હરિયાણા : ઇઝરાયેલ અને હમાસ વચ્ચેનું યુદ્ધ હજુ પણ બંધ થયું નથી. યુદ્ધ સ્થિતિના કારણે ઇઝરાયેલમાં વિવિધ ક્ષેત્રમાં કામદારોની મોટી અછત સર્જાઈ છે. આ સમસ્યા દૂર કરવા થોડા સમય પહેલા ઇઝરાયેલ દ્વારા ભારત પાસે મદદ માંગવામાં આવી હતી. ભારતે મિત્રની જરૂરિયાત જોતા વર્કર્સની ભરતીની શરૂઆત કરી. હાલમાં હરિયાણામાં બાંધકામ ક્ષેત્રમાં કામ કરતા 10,000 લોકોની ભરતીની શરૂઆત ગઈ છે. ઇઝરાયેલમાં ત્રણ મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે. છતાં કામદારો ત્યાં જવા માંગે છે. એક કામદારે આ મામલે જવાબ આપતા જણાવ્યું કે ‘નસીબમાં જે લખ્યું હશે તે થશે, અહીં ભૂખે મરવા કરતાં ઇઝરાયલમાં કામ કરવું વધુ સારું’. ભારતીય કામદારો ઇઝરાયેલમાં જીવનું જોખમ હોવા છતાં બેરોજગાર સ્થિતિના કારણે ત્યાં જવું પસંદ કરી રહ્યા છે.

શા માટે કામદારો જાય છે ઇઝરાયલ
ભારતીય કામદારો ઇઝરાયેલ જવા પાછળનું મુખ્ય કારણ વધુ સારો પગાર મળતો હોવાનું જણાવે છે. કેટલાક કામદારોએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે અમારી કુશળતા હોવા છતાં અંહી અમને ઓછો પગાર મળે છે. જ્યારે ઇઝરાયેલમાં તમામ સુવિધા સાથે સારા ઉચ્ચ પગારની ઓફર મળી રહી છે. આથી જ અમે ઇઝરાયલ જવા માંગીએ છીએ. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે ત્યાં યુદ્ધ અને પાકિસ્તાન જેવા દેશ દ્વારા હુમલા કરવામાં આવે છે તો તમારી સુરક્ષાને લઈને પરિવારની ચિંતા વધશે. તેના જવાબમાં એક કામદારે જણાવ્યું કે અમારી સુરક્ષાની જવાબદારી ઇઝરાયેલ સરકાર અને ભારત સરકાર પોતે લઈ રહી છે. તેમજ અંહીયા પણ અકસ્માત કે હાર્ટએટેક જેવી સ્થિતિના કારણે ગમે ત્યારે શું થઈ શકે તેનું કંઈ કહી શકાય નહી. જો અમારું નસીબ ઇઝરાયેલ લઈ જતું હોય તો ત્યાં જવામાં અમને વાંધો નથી. દેશમાં બેરોજગાર રહેવું એના કરતાં વિદેશમાં નોકરી સાથે મરી જવું વધુ સારું છે.

કામદારોની ભરતી
ઇઝરાયેલમાં બાંધકામ કામદારોની જરૂરિયાત ઉદભવતા ભારતીય સરકાર તરફથી કામદારોની ભરતી કરવામાં આવી રહી છે. જેમાં રાજસ્થાન, હરિયાણા અને બિહારના લોકો વધુને વધુ અરજી કરી રહ્યા છે. કામદારોએ સરકારની રોજગારી માટેની ભરતી માટે રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ તેમને રિક્રુટમેન્ટ માટે બોલાવવામાં આવ્યા હતા. હરિયાણામાં મહર્ષિ દયાનંદ યુનિવર્સિટી રોહતક ખાતે આ ભરતી પ્રકિર્યા શરૂ કરવામાં આવી હતી. અરજી કરેલ ઉમેદવારાના તમામ ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને સ્કિલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં કામદારોનું કડિયાકામ, પ્લમ્બિંગ કામ તેમજ દિવાલ ચણવા અથવા પ્લાસ્ટર કરવા જેવા કામના પણ ટેસ્ટ કરાયા હતા. કામદારોના આ ટેસ્ટ કરાયા બાદ પરફોર્મન્સના આધારે તેમની ભરતી કરવામાં આવે છે.

કામદારોની જરૂરિયાત ઉદભવી
નોંધનીય છે કે ગાઝા યુદ્ધના કારણે ઇઝરાયેલમાં ખેતી, કન્સ્ટ્રકશન અને હેલ્થકેર જેવા ક્ષેત્રમાં કામદારોની અછત સર્જાઈ છે. ઇઝરાયેલમાં આ ક્ષેત્રમાં જે કામદારો હતા તે પેલેસ્ટાઈનથી આવતા હતા. યુદ્ધના કારણે ઇઝરાયેલે પેલેસ્ટાઈનના લોકોની વર્ક પરમિટ કેન્સલ કરતા કામદારોની સમસ્યા વધુ વિકટ બની હતી. મોટાભાગના યુવાનો સૈન્ય સાથે જોડાયેલા છે ત્યારે ઇઝરાયેલમાં પ્રાથમિક જરૂરિયાત એવા ખેતી અને બાંધકામ ક્ષેત્રમાં કામદારોની અછત સર્જાતા ભારત પાસે મદદ માંગતા ભારતમાંથી અંદાજે 90,000થી વધુ કામદારોની આયાત કરશે. ઇઝરાયેલમાં બાંધકામ ક્ષેત્રે પ્લાસ્ટર કરવા, લોખંડ બાંધવા, કટિંગ અને ફિટિંગ, લાકડાની પેનલનું કામ કરનાર માણસોની જરૂરિયાત ઉદભવી છે. ભારતે ઇઝરાયેલ માટે શરૂ કરેલ ભરત્તી પ્રક્રિયા કોઈ ભલામણ નહિ પરંતુ પારદર્શક રીતે કરવામાં આવી છે. તેમાં પસંદગી પામેલા ઉમેદવારોને એક યુનિક નંબર આપવામાં આવ્યો છે. કામદારોને ભારત કરતાં ઇઝરાયલમાં ઉચ્ચ પગારની ઓફર થતા હરિયાણા, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશ રાજ્યોના વધુને વધુ કામદારો જીવનું જોખમ હોવા છતાં ઇઝરાયેલ જવા ઇચ્છે છે.
આ પણ વાંચો: ‘નાસ્તાનો સ્ટોલ ચલાવનારો બોટ ચલાવે તો દુર્ઘટના ન થાય તો શું થાય!’
આ પણ વાંચો:
આ પણ વાંચો:
