@સાગર સંઘાણી
ખંભાળિયાઃ લોકોની સુગમતા માટે બનાવવામાં આવેલા રસ્તા જ્યારે બેફામપણાના લીધે બીજા માટે મોતનો માર્ગ બની જાય છે. જામનગર અને ખંભાળિયા હાઇવે જાણે મોતનો માર્ગ બની ગયો છે. જામનગર-ખંભાળિયા હાઇવે પર કારચાલકે રસ્તો ક્રોસ કરતી માતા અને દીકરીને હડફેટે લેતા બંનેના મોત નીપજ્યા છે. બંને ભરાણા ગામના રહેવાસી હતા. અકસ્માતના લીધે બંનેના ઘટનાસ્થળે મોત થયા છે.
ખંભાળિયા તાલુકાના ભરાણા ગામે રહેતા હિનાબા જાડેજા નામના ૩૨ વર્ષના મહિલા તેમની ૯ વર્ષની પુત્રી કૃપાબા જાડેજાને લઈને કચ્છ ખાતે લગ્ન પ્રસંગમાં ગયા હતા. લગ્ન વિધિ પૂર્ણ થયા બાદ તેઓ ગઈકાલે ત્યાંથી નીકળ્યા હતા અને આજરોજ સવારે અહીં પરત ફર્યા હતા.
આજે સવારે આશરે ૫:૩૦ વાગ્યે તેઓ ખંભાળિયા – જામનગર હાઈવે પર આવેલા કજૂરડા ગામના પાટીયા પાસે વાહનમાંથી ઉતરી અને ભરાણા ખાતે પોતાના ઘરે જવા માટે નીકળ્યા હતા, ત્યારે અહીં રોડ ક્રોસ કરતી વખતે જામનગર તરફથી આવી રહેલી એક મોટરકારની અડફેટે આ માતા પુત્રી આવી જતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં હિનાબા તથા તેમના પુત્રી કૃપાબાને અહીંની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ આ માતા-પુત્રીને મૃત જાહેર કર્યા હતા. માતાપુત્રીના મોતના લીધે સમગ્ર ગામમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે. ખંભાળિયાના ભરાણા ગામના રાજપુત પરિવારના માતા-પુત્રી લગ્ન પ્રસંગમાંથી પરત આવતા બનેલા આ કરુણ બનાવે રાજપૂત સમાજ સાથે સમગ્ર ખંભાળિયા પંથકમાં ભારે શોક સાથે અરેરાટી પ્રસરાવી છે
રાજ્યમાં બનતી અકસ્માતની જીવલેણ ઘટનાઓ દર્શાવે છે કે વાહનચાલકો કેવા બેફામ છે. આ અકસ્માત સર્જનારાઓ તો તેમની ભૂલ થઈ અને વીમો આપી છૂટી જશે, પરંતુ જેના કુટુંબીઓએ જીવનનો આધાર ગુમાવ્યો તેમનું શું થશે. વાસ્તવમાં દરેક અકસ્માત સર્જનાર વાહન ચાલકના માથા પર તેના લીધે જેનું મોત થયું હોય તેના કુટુંબની આખી જવાબદારી કાયમ માટે સુપ્રદ કરવામાં આવે ત્યારે જ આ સમસ્યાનો ઉકેલ આવશે. બે-ચાર લાખ રૂપિયાના વળતરમાં કોઈનું દળદર નહીં ફીટે. જ્યાં સુધી અકસ્માત સર્જનારના માથા પર તેના લીધે મૃત્યુ પામનારના કુટુંબની સમગ્ર જવાબદારી નહીં આવે ત્યાં સુધી આ સિલસિલો નહીં અટકે.
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ