ભરૂચઃ લોકસભાની ચૂંટણી પહેલા જ ગુજરાત BJPમાંથી એક પછી એક જૂથવાદના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ઊંઝા બાદ હવે ભરૂચ-નર્મદામાં ભાજપની જૂથબંધી સામે આવી છે. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ બળાપો કાઢ્યો કે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ મારાથી નારાજ છે.
શનિવારે કમલમ ખાતે નર્મદાની સેન્સ પ્રક્રિયા ચાલી રહી હતી. તે દરમિયાન ભરૂચના સાંસદ મનસુખ વસાવા સેન્સ પ્રક્રિયા છોડીને નીકળી ગયા હતા. જો કે આ સમગ્ર મુદ્દે હવે મનસુખ વસાવાના પ્રતિક્રિયા સામે આવી છે. મનસુખ વસાવાએ કહ્યું કે પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ તેમનાથી નારાજ છે. ભરૂચના સાંસદ મનસુખ વસાવાના આ નિવેદનથી પ્રદેશ ભાજપમાં ઉકળતા ચરું જેવી સ્થિતિ હોવાનું પણ સપાટી પર આવ્યું છે.
મનસુખ વસાવાએ કહ્યું કે, ભાજપના જ કેટલાક લોકો પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલને તેમના વિરુદ્ધ ગેરમાર્ગે દોરી રહ્યા છે. મનસુખ વસાવાએ આક્ષેપ કર્યા કે નાંદોદના ધારાસભ્ય દર્શના દેશમુખ, નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલ, ઝઘડિયા ધારાસભ્ય રિતેશ વસાવા અને ઝઘડિયા તાલુકા પંચાયત ઉપપ્રમુખ પ્રકાશ દેસાઈ મળીને પ્રદેશ અધ્યક્ષને તેમના વિરુદ્ધમાં ગેરમાર્ગે દોરે છે.
મનસુખ વસાવાએ એ સ્પષ્ટતા કરી કે પાર્ટી તરફથી તેમને ટિકિટ મળે કે ન મળે, તેઓ સાંસદ તરીકે રહે કે ન રહે પરંતુ સ્થાનિક પ્રશ્નોને તેઓ વાચા આપતા રહેશે. સાથે જ સરકારની ગ્રાન્ટનો દુરુપયોગ કરનારા અને સંગઠનને નુકસાન પહોંચાડનાર લોકોના શરણે નહીં થાઉ તેવો પણ તેમણે હુંકાર કર્યો છે.