અમદાવાદ,
હાર્દિક પટેલના ઉપવાસને આજે 12 દિવસ થયા અને તેની તબિયત લથડી રહી છે ત્યારે સરકારે પાટીદાર સમાજની અગ્રણી 6 સંસ્થાના આગેવાનોને મંત્રણા માટે બોલાવ્યા હતા.
ઊર્જામંત્રી સૌરભ પટેલ, કૌશિક પટેલ અને પ્રદીપસિંહ જાડેજા તેમજ પાટીદાર સમાજના અગ્રણીઓ વચ્ચે અઢી કલાક સુધી ચાલેલી આ બેઠકમાં સરકારે પાટીદાર અગ્રણીઓને હાર્દિક પટેલને વહેલી તકે પારણાં કરવા માટે સમજાવવાની જવાબદારી સોંપી હતી.
બીજી તરફ હાર્દિક પટેલ તરફથી એવું જણાવાયું છે કે, સરકાર સાથે ચર્ચા કરવા ગયેલા સામાજિક આગેવાનો એ કોઈ ‘પાસ’ના ઓફિશિયલ પ્રતિનિધિ નથી કે તેમને હાર્દિક તરફથી સરકાર સાથે વાત કરવા મોકલાયેલા નથી.
પાટીદરા સમાજની છ અગ્રણી સંસ્થાઓએ પણ બેઠક કરી હતી. સાથે સાથે સરકાર તરફથી પણ હાર્દિકના ઉપવાસના 11માં દિવસે નિવેદન આવ્યું હતું. જોકે, ઉપવાસના 12માં દિવસે કોંગ્રેસના ગુજરાત પ્રભારી રાજીવ સાતવ હાર્દિક પટેલની મુલાકાત કરવાના છે.
હાર્દિકે પોતાની પોસ્ટમાં લખ્યું કે (ટ્રાંસલેશન) ગુજરાત ભાજપા સરકારના મંત્રી સૌરભ પટેલ કહી રહ્યાં છે કે હાર્દિક પટેલને પ્યારથી સમજાવીશું, નહીં સમજે તો રાજકીય રીતે સમજાવીશું, અરે ઓ મંત્રી ધમકી દેવાનું બંધ કરજો, તમારા જેવી ધમકી છેલ્લા ત્રણ વર્ષથી તમારી સરકારના અનેક નેતા અને અધિકારી આપી ચૂક્યા છે, જીવન અને મરણ ભગવાન પાસે છે, મારી જિંદગી ચાર દિવસની છે અને હું દરેક દિવસ ચોથો સમજીને જ જીવું છું- હાર્દિક પટેલ.
જો કોઈ ચર્ચા કરવી હોય તો સરકાર સીધી જ હાર્દિક પટેલ સાથે જ ચર્ચા કરે. તો બીજી તરફ હાર્દિકના ઉપવાસ મામલે ગીતા પટેલે જણાવ્યું હતું કે પાસ દ્વારા પારણા કરવા સંસ્થાઓને નથી કહેવાયું… માંગણી નહીં સંતોષાય ત્યાં સુધી યથાવત રહેશે.
