Tapi News : રાજ્યના કેબિનેટ કક્ષાના કૃષિ અને ખેડૂત કલ્યાણ, સહકાર, પશુપાલન, ગૌ સંવર્ધન અને મત્સ્ય ઉદ્યોગ મંત્રી જીતુભાઈ વાઘાણી તાપી જિલ્લામાં વ્યારા તાલુકાના ખોડતલાવ ગામે ભારે કમોસમી વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોના મુલાકાતે પહોંચ્યા હતા. તેમની સાથે રાજ્યના કેબિનેટ કક્ષાના આદિજાતિ વિકાસ મંત્રી તેમજ તાપી પ્રભારી મંત્રી નરેશભાઈ પટેલ તથા રાજ્ય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી રમેશભાઈ કટારા પણ જોડાયા હતા.
ઓક્ટોબર મહિનાના છેલ્લાં અઠવાડિયામાં સમગ્ર ગુજરાતમાં પડેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોના ઉભા તથા કાપણી કરેલા પાકને નુકસાન થયું હતું. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મંત્રીઓએ વ્યારા તાલુકાના ખોડતળાવ ગામની મુલાકાત લઇ ખેડૂતો સાથે સંવાદ સાધ્યો તથા તેમની વેદના અને પડકારો વિશે પરામર્શ કરી વિગતવાર માહિતી મેળવી હતી.

આ તકે કૃષિ અને ખેડૂત કલ્યાણના કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીએ ખેડૂતોને આશ્વાસન આપતા જણાવ્યું હતું કે રાજ્ય સરકાર સકારાત્મક અભિગમ સાથે ખેડૂતોની પડખે ઉભી છે. સમગ્ર રાજ્યમાં પંચ રોજકામ સર્વે કામગીરી ખૂબ ઝડપથી ચાલુ છે. ટૂંક સમયમાં જ સરકારને અહેવાલ રજુ કરી ખેડૂત ફરી બેઠો થાય તેવો સરકારનો સંનિષ્ઠ પ્રયાસ છે. સરકાર ટૂંક સમયમાં ખેડૂતોના હિતમાં નિર્ણય લઇ રાહત પેકેજ જાહેર કરશે. જેના માટે જિલ્લા કક્ષાએથી ગામે ગામ પંચ રોજકામ સર્વે કામગીરી પૂર્ણતાને આરે છે.
ખેડૂત સાથે રૂબરૂ મુલાકાતમાં કેબિનેટ આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પેટેલ જણાવ્યું કે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક સર્વેક્ષણ શરૂ કરવામાં આવ્યું છે. આપ સૌ ચિંતા ના કરો, સરકાર આપના સહયોગમાં ઉભી છે. દરેક પાત્રતા ધરાવતા ખેડૂતને સમયસર અને યોગ્ય સહાય પહોંચે તે માટે તમામ પ્રકારે ઝડપી કાર્યવાહી કરવામાં આવી રહી છે.

આ પ્રસંગે ખેડૂતોએ પણ સરકારનો આભાર વ્યકત કરતા જણાવ્યું જે કમોસમી ભારે વરસાદથી અમને મોટું નુકસાન થયું છે, પરંતુ મંત્રીઓ જાતે અમારા ગામમાં આવી અમારી વચ્ચે રહી અને નુકસાનીને નિહાળી. અમારી વાત ધ્યાનથી સાંભળીને ત્વરિત સહાયની કામગીરી શરૂ થાય તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
આ પણ વાંચો:આગામી 48 કલાક સૌરાષ્ટ્ર પર ભારેઃ અંબાલાલ પટેલની આગાહી
આ પણ વાંચો:હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની આગાહી
આ પણ વાંચો:રાજ્યમાં આ વર્ષે વધુ ઠંડી પડવાની શક્યતા : હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી
