ગુજરાતમાં એક પછી એક સતત અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. જેના પગલે અનેકો માસૂમ લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. ત્યારે વધુ એક માર્ગ અકસ્માતમાં એક આધેડને પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. અંકલેશ્વરમાં ઝાડ નીતે આરામ કરી રહેલા આધેડ પર લકઝરી બસ ફરી વળતા તેઓનું ઘટના સ્થળે મોત થયું હતું,
આ મામલે મળતી માહિતી અનુસાર, અંકલેશ્વરના જીતાલી ગામમાં આવેલ ટોકરી ફળિયામાં રહેતા 45 વર્ષીય આધેડ રમેશ જાલમભાઈ વસાવા એક લીંમડાના વૃક્ષ નીચે આરામ કરી રહ્યા હતા. તે વેળા લકઝરી બસના ચાલકે પુરપાટ ઝડપે બસ હંકારી ઝાડ નીચે આરામ કરી રહેલા વૃદ્ધને અડફેટે લીધા હતા. જેથી તેઓનું ઘટના સ્થળે જ મોત થયું હતું.
આ બનાવને લઈ લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને મૃતકને પીએમ માટે મોકલી અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.