દિલ્હીમાં કાલકાજી મંદિરમાં એક કાર્યક્રમ દરમ્યાન મોટી દુર્ઘટના બનવા પામી. આ દુર્ઘટનામાં 1 વ્યક્તિનું મૃત્યુ થયું છે જ્યારે 17થી વધુ લોકો ગંભીરપણે ઘાયલ થયા છે. કાલકાજી મંદિરમાં શનિવારે મધ્યરાત્રિએ સિંગર બ્રિ પ્રાકનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ દરમ્યાન સ્ટેજ તૂટી ભયંકર દુર્ઘટના બનવા પામી. જેમાં અનેક લોકોને ઇજા પંહોચી. આ ઘટનાને લઈને પોલીસે માહિતી આપતા જણાવ્યું કે કાર્યક્રમ દરમ્યાન ગંભીર દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. જેમાં એક મહિલાને હોસ્પિટલ લઈ જવામાં આવી જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. આ મહિલાની ઉંમર 45 વર્ષ જણાવવામાં આવી રહી છે સાથે હાલમાં મહિલાની ઓળખ માટેના પ્રયાસો ચાલુ છે. જ્યારે ઘાયલ લોકોને AIIMS ટ્રોમા સેન્ટર, સફદરજંગ હોસ્પિટલ અને MAX હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ફ્રેક્ચર સહિત કેટલાકની હાલત હવે સ્થિર છે.
‘જાગરણ’ કાર્યક્રમમાં સર્જાઈ દુર્ઘટના
ઉત્તર ભારતમાં માતાજીના મંદિરોમાં ‘જાગરણ’ અથવા ‘જગરાતા’નો કાર્યક્રમ યોજાતો હોય છે. આવો જ એક કાર્યક્રમ દિલ્હીના કાલકાજી મંદિરમાં મહંત પરિસરમાં શનિવારની મધ્ય રાત્રિએ યોજાયો હતો. કાલકાજી મંદિરમાં ‘જાગરણ’ નિમિત્તે શનિવારે ભારતીય ગાયક અને સંગીત નિર્માતા બી પ્રાકનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. દરમ્યાન ‘જાગરણ’કાર્યક્રમમાં સિંગર પરફોર્મન્સ આપી રહ્યા હતા ત્યારે અનેક લોકો ઉત્સાહિત થઈ સ્ટેજ પર ચઢી ગયા હતા. વધુ પડતા વજનના કારણે લાકડાનું બનેલ સ્ટેજ અચાનક તૂટી પડ્યું અને પરિણામે અનેક લોકોને ઇજા પંહોચી. ઘટનાની જાણ થતા તાત્કાલિક પોલીસ ઘટના સ્થળ પર પંહોચી કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસ : આયોજકોએ નહોતી માંગી મંજૂરી
દક્ષિણપૂર્વ દિલ્હીના ડીસીપી રાજેશ દેવેના જણાવ્યા મુજબ આયોજકો દ્વારા કાર્યક્રમમાં યોજવા માટે કોઈ મંજૂરી માંગવામાં આવી નહોતી. જો કે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે મંદિર પરિસરમાં પૂરતા પ્રમાણમાં પોલીસ દળો તૈનાત કરવામાં આવ્યા હતા. જાગરણ કાર્યક્રમમાં શનિવારે મધ્યરાત્રિએ લગભગ 1,500 થી 1,600 લોકો એકઠા થયા હતા. કાલકાજી મંદિરમાં 26 વર્ષોથી જાગરણનું આયોજન કરવામાં આવતું હોય છે. આ વર્ષે આયોજકો દ્વારા વધુ લોકોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. આયોજકો અને વીઆઈપીના પરિવારોની બેઠક વ્યવસ્થા માટે મંદિરની અંદર મુખ્ય સ્ટેજની નજીક એક એલિવેટેડ પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું હતું. પ્લેટફોર્મ લાકડા અને લોખંડની ફ્રેમ વડે બનાવવામાં આવ્યું હતું. સિંગર બ્રી પ્રાકના પરફોર્મન્સ વખતે વધુ લોકો સ્ટેજ પર પંહોચી જતા દુર્ઘટના બનવા પામી. ઘટનાને પગલે પ્લેટફોર્મની નીચે બેઠેલા કેટલાક શ્રદ્ધાળુઓ ઘાયલ થયા હતા. આ દુર્ઘટનાને લઈને ઈવેન્ટના આયોજકો સામે ઈન્ડિયન પીનલ કોડ (આઈપીસી) હેઠળ કલમ 337, 304A, 188 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
સિંગર બ્રી પ્રાકે દુર્ઘટનાને લઈને શોક વ્યક્ત કર્યો
કાલકાજી મંદિરમાં જાગરણ કાર્યક્રમમાં પરફોર્મ કરી રહેલા સિંગર બી પ્રાકે આ દુર્ઘટનાને લઈને શોક વ્યક્ત કર્યો હતો. ગાયક બ્રી પ્રાકે વીડિયો સંદેશમાં જણાવ્યું હતું કે, “મેં પહેલીવાર મારી આંખો સમક્ષ આવું કંઈક બનતું જોયું છે, અને હું તેનાથી ખૂબ જ દુઃખી છું. જ્યારે હું કાલકાજી મંદિરમાં ગીત ગાતો હતો ત્યારે જે બન્યું તે અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે. હું આશા રાખું છું કે જેઓ ઘાયલ થયા છે તેઓ ઝડપથી સ્વસ્થ થઈ જશે.” સાથે ઇવેન્ટ આયોજકો આ મામલે આડકતરી રીતે જવાબદાર હોવાનું જણાવ્યું. બી પ્રાકે ઇવેન્ટ આયોજકોને લઈને જણાવ્યું હતું કે ”આવી ઇવેન્ટ્સમાં મેનેજમેન્ટ નિર્ણાયક ભૂમિકા ભજવે છે. મારી દરેક ઇવેન્ટમાં સત્તાવાળાઓને વિનંતી છે કે આવા કાર્યક્રમોમાં વ્યવસ્થા અને વ્યવસ્થા જાળવવી જરૂરી છે. આપણે બાળકો અને વૃદ્ધોની કાળજી લેવી જ જોઇએ, તમામ જીવન અત્યંત મહત્વ ધરાવે છે”.
ચેતવણી રૂપ કિસ્સા
આજકાલ આ પ્રકારની ઘટનાઓ વધી રહી છે. મંદિરોમાં ભીડ, દર્શન કરવામાં ભીડ, બજારમાં ભીડ, ટ્રેનોમાં ભીડ, રજાઓ અને તહેવારોમાં રસ્તા પર ચક્કાજામ ભીડ. ગુજરાતમાં મોરબી પુલ દુર્ઘટનામાં પણ ક્ષમતા કરતા વધુ ભીડના કારણે પુલ તૂટી પડ્યો. વડોદરાના હરણી બોટ તળાવમાં પણ લાઈફ જેકેટ સુવિધા વગર બોટમાં ક્ષમતા કરતા વધુ બાળકોને બેસાડતા દુર્ઘટના બનવા પામી. આ તમામ કિસ્સાઓ આયોજકો અને સામાન્ય જનતા માટે પણ ચેતવણી રૂપ છે. તંત્ર સાથે લોકોએ પણ જાગૃત બની જાહેર કાર્યક્રમોમાં શિસ્તતા તેમજ નિયમોનું પાલન કરવું જોઈએ.
આ પણ વાંચો:UP-Seat Deal/યુપીમાં સપા-કોંગ્રેસ વચ્ચે ડીલ ફાઇનલ, કોંગ્રેસ 11 બેઠક પર લડશે
આ પણ વાંચો:Ayodhya Aastha Special Trains/રામ ભક્તોને રેલવેની ભેટ, દેશના ખૂણે-ખૂણેથી દોડશે અયોધ્યા સુધી આસ્થા સ્પેશિયલ ટ્રેન