અમેરિકાના ન્યૂયોર્કના મેનહટનમાં શનિવારે અસમાજિક તત્વોએ દ્વારા મહાત્મા ગાંધીની કાંસ્ય પ્રતિમાની તોડફોડ કરવામાં આવી હતી. ભારતીય વેપારીએ આ ઘટના પર નારાજગી વ્યક્ત કરી છે. ભારતીય-અમેરિકન સમુદાયે પણ આ ઘટના પર નિરાશા વ્યક્ત કરી હતી.ન્યૂયોર્કમાં ભારતના કોન્સ્યુલેટ જનરલે જણાવ્યું હતું કે આ ઘટના શનિવારે વહેલી સવારે બની હતી જ્યારે કેટલાક અજાણ્યા વ્યક્તિઓ દ્વારા પ્રતિમાને તોડવામાં આવી હતી. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, કોન્સ્યુલેટ પ્રતિમાની તોડફોડની આ ઘટનાની સખત નિંદા કરે છે.
દૂતાવાસના જણાવ્યા અનુસાર, “તત્કાલ તપાસ માટે આ મામલો યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ પાસે પણ ઉઠાવવામાં આવ્યો છે. અધિકારીઓને આ જઘન્ય કૃત્ય માટે જવાબદારો સામે યોગ્ય પગલાં લેવાની અપીલ કરવામાં આવી છે.” ગાંધી મેમોરિયલ ઈન્ટરનેશનલ ફાઉન્ડેશને આઠ ફૂટ ઊંચી પ્રતિમા દાનમાં આપી હતી અને 2 ઓક્ટોબર, 1986ના રોજ ગાંધીજીની 117મી જન્મજયંતિના અવસરે તેનું સ્થાપન કર્યું હતું.
પ્રતિમાને 2001માં હટાવીને 2002માં પુનઃસ્થાપિત કરવામાં આવી હતી. ગયા વર્ષે, અજાણ્યા લોકોએ અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં ગાંધીજીની બીજી પ્રતિમાની આવી જ રીતે તોડફોડ કરી હતી.