SMRITI IRANIઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ નજીક આવી રહી છે તેમ દરેક પક્ષ પ્રજાને જુની-નવી વાતો યાદ કરાવીને પોતાની તરફ ખેંચવાના પ્રયાસમાં લાગી ગયા છે. તેમાં પણ ભાજપે તો પોતની આખે આખી સેના જ ગજરાતમાં ઉતારી દીધી છે. સુરતમાં જનમેદની સંબોધતા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને આમ આદમી પાર્ટી પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાને ઢોંગી ગણાવી દીધી છે. તો બીજી બાજુ તેમણે કટાક્ષ કરતા કહ્યું કે મુંબઈ આતંકી હુમલામાં સામેલ શખસના સંબંધીઓને રાહુલ ગાંધીએ આ યાત્રામાં જોડ્યા છે. આની સાથે કોંગ્રેસને દંભ બંધ કરવા પણ ટકોર કરી.
કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા કહ્યું કે અમે તેમને અમેઠીથી વિદાય આપી છે, તેઓ હજુ પણ દેશમાં ફરે છે. ભારત જોડો યાત્રા પર સવાલ ઉઠાવતા ઈરાનીએ કહ્યું કે તેમની યાત્રા દરમિયાન પાકિસ્તાન ઝિંદા બાદના નારા લાગ્યા છે. એટલુ જ નહીં સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસની ભારત જોડો યાત્રાને દંભી ગણાવી છે. ઈરાનીએ કહ્યું કે આ યાત્રામાં રાહુલ ગાંધી એવા લોકો સાથે પણ પગપાળા ચાલ્યા હતા જેમના સંબંધીઓએ ડેવિડ હેડલીને મદદ કરી હતી. આ એજ ડેવિડની વાત થાય છે જેની મુંબઈ આતંકી હુમલામાં સંડોવણી હતી. ગલવાન શહીદોનું અપમાન કરનારાઓને કોંગ્રેસે સમર્થન આપ્યું છે.
જયારે આમ આદમી પાર્ટી પર કટાક્ષ કરતા સ્મૃતિએ કેજરીવાલને રેવડીવાલ કહ્યા. ઇરાનીએ વધુમાં કહ્યું AAPના ગુંડાઓએ નરેન્દ્ર મોદીના માતાને અપશબ્દો બોલ્યા હોવાનો બદલો જનતા લેશે. સ્મૃતિ ઈરાની કોંગ્રેસને ઢોંગી અને આમ આદમી પાર્ટીને દારૂડિયાઓની પાર્ટી કહી હતી.
કેજરીવાલની ઝાટકણી કાઢતા ઇરાનીએ મહિલા સંમેલનને સંબોધતા કહ્યું કે, આમ આદમી પાર્ટીએ વારંવાર ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાની મજાક ઉડાવી છે. પરંતુ, અરવિંદ કેજરીવાલે છેલ્લા એક વર્ષથી તેમની વિધાનસભામાં એક પણ શાળા ખોલી નથી અને એક પણ દિવસ માટે તેમના મતવિસ્તારમાં ગયા નથી. અહીં આવીને કેજરીવાલ ધતિંગ કરી રહ્યા છે. કેજરીવાલે જમીન કૌભાંડમાં સામેલ મંત્રી સત્યેન્દ્ર જૈન વિશે કહ્યું કે તેઓ નિર્દોષ છે. જેલમાં બળાત્કારી પાસેથી સેવા લેનારા આ મંત્રી કેટલા નિર્દોષ છે? આવા અનેક સવાલ ઉઠાવી સ્મૃતિએ જનતાને ભાજપ તરફ આકર્ષવાના પ્રયાસ કર્યા છે.
જોવાનું એ રહ્યું કે સુરતમાં સ્મૃતિ ઇરાનીની સભા કેટલો રંગ લાવે છે.