ક્રિકેટ જગતમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેના જંગની બન્ને દેશોના ક્રિકેટપ્રેમીઓ ખૂબ જ આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે. પરંતુ વર્ષ ૨૦૧૮માં યોજાનાર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપ અને આઈસીસી વન-ડે લીગમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ યોજાય તેવી કોઈ શક્યતાઓ જોવા મળી રહી નથી. આઈસીસી દ્વારા ક્રિકેટના બે નવા ફોર્મેટ જાહેર કર્યા બાદ ક્રિકેટ રસીકોને એવી આશા હતી કે હવે ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટના મેદાનમાં ઝડપથી જંગ જોવા મળશે. પરંતુ તાજેતરમાં આઈસીસી દ્વારા જાહેર કરાયેલ કાર્યક્રમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈપણ મેચનુ આયોજન રાખવામાં આવ્યુ નથી. આ ઉપરાંત બન્ને દેશો વચ્ચે દ્વિપક્ષીય શ્રેણીના આયોજનને પણ ભારત તરફથી રોક લગાવી દેવામાં આવી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લે ચેમ્પિયન્સ ટ્રોફીમાં વન-ડે મેચ રમાઈ હતી. ત્યારબાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈપણ મેચનુ આયોજન થઈ શક્યુ નથી. બન્ને દેશો વચ્ચેના સંબંધોને ધ્યાનમાં રાખી આઈસીસીએ પણ આ મામલે દરમિયાનગીરી કરવાનુ ટાળ્યુ છે.
ટેસ્ટમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે લાંબા સમયથી કોઈપણ સીરીઝ યોજાઈ નથી. ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્ષ ૨૦૨૨ સુધીમાં ૬ દ્વિપક્ષીય સીરીઝ રમવાનો કરાર કરવામાં આવ્યો હતો. પરંતુ બન્ને દેશો વચ્ચે વણસેલા સંબંધોને લઈ આ સીરીઝ પર પણ ખતરો મંડરાયો હતો.