ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે તમામ પાર્ટીઓ પ્રચાર માટે કામે લાગી ગઇ છે, બધી પાર્ટીઓ પોતાની રણનીતિ મુજબ યાત્રાઓ અને ડોર ટુ ડોર સંપર્ક અને જાહેર સભા ભરીને પ્રચાર કરી રહી છે.રાજ્યમાં આમ આદમી પાર્ટી મેદાનમાં આવવાથી રાજકીય સમીકરણ બદલાયા છે.ગુજરાતમાં ત્રિપાંખિયો જંગ જોવા મળશે.હાલ આમ આદમી પાર્ટી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર વ્યક્તિગત હુમલા કરી રહી છે ,જે તેમના માટે ભારે પડી શકે છે.મોદી પર ટીપ્પણી કરીને આમ આદમી પાર્ટીએ ગુજરાત ચૂંટણી માટે સેલ્ફ ગોલ કર્યો છે. જેના લીધે આગામી ચૂંટણીમાં ભારે નુકશાન થઇ શકે છે.
ઉલ્લેખનીય છે કે ચૂંટણી પહેલા C-Voter એ ગુજરાત ચૂંટણીને લઈને વધુ એક સર્વે કર્યો છે. જેમાં PM મોદી માટે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયા દ્વારા કથિત રીતે કરાયેલી આપત્તિજનક ટિપ્પણી બાદ પાર્ટીને કેટલું નુકસાન થઈ શકે છે. તેના પર લોકોની પ્રતિક્રિયા લેવામાં આવી. બુધવારથી શુક્રવાર વચ્ચે કરાયેલા આ સર્વેમાં ગુજરાતના 1337 લોકોના મંતવ્ય લેવામાં આવ્યા. જોકે સર્વેના પરિણામો 3થી 5 ટકા આગળ-પાછળ હોઈ શકે છે.
C-Voter તરફથી આ સર્વેમાં લોકોને સવાલ કરવામાં આવ્યો હતો કે પીએમ મોદી માટે અપશબ્દોનો ઉપયોગ કરીને આમ આદમી પાર્ટીએ સેલ્ફ ગોલ (પોતાનું નુકસાન) કર્યો છે? આ સવાલના જવાબમાં 58 ટકા લોકોએ કહ્યું, હા, AAPએ પીએમ મોદી માટે અપશબ્દનો ઉપયોગ કરીને સેલ્ફ ગોલ કર્યો છે. જ્યારે 42 ટકા લોકોનું માનવું છે કે તેનાથી આમ આદમી પાર્ટીએ કોઈ સેલ્ફ ગોલ નથી કર્યો.નોંધનીય છે કે ભાજપે હાલમાં જ આમ આદમી પાર્ટીના ગુજરાત અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાના એક બાદ એક કેટલાક વીડિયો શેર કર્યા હતા. જેમાં એક વીડિયોમાં ઈટાલિયા મંદિરોમાં ન જવા લોકોને અપીલ કરતા દેખાય છે. જ્યારે અન્ય એક વીડિયોમાં તે પ્રધાનમંત્રીને લઈને અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરતા દેખાય છે.