- અમદાવાદમાં પુત્રવધૂએ કરી સાસુની હત્યા
- રોયલ હોમ્સ સોલા વિસ્તારની ઘટના
- નિકિતા અગ્રવાલ નામની વહુએ સાસુની કરી હત્યા
- રેખાબેન અગ્રવાલ નામની મહિલાની હત્યા
અમદાવાદમાં પુત્રવધુ દ્વારા સાસુની ઘરમાં જ કરપીણ હત્યા કરવામાં આવી હોવાની ઘટના પ્રકાશમાં આવતા સનસની મચી જવા પામી છે. હત્યાની કાળજું કંપાવી દેતી આ ધ્રુણાસ્પદ ઘટના અમદાવાદના સોલા વિસ્તારમાં આવેલા રોયલ હોમ્સમાંથી સામે આવી છે. પુત્રવધુએ પોતાનાં જ ઘરમાં લોખંડનો સળીયો મારી સાસુના રામ રમાડી દીધા અને આટલું કરીને પણ પુત્રવધુને સંતોષ ન થયો તો વળી પ્રાણ પંખેરુ ઉડી ગયેલા પોતાનાં સાસુનાં મૃતદેહને સળગાવી પણ નાખી.
જી હા, આ ખુની ખેલ મામલે પ્રાપ્ત થતી વિગતો પ્રમાણે અમદાવાદમાં સાસુની કેદમાંથી છુટવા માટે આ ખૂની ખેલ ખેલાયો હોવાનું સામે આવે છે. પુત્રવધુ દ્રારા સાસુને માથા પર લોખંડનો સળીયો હત્યા કર્યા બાદ લાશને સળગાવવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો. હદ તો ત્યાં છે કે, હત્યાની આ ઘટનાને અંજામ આપ્યા બાદ દોઢ કલાક સુધી પુત્રવધુ લોહી સાફ કરતી હતી, પરંતુ પતિ બારીથી અંદર આવી જતા હત્યાનો ખુલાસો થયો હતો.
આમ તો સાસુ-વહુ વચ્ચેના ઝઘડા કહાની ઘર ઘર કી જેવો છે અને અનેક આવા ઝઘડાની ઘટનાઓ સામે આવી છે. પરંતુ સામાન્ય ઝઘડામાં સાસુ – વહુ વચ્ચે લોહીયાળ ખેલ ખેલાયો હોય તેવી આ ઘટનાને અંજામ આપનાર પુત્રવધુનુ નામ નિકીતા અગ્રવાલ છે. જેણે સાસુની કરપીણ હત્યા કરી.
ઘટનાની માંડીને વાત કરવામાં આવે તો ગોતામાં આવેલા રોયલ્સ હોમમાં નંબર 103ના મકાન રહેતો મૂળ રાજસ્થાનનો અગ્રવાલ પરિવારમાં 6 મહિના પહેલા જ રોયલ હોમ્સમાં રહેવા આવ્યો હતો. મારબલનો વેપાર કરતા દિપક અગ્રવાલ પત્ની નિકિતા તેમજ માતા રેખાબેન અને પિતા રામનિવાસ સાથે રહે છે. 10 મહિના પહેલા જ નિકિતા અને દિપકના લગ્ન થયા હતા. લગ્ન બાદ સાસુ રેખા બેન પુત્રવધૂ નિકીતાને ઘરની બહાર નીકળવા દેતા ન હતા. એટલે કે 10 મહિનાથી પુત્રવધૂ ઘરમાં કેદ હતી. જેથી બન્ને વચ્ચે અવારનવાર તકરાર થતી હતી. જેથી કંટાળી સાસુની કેદમાંથી છુટવા માટે હત્યા કરી હોવાનું નિકિતાએ પોલીસ તપાસમાં જણાવ્યું છે. મહત્વનું છે કે નિકિતાએ તેના પતિને સાસુએ રૂમમાં પુરી દીધી હોવાનું કહીને ડ્રામા કર્યો હતો. જેથી પોલીસ નિકીતાના પતિ દિપકને પણ શંકામા રાખી તપાસ કરી રહી છે.
સાસુની હત્યાને લઈને સોલા પોલીસે નિકિતાની ધરપકડ કરી હતી. નિકિતા ગર્ભવતી હોવાનું પણ તપાસમાં ખુલ્યું છે. ત્યારે હત્યાના આ બનાવ બાદ પોલીસ પણ વિચારમાં પડી છે કે ઘરની કેદથી છુટવા માટે પુત્રવધૂ સાસુની પણ હત્યા કરી શકે કે પછી હત્યાનુ અન્ય કોઈ કારણ જવાબદાર છે.