કર્ણાટકના વરિષ્ઠ પત્રકાર ગૌરી લંકેશની હત્યાને એક મહિનાથી પણ વધુ સમય થયો હોવા છતાં કેસની તપાસ કરી રહેલા પોલીસની એસઆઈટીને આ કેસ અંગે હજુ સુધી કોઈ મહત્વનો સુરાગ હાથ નથી લાગ્યો. ત્યારે હવે પોલીસ દ્વારા આ કેસમાં ત્રણ શંકાસ્પદોના સ્કેચ રજૂ કર્યા છે. તેમજ આ કેસ અંગે લોકો પાસે પણ મદદ માંગી છે.
પોલીસ એસઆઇટી પ્રમુખ બી કે સિંહેં સ્કેચ રજૂ કર્યા બાદ જણાવ્યું કે, માહિતીના આધાર પર અમે આ સ્કેચ રજૂ કર્યા છે. અમે લોકો સાથે મળીને સહકાર માંગ્યો છે અને તેથી આ શંકાસ્પદોના આ સ્કેચ રજુ કરી રહ્યા છે. બીકે સિંહે વધુમાં કહ્યું કે, અમારા પાસે કેસની વિડિયો પણ છે, જે પણ રજુ કરવામાં આવ્યો છે.
મહત્વનું છે કે, ગત મહિનાના પહેલા અઠવાડિયામાં ગૌરી લંકેશની અજાણી હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી હતી. જો કે હજી સુધી આ કેસમાં કોઈ અપરાધીની ધરપકડ થઇ નથી. ગૌરી લંકેશ સાપ્તાહિક મેગેજીન ‘લંકશે મેટ્રિક’ ના સંપાદક હતા. આ સાથે સાથે તે અખબારમાં કૉલમ પણ લખતા હતા તેમજ ટીવી ન્યૂઝ ચેનલ ડિબેટ્સમાં પણ તે એક્ટીવીસ્ટ તરીકે સામેલ હતા.