Ahmedabad News: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) સ્કૂલ બોર્ડ (AMC School Board Teachers)ના હજારો શિક્ષકોએ દેશની મહત્વપૂર્ણ રાષ્ટ્રીય કામગીરી વસ્તી ગણતરીમાં પોતાની જવાબદારી નિષ્ઠાપૂર્વક પૂર્ણ કરી હતી, પરંતુ કામગીરી પૂર્ણ થયાના બે મહિના બાદ પણ તેમને મળવાનું મહેનતાણું હજુ સુધી ચૂકવાયું નથી. મળતી માહિતી મુજબ, AMC સ્કૂલ બોર્ડના આશરે 4500 શિક્ષકોના કુલ ₹4.50 કરોડ જેટલા મહેનતાણાં બાકી છે. શિક્ષકોને એક વ્યક્તિ દીઠ અંદાજે ₹11 હજાર સુધીની રકમ ચૂકવવાની હતી.
એક મહિના સુધી શિક્ષકોએ કરી હતી ગણતરીની કામગીરી
વસ્તી ગણતરી જેવી રાષ્ટ્રીય કામગીરી માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્કૂલ બોર્ડની શાળાઓના હજારો શિક્ષકોને ગણતરીદાર અને સુપરવાઇઝર તરીકે જવાબદારી સોંપવામાં આવી હતી. શિક્ષકો (AMC School Board Teachers)એ 1 જૂનથી 30 જૂન સુધી સતત કામગીરી કરી હતી. ઘરે-ઘરે જઈ માહિતી એકત્ર કરી હતી. જરૂરી દસ્તાવેજી પ્રક્રિયા પૂર્ણ કરી હતી. ગણતરીદાર અને સુપરવાઇઝર તરીકે ફરજ બજાવી હતી. શિક્ષકોએ પોતાની નિયમિત શૈક્ષણિક જવાબદારી સાથે આ રાષ્ટ્રીય કામગીરી પણ પૂર્ણ કરી હતી.
AMC School Board Teachers: એક શિક્ષકને મળવાના હતા આશરે 11 હજાર રૂપિયા
વસ્તી ગણતરીની કામગીરી બદલ એક શિક્ષકને અંદાજે ₹11 હજાર જેટલું મહેનતાણું મળવાનું હતું.જેમાં પ્રથમ તબક્કા માટે આશરે ₹9 હજાર અને તાલીમ માટે આશરે ₹1,900 જેટલી રકમનો સમાવેશ થતો હતો.પરંતુ કામગીરી પૂર્ણ થયા બાદ પણ આ રકમ શિક્ષકોના ખાતામાં જમા થઈ નથી.
કેન્દ્ર સરકારની ગ્રાન્ટ ન આવવાનું કારણ
શિક્ષકો (AMC School Board Teachers) દ્વારા મહેનતાણાં અંગે રજૂઆત કરવામાં આવતા જાણવા મળ્યું કે હજુ સુધી કેન્દ્ર સરકાર તરફથી જરૂરી ગ્રાન્ટ પ્રાપ્ત થઈ નથી.ગ્રાન્ટ ન મળવાને કારણે ચૂકવણી પ્રક્રિયા અટકેલી હોવાનું જણાવવામાં આવ્યું છે.આ કારણે હજારો શિક્ષકો પોતાના મહેનતાણાની રાહ જોઈ રહ્યા છે.
શિક્ષકોમાં અસંતોષ, તાત્કાલિક ચૂકવણીની માંગ
મહેનતાણું નહીં મળતાં શિક્ષકોમાં નારાજગી જોવા મળી રહી છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા સરકાર સમક્ષ માંગ કરવામાં આવી છે કે શિક્ષકોને તેમની કામગીરીનું મહેનતાણું વહેલી તકે ચૂકવવામાં આવે.
પ્રાથમિક શૈક્ષિક મહાસંઘે કરી રજૂઆત
AMC પ્રાથમિક શૈક્ષણિક મહાસંઘના મહામંત્રી અવિનાશ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, મે મહિનામાં શિક્ષકોને વસ્તી ગણતરી અને સુપરવાઇઝરની કામગીરીના ઓર્ડર આપવામાં આવ્યા હતા.તેમણે જણાવ્યું કે શિક્ષકો (AMC School Board Teachers)એ ખૂબ સારી કામગીરી કરી હતી અને વસ્તી ગણતરી અધિકારી દ્વારા પણ શિક્ષકોની કામગીરીની પ્રશંસા કરવામાં આવી હતી.તેથી શિક્ષકોને મળવાપાત્ર મહેનતાણું ઝડપથી ચૂકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
ગુજરાત પ્રાંતને પણ કરાઈ રજૂઆત
શિક્ષકોના પ્રશ્ન અંગે ગુજરાત પ્રાંતના સંગઠનને પણ પત્ર લખીને સરકારનું ધ્યાન દોરવા રજૂઆત કરવામાં આવી છે.હવે શિક્ષકો પોતાના મહેનતાણાની ચુકવણી ક્યારે થાય તેની રાહ જોઈ રહ્યા છે.
આ પણ વાંચો:સુરતની કતારગામ ઝોન કચેરીમાં અધિકારી-કર્મચારી વચ્ચે મારામારી, વસ્તી ગણતરી મુદ્દે બબાલ
આ પણ વાંચો:વસ્તી ગણતરી પહેલા શિક્ષકોની મોટી માંગ
