એક મચ્છર આદમી કો ‘હીજડા’ બના દેતા હૈ, બોલિવૂડ સ્ટાર નાના પાટેકરની ફિલ્મ યશવંતનો આ મશહૂર સંવાદ આજે પણ લોકપ્રિય છે. દરેક ભારતીયને જ્યારે પણ મચ્છર ડંખે ત્યારે આ સંવાદ તો અચૂક યાદ આવે છે. જો કે તેનું કારણ સામાન્ય છે, મચ્છર ડંખે એટલે વ્યક્તિ મચ્છર મારવા માટે તાળીઓ પાડતો થઈ જાય છે તે સંદર્ભમાં આ વાત કહેવાઈ છે. પણ મચ્છરોને લઈને ચોમાસામાં આપણે મહાભારત સર્જાતું પણ જોઈ શકીએ છીએ. આ સમયે મચ્છરોના વધેલા ત્રાસને લઈને આપણે મચ્છરોને તો કશું કરી શકતા નથી, પરંતુ તંત્રને બરોબરના અપશબ્દો કહીએ છીએ.
મચ્છર કેટલીય ગંભીર બીમારીઓને જન્મ આપે છે. તેના ડંખનો ભોગ બનનારી વ્યક્તિઓ જુદાં-જુદાં પ્રકારના રોગનો ભોગ બનતાં હોય છે. મચ્છર કેટલીય ગંભીર બીમારીના વાહક પણ માનવામાં આવે છે. દર વર્ષે વિશ્વમાં હજારો લોકો મચ્છરોના લીધે મોતને પણ ભેટે છે. કેટલાય દેશોએ તો મચ્છરોથી છૂટકારો મેળવવા માટે ખાસ અભિયાન પણ ચલાવવા પડે છે. અહીં સાફસફાઈ પર ખાસ ધ્યાન આપવામાં આવે છે. મચ્છરો ઇંડા મૂકીને પ્રજનનમાં વૃદ્ધિ ન કરે તે માટે કેટલાય સ્થળોએ ખાસ ધ્યાન રખાય છે કે પાણી જમા ન થાય.
જો કે કેટલાક લોકોને મચ્છરો સતત ડંખતા હોય છે અને કેટલાકને તો તે કશું કરતાં નથી તેની પાછળ પણ કેટલાક પરિબળ જવાબદાર છે. માણસોને મચ્છરની ખબર તેના ગણ-ગણ કરવાથી કે ડંખ મારવાથી પડે છે. પણ મચ્છરોને માણસની ખબર માનવી દ્વારા છોડવામાં આવતા કાર્બન ડાયોકસાઇડ પરથી પડે છે. તે માનવીનો અતોપત્તો તેના દ્વારા છોડવામાં આવેલા કાર્બન ડાયોકસાઇડના આધારે 10થી 50 મીટરના અંતરેથી લગાવી લે છે.
લગભગ પાંચથી 15 મિનિટના અંતરેથી તો મચ્છરોને માણસો દેખાવવા લાગે છે. તે માનવીની નજીક પહોંચવા માટે પોતાની વિઝ્યુઅલ સ્કીલ્સનો ઉપયોગ કરે છે. તેના પછી તે વ્યક્તિના શરીરની એકદમ નજીક પહોંચી જાય છે ત્યારે વ્યક્તિના શરીરની ગરમી પરથી તે નિર્ણય કરે છે કે તેને ડંખ મારવો કે નહીં. અહીં સવાલ એ છે કે કોઈ વ્યક્તિને મચ્છર કેમ સતત ડંખતા રહે છે અને કોઈને કેમ જરા પણ ડંખતા નથી. તેનો જવાબ એ છે કે જો કોઈ વ્યક્તિના શરીરની અંદરથી સતત લેક્ટિક એસિડ કેમિકલ વધારે પ્રમાણમાં નીકળતું હોય તેને મચ્છર વધારે ડંખે છે. કેટલાય વૈજ્ઞાનિક પરીક્ષણો પછી આ વાતને ખબર પડી છે કે જે વ્યક્તિનું બ્લડ ગ્રુપ ‘O’ હોય છે તેને મચ્છર વધુ પ્રમાણમાં નિશાન બનાવે છે.
ફક્ત એટલું જ નહીં વ્યક્તિનું શારીરિક માળખુ અને તેની પ્રવૃત્તિમય રહેવાની ક્ષમતા જોઈને પણ મચ્છરો તેને ડંખવા પ્રેરાય છે. આમ જે લોકો સ્થૂળ છે અને શારીરિક પ્રવૃત્તિ ઓછી કરે છે તેને મચ્છર વધારે પ્રમાણમાં ડંખ મારે છે. આ બતાવે છે કે મચ્છરોથી બચવું હોય તો સ્થૂળ લોકો અને ઓછી શારીરિક પ્રવૃત્તિ કરતાં હોય તેવા લોકોએ પોતાની ફિઝિકલ એક્ટિવિટી વધારવી જોઈએ. આમ થશે તો મચ્છર તેમને ડંખ મારવાનું ઓછું કરશે અથવા નહીં મારે.
હવે પછી જો મચ્છર તમને વારંવાર ડંખ મારતા હોય તો ઉપર દર્શાવેલા કારણોને યાદ કરી લેજો. તમને આપમેળે તેનો જવાબ મળી જશે અને આ બધાનો ઇલાજ પણ દર્શાવી દીધો છે કે જો તમારી શારીરિક પ્રવૃત્તિ વધારે હશે તો જ તમે આ તકલીફમાંથી છૂટકારો મેળવી શકશો, નહીંતર મચ્છરો તમારા પર મંડરાવવાનું ચાલુ રાખશે અને તમે બીજા કરતાં વધારે પ્રમાણમાં મચ્છરોના આક્રમણનો ભોગ બનશો.
આ પણ વાંચો: મારી પત્ની લેસ્બિયનઃ કાલુપુર સ્વામિનારાયણ મંદિરના ભાવિ ગાદીપતિના આક્ષેપથી ખળભળાટ
આ પણ વાંચો: રાજ્યમાં મોટાપાયા પર લગ્ન નોંધણી કૌભાંડનો ગોપાલ ઇટાલિયાનો આક્ષેપ
આ પણ વાંચો: IPS કેડરમાં પણ હવે સ્ત્રીશક્તિ પર મૂકાતો ભાર
