Jamnagar News : જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નાનીવાવડી ગામમાં તસ્કરો ત્રાટકયા હતા, અને ધોળે દહાડે એક ખેડૂતના માત્ર એક કલાક પૂરતા બંધ રહેલા મકાનને નિશાન બનાવી લઈ અંદરથી ૪૭ તોલા સોનું અને ૮૦૦ ગ્રામ ચાંદી તેમજ એક લાખ ૬૦ હજારની રોકડ રકમ સાહિત્ય ૭ લાખ ૩૦ હજારની માલમતા ચોરી કરી લઈ ગયા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાતાં ભારે ચકચાર જાગી છે. પોલીસ તંત્ર સમગ્ર મામલે તપાસ ચલાવે છે.
કાલાવડ તાલુકાના નાનીવાવડી ગામમાં રહેતા અને ખેતી કામ કરતા મનસુખભાઈ પરસોત્તમભાઈ સાંગાણી નામના 60 વર્ષના ખેડૂત ગત નવમી તારીખે બપોરે દોઢ વાગ્યે પોતાના મકાનને તાળું મારીને પોતાની વાડીએ ગયા હતા. ત્યાંથી એક કલાક બાદ પરત ફરતાં તેમના મકાનના દરવાજાના નકુચા અને તાળા તૂટેલા જોવા મળ્યા હતા. તેમજ તિજોરીમાં રાખેલી રૂપિયા 1.60 લાખની રોકડ રકમ ગાયબ થઈ ગઈ હતી. ઉપરાંત સોનાના અલગ અલગ 26 જેટલા દાગીના કે જેનું વજન 403 ગ્રામ થાય છે તેની જુના દાગીના તરીકે પોલીસે ગણતરી કરતા સાડા પાંચ લાખ રૂપિયા થાય છે, જ્યારે 800 ગ્રામ ચાંદીના ઘરેણા ચોરાઈ ગયા હતા, જેની અંદાજે 20 હજાર રૂપિયા થાય છે. જે મળી કુલ 7.30 લાખની માલમતા ની તસ્કરો ચોરી કરી લઈ ગયા હતા.
![]()
ઉપરોક્ત ચોરીના બનાવ અંગે મનસુખભાઈ સાંગાણીએ કાલાવડ ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવતાં કાલાવડ ટાઉન ના પોલીસ બનાવના સ્થળે પહોંચી ગયા અને ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી હતી. જો કે ગામમાં બે સ્થળે સીસીટીવી કેમેરા જોવા મળ્યા પરંતુ તેમાં કોઈ અવરજવર દેખાઈ ન હતી. પોલીસ દ્વારા કોઈ ચોક્કસ ગેંગનું આ કારસ્તાન હોવાનું અનુમાન લગાવી તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે, અને ગુન્હા શોધક સ્વાન તેમજ ફોરેન્સિક નિષ્ણાંતની મદદ લેવાઈ રહી છે.
![]()
કબાટમાં અન્ય સ્થળે રાખેલું 17 તોલા સોનુ હાથ ન લાગતાં બચી ગયું
મકાનમાલિક મનસુખભાઈ સાંગાણી ના ઘરમાં કબાટમાં હજુ અન્ય સ્થળે 17 તોલા સોનાના દાગીના રાખવામાં આવ્યા હતા, પરંતુ તે દાગીના ઉપર તસ્કર ગેંગ ની નજર પડી ન હતી, અને તેનો બચાવ થયો હતો.
તસ્કર ટોળકીએ નાની વાવડી ગામમાં અન્ય 2 મકાનોને પણ નિશાન બનાવ્યા
નાની વાવડી ગામમાં 9 મી તારીખે ધોળે દિવસે ચોર ટોળકી ત્રાટકી હતી, અને ગામના પાદરમાં જ રહેતા મનજીભાઈ જીવરાજભાઈ પટેલના મકાનને સૌપ્રથમ નિશાન બનાવ્યું હતું, અને ચોરીનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે મકાનમાંથી કશું હાથ લાગ્યું ન હતું. ત્યારબાદ તેની પાછળની શેરીમાં રહેતા ગોવિંદભાઈ પ્રેમજીભાઈ ગોંડલીયાના મકાનને પણ તસ્કરોએ નિશાન બનાવ્યું હતું, પરંતુ ત્યાંથી પણ કશું હાથ લાગ્યું ન હતું. ત્યારબાદ તસ્કરોએ મનસુખભાઈ સાંગાણીના ઘરને નિશાન બનાવતાં મોટી રકમો અને સોનાના ઘરેણાં હાથ લાગ્યા હતા, ચોર ચોરી કરીને ભાગી છુટ્યા છે. ચોરની પોલીસે તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: જામનગરનાં લાલપુરમાં ખનીજ ચોરી મામલે મામલતદારની કાર્યવાહી
આ પણ વાંચો: જામનગર સહિત સૌરાષ્ટ્રમાં ઘરફોડ ચોરીમાં આંતક મચાવતી ગેંગના ૩ શખ્સોને ઝડપી પાડતી જામનગર LCB
આ પણ વાંચો: જામનગરમાં પરિવારને બંધક બનાવી તસ્કરોનો ચોરીનો પ્રયાસ
