિયાન બંધ કરાયેલા માર્ગોનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે માહિતી આપી હતી કે હવે આ માર્ગો જુદા જુદા તબક્કામાં ખોલવામાં આવ્યા છે. પ્રધાનમંત્રીએ ભારતના પૂર્વોત્તર રાજ્યો અને પશ્ચિમ બંગાળના યોગદાન બદલ આભાર વ્યક્ત કર્યો હતો. જણાવી દઈએ કે વર્ષ 1971માં બાંગ્લાદેશના શરણાર્થીઓ અને સ્વતંત્રતા સેનાનીઓને ભારતના આ વિસ્તારોમાં રહેવા માટે જગ્યા મળી હતી.
પ્રાદેશિક સહયોગ પર ભાર મૂકતા વડાપ્રધાને કહ્યું કે નેપાળ, ભૂટાન અને ભારતના પૂર્વોત્તર રાજ્યો ચટગાંવ હવાઈ અને દરિયાઈ બંદરો સાથે સૈયદપુર એરપોર્ટનો ઉપયોગ કરી શકે છે. વિદેશ સચિવ હર્ષવર્ધન શૃંગલાએ ગયા વર્ષે ડિસેમ્બરમાં આ પાઇપલાઇન વિશે જણાવ્યું હતું. તેમણે આશા વ્યક્ત કરી કે 2022માં તેનું ઉદ્ઘાટન થવાની સંભાવના છે. વિદેશ સચિવે કહ્યું હતું કે ભારત-બાંગ્લાદેશ ફ્રેન્ડશિપ પાઇપલાઇન પર કામ સારી રીતે ચાલી રહ્યું છે. તેમણે એમ પણ કહ્યું કે આ પ્રોજેક્ટ બંને દેશોને તેમની ઊર્જા જરૂરિયાતોને એકીકૃત કરવામાં સક્ષમ બનાવશે.
346 કરોડ રૂપિયાના ખર્ચે વિકસાવવામાં આવી રહેલી આ પાઈપલાઈન પ્રોજેક્ટ ભારતના પશ્ચિમ બંગાળના સિલિગુડી અને બાંગ્લાદેશમાં દિનાજપુર જિલ્લાના પરબતીપુરને જોડશે. વાર્ષિક 10 લાખ મેટ્રિક ટનની ક્ષમતા ધરાવતી આ પાઈપલાઈનને વિદેશ સચિવે મહત્વપૂર્ણ અને નોંધપાત્ર ગણાવી હતી.
આ પણ વાંચો