ગુજરાતમાં દિપડાની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. સુરત શહેરમાં અકસ્માતમાં દિપડાનું મૃત્યુ થયાની ઘટના બની. દિપડાને મૃત થયેલ જોતા સ્થાનિકોએ વન વિભાગને જાણ કરી. સુરતમાં રવિવારે માલગાડીની ટક્કરથી દિપડાનું મોત થયું. સ્થાનિકોએ વન વિભાગને જાણ કરતા અધિકારીઓ સતર્ક થઈ ગયા છે. કારણ કે રહેણાંક વિસ્તારોમાં દિપડો દેખાવાની ઘટના વધતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો.
આ મામલે વન વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે રવિવારે સવારે 6 વાગ્યાની આસપાસ તેમને એક કોલ આવ્યો હતો. આ માહિતી મળતા જ દિપડો જ્યાં મૃત્યુ પામ્યો હતો તે સ્થાન પર ટીમ પંહોચી. ટીમ દ્વારા દિપડાની તપાસ કરવામાં આવી. જો કે દિપડાનું મોત થયું હોવાનું ટીમે જણાવ્યું. ત્યારબાદ દીપડાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. આ ઘટના સુરત શહેરના અમરોલી વિસ્તારમાં બની હતી. જો કે આ વિસ્તારમાં દીપડો જોવા મળવો દુર્લભ છે, પરંતુ કેટલીકવાર તેઓ દક્ષિણ ગુજરાતના જંગલોમાંથી રહેણાંક વિસ્તારોમાં આવી જાય છે. અધિકારીએ કહ્યું, “અમે આ વિસ્તારમાં તેમની હાજરી શોધવા માટે કેમેરા ઇન્સ્ટોલ કરવાનો નિર્ણય લીધો છે.”
નોંધનીય છે કે છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં દીપડાની વસ્તીમાં વધારો જોવા મળ્યો છે. આ સાથે અકસ્માતોમાં દિપડા મૃત્યુ પામતા હોવાની ઘટનાઓ પણ વધી છે. ગત વર્ષે પોરબંદર જિલ્લાના મોચા ગામે રોડ અકસ્માતમાં દિપડાનું મોત થયુ હતું. જ્યારે બે મહિના પહેલા નવસારી જિલ્લાના હાઈવે પર વહેલી સવારે ટ્રક સાથે ટક્કર થતા 8 વર્ષના દિપડાનું ઘટના સ્થળે મોત નિપજયું હતું. તો ભરૂચમાં પણ ગોવાલી રોડ પર અકસ્માતમાં દીપડાનું મોત નિપજયુ હતુ.
તાજેતરની ગણતરી મુજબ, 2023માં દીપડાઓની સંખ્યા 2,274 નોંધાઈ હતી, જે 2016ના 1,395ના આંકડા કરતાં 63 ટકા વધુ છે. ગુજરાતમાં રહેણાંક વિસ્તારોમાં દિપડા વધુ દેખાઈ રહ્યા છે. સારો ખોરાક મળવાના કારણે જંગલ વિસ્તાર કરતા આ જિલ્લામાં દીપડાઓની સંખ્યા વધી છે. આ સાથે અકસ્માતમાં દિપડાઓ મૃત્યુ પામતા હોવાની ઘટનાઓ વધતા તંત્ર સહિત વનવિભાગ પણ ચિંતિત બન્યું છે.