પાકિસ્તાન પર ઈરાને એરસ્ટ્રાઈક કરતાં વિશ્વભરમાં ખળભળાટ મચી ગયો છે. ઈરાને મંગળવારે રાત્રે પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં સુન્ની આતંકવાદી સંગઠન ‘જૈશ-અલ-અદલ’ના અડ્ડાઓ પર મિસાઈલ અને ડ્રોન વડે હુમલો કર્યો હતો. આ માહિતી ઈરાનની સરકારી સમાચાર એજન્સી એ આપી છે. ખાસ વાત એ છે કે માહિતી આપ્યાના થોડા સમય બાદ ન્યૂઝ એજન્સીએ આ સમાચાર પોતાના પોર્ટલ પરથી હટાવી દીધા હતા. ઉલ્લેખનીય છે કે ભારતના વિદેશમંત્રી એસ. જયશંકર સોમ-મંગળવારે ઈરાનમાં જ હતા. તેમની મુલાકાત બાદ તરત ઈરાને પાકિસ્તાન પર હુમલો કર્યો છે એટલે આ મુદ્દો પણ વૈશ્વિર સ્તરે ચર્ચામાં આવી ગયો છે.
ત્યારે પાકિસ્તાની વિદેશ મંત્રાલયના એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, આ બોમ્બ વિસ્ફોટો સશસ્ત્ર જૂથ જૈશ અલ-અદલ ને લક્ષ્યમાં રાખીને કરવામાં આવ્યા હતા, જેમાં બે બાળકોના મોત થયા હતા, જ્યારે ત્રણથી વધુ ઘાયલ થયા હતા. મંત્રાલયે કહ્યું કે તે આ ઘટનાની “સખત નિંદા” કરે છે, તેને પાકિસ્તાની સાર્વભૌમત્વનું ઉલ્લંઘન ગણાવ્યું હતું અને ઈરાનને “ગંભીર પરિણામો” ની ચેતવણી પણ આપી હતી.
બીજી તરફ, ઈરાને માગણી કરી છે કે પાકિસ્તાન જૈશ અલ-અદલ, એક સુન્ની સશસ્ત્ર જૂથ, જેણે ઈરાની અધિકારીઓને નિશાન બનાવ્યું છે તેનાં વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી છે, જે દેશના સૌથી ગરીબ પ્રાંત સિસ્તાન-બલુચેસ્તાનમાં લોકો માટે વધુ સારી જીવનશૈલીની માંગ કરે છે. ઇસ્લામાબાદ સ્થિત તબાદલાબ થિંક ટેન્કના મોશર્રફ ઝૈદીએ જણાવ્યું હતું કે, પાકિસ્તાની પ્રદેશની અંદર ઈરાનનો હુમલો, એવા સમયે આવી રહ્યો છે જ્યારે ગાઝા પર ઇઝરાયેલનું યુદ્ધ આ ક્ષેત્રમાં ફેલાવાની ધમકી આપી રહ્યું છે, તે પરિપક્વ પ્રતિસાદને પાત્ર છે. ઈરાને તાજેતરમાં સીરિયા અને ઈરાકની અંદર પણ હુમલા કર્યા છે.
તો આ મામલે વોશિંગ્ટન, ડી.સી સ્થિત ન્યુ લાઇન્સ ઇન્સ્ટિટ્યુટ ફોર સ્ટ્રેટેજી એન્ડ પોલિસીના વરિષ્ઠ નિર્દેશક કામરાન બોખારીએ જણાવ્યું હતું કે પાકિસ્તાન તેના પોતાના હુમલાઓનો જવાબ આપી શકે છે – જો કે તેનો અર્થ પાકિસ્તાન માટે સંભવિત રીતે લાંબા ગાળાના સંઘર્ષ હોઈ શકે છે, વધુમાં તેમણે કહ્યું કે -” પાકિસ્તાન પશ્ચિમમાં અફઘાનિસ્તાન અને પૂર્વમાં ભારત પછી, આ ત્રીજી સરહદ પર સંઘર્ષ શરૂ કરી શકે છે. મને ખાતરી નથી કે ઈસ્લામાબાદ તેના માટે તૈયાર છે કે કેમ, ”
ત્યારે પાકિસ્તાને પોતાનો વિરોધ નોંધાવવા ઈરાનના ટોચના રાજદ્વારીને ઈસ્લામાબાદમાં બોલાવ્યા છે. સુરક્ષા વિશ્લેષક, ઇહસાનુલ્લા ટીપુએ જણાવ્યું હતું કે તેઓ અપેક્ષા રાખે છે કે પાકિસ્તાન રાજદ્વારી પ્રતિક્રિયા બંને પર કામ કરશે અને લશ્કરી પ્રતિક્રિયા માટે સંભવિત વિકલ્પો પર ધ્યાન આપશે. પાકિસ્તાનને વળતો પ્રહાર કરવા માટે, ન્યાય અને દબાણ બંને હાજર છે. તે ઉચ્ચ ઈરાની અધિકારીઓ પાસેથી રાજદ્વારી ચેનલો દ્વારા જાહેર માફી માંગી શકે છે, પરંતુ જો તે પ્રયાસો નિષ્ફળ જાય તો, પાકિસ્તાન પણ ઈરાની હુમલા માટે લશ્કરી પ્રતિસાદ પર વિચાર કરી શકે છે. ટીપુએ ઉમેર્યું કે, “પાકિસ્તાનની અંદર હુમલા કરીને, તેણે પાકિસ્તાન વિરોધી આતંકવાદી સંગઠનોના અભયારણ્યોને નિશાન બનાવવાના જવાબમાં તે જ માર્ગને અનુસરવાનું એક પ્રકારનું સમર્થન આપ્યું છે, જેને પાકિસ્તાન માને છે કે તે ઈરાનમાં અથવા તો અન્યત્ર સ્થિત છે.”
આપને જણાવી દઈએ કે 2015માં પાકિસ્તાન અને ઈરાન વચ્ચેના સંબંધો ખરાબ થઈ ગયા હતા. ત્યારપછી પાકિસ્તાનથી ઈરાની વિસ્તારમાં ઘૂસેલા સુન્ની આતંકવાદીઓ સાથેની અથડામણમાં આઠ ઈરાની સૈનિકો માર્યા ગયા હતા. આ આતંકીઓ પણ જૈશ અલ અદાલના હતા. ત્યારે ઈરાન સરકારે કહ્યું હતું કે- અમારી સરહદ પર તૈનાત સૈનિકોની પાકિસ્તાનથી ઘૂસેલા આતંકવાદીઓ સાથે અથડામણ થઈ હતી. અમારા આઠ જવાનો શહીદ થયા. અમે ચોક્કસપણે આ મામલે વળતી કાર્યવાહી કરીશું. પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં સુન્નીઓની વસ્તી વધુ છે અને તેના આતંકવાદીઓ શિયા દેશ ઈરાનના સૈનિકો પર વારંવાર હુમલા કરે છે. જેના કારણે પાકિસ્તાન-ઈરાન બોર્ડર પર તણાવની સ્થિતિ છે.
ઈરાને 2021માં પણ પાકિસ્તાનમાં સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી, ઈરાની સેનાના કમાન્ડો 2 ફેબ્રુઆરી 2021ની રાત્રે પાકિસ્તાનમાં ઘૂસી ગયા હતા અને સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી. વાસ્તવમાં જૈશ-અલ-અદલે ઈરાનના બે સૈનિકોનું અપહરણ કર્યું હતું. તેમને બચાવવા માટે કમાન્ડોએ ઓપરેશન હાથ ધર્યું હતું. ઈરાને આ કાર્યવાહી અંગે પાકિસ્તાની સેનાને કોઈ આગોતરી માહિતી આપી ન હતી. 3 ફેબ્રુઆરીના રોજ, ઈરાની સૈનિકોએ તેમના મિશનને સફળ જાહેર કર્યું અને તેમના સાથીઓને બચાવવાની માહિતી આપી હતી.
તો જૈશ અલ-અદલે ફેબ્રુઆરી 2019માં આ જ વિસ્તારમાં ઈરાની સૈનિકોની બસ પર પણ હુમલો કર્યો હતો. આ હુમલામાં ઘણા ઈરાની સૈનિકો માર્યા ગયા અને ડઝનબંધ ઘાયલ થયા હતા. ઓક્ટોબર 2018માં આ આતંકી સંગઠને 14 ઈરાની સૈનિકોનું અપહરણ કર્યું હતું. આ ઘટના ઈરાનના સિસ્તાન-બલુચિસ્તાન પ્રાંતની મિર્ઝાવેહ બોર્ડર પર થઈ હતી. જેમાંથી 5 સૈનિકોને એક મહિના બાદ મુક્ત કરવામાં આવ્યા હતા. કહેવાય છે કે બાદમાં એક ગુપ્ત ઓપરેશનમાં ઈરાની કમાન્ડોએ ન માત્ર આ જવાનોને બચાવ્યા પરંતુ જૈશ અલ-અદલના ઘણા આતંકવાદીઓને પણ માર્યા. પાકિસ્તાનમાં ઈરાનના રાજદૂતે પણ આ વાતની પુષ્ટિ કરી હતી.
તો ઈઝરાયેલ-હમાસ અને રશિયા-યુક્રેનને કારણે જિયોપોલિટિક્સ ઝડપથી બદલાઈ રહ્યું છે. યમનના હુતી વિદ્રોહીઓ અને લેબનોનનું આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહ તેનો ફાયદો ઉઠાવી રહ્યા છે. ખાસ વાત એ છે કે આ બંને સંગઠનોને ઈરાનની કઠપૂતળી માનવામાં આવે છે. હુતી વિદ્રોહીઓ રાતા સમુદ્રમાં વિશ્વના તમામ દેશોના માલવાહક જહાજોને નિશાન બનાવી રહ્યા છે. આ જિયોપોલિટિક્સમાં ભારતના હિતોને ધ્યાનમાં રાખીને, વિદેશ પ્રધાન એસ જયશંકર સોમવાર અને મંગળવારે ઈરાનના પ્રવાસે હતા. દરમિયાન, એક મીડિયા આઉટલેટે અહેવાલ આપ્યો કે હુથી બળવાખોરો ફક્ત પશ્ચિમી દેશોના માલવાહક જહાજોને નિશાન બનાવી રહ્યા છે અને ભારત તેમનું સીધુ લક્ષ્ય નથી.
ત્યારે હવે સવાલ એ થાય કે આ હુમલાનું કારણ શું છે? ઈરાન શિયા બહુમતી ધરાવતો દેશ છે, જ્યારે પાકિસ્તાનમાં લગભગ 95% લોકો સુન્ની છે. પાકિસ્તાનના સુન્ની સંગઠનો ઈરાનનો વિરોધ કરી રહ્યા છે. આ સિવાય બલૂચિસ્તાનનું જૈશ-અલ-અદલ આતંકવાદી સંગઠન ઈરાનની સરહદમાં ઘૂસીને ત્યાંની સેના પર અનેકવાર હુમલા કરી રહ્યું છે. ઈરાનની સેનાને રિવોલ્યુશનરી ગાર્ડ કહેવામાં આવે છે. ઈરાન સરકાર આતંકવાદી સંગઠનોને અંકુશમાં લેવા પાકિસ્તાનને ઘણી વખત ચેતવણી પણ આપી ચૂકી છે.
જૈશ અલ-અદલના મોટાભાગના આતંકવાદીઓ અન્ય પાકિસ્તાની આતંકવાદી સંગઠનોમાંથી આવ્યા છે. ઈઝરાયલ-હમાસ યુદ્ધમાં ઈરાન ખુલ્લેઆમ હમાસનું સમર્થન કરી રહ્યું છે અને પાકિસ્તાન પણ આ મામલે હમાસનું સમર્થન કરી રહ્યું છે. ઈરાને સોમવારે પણ ઈરાક પર હુમલો કર્યો હતો. ત્યારે તેણે કહ્યું હતું કે ઈઝરાયેલની જાસૂસી સંસ્થા મોસાદનું ઈરાકમાં હેડક્વાર્ટર છે અને તેને નિશાન બનાવવામાં આવ્યું છે. ઈરાકે ઈરાનના રાજદૂતને બોલાવીને તેને પોતાના દેશ પર હુમલો ગણાવ્યો હતો. બાદમાં ઈરાકી સેનાએ કહ્યું કે આ હુમલાનો યોગ્ય સમયે જવાબ આપવામાં આવશે.
