Ahmedabad News: અમદાવાદ(Ahmedabad) સિવિલ હોસ્પિટલ ખાતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે નવજાત શિશુઓ માટેની અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ, નવનિર્મિત ‘મા વાત્સલ્ય” મધર્સ મિલ્ક બેંક’નું ઉદ્ઘાટન કરાયું હતું.
આ પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે મિલ્ક બેંકના નિર્માણ માટે 80,000 અમેરિકન ડોલર દાન આપનાર બી.જે. મેડિકલ કૉલેજના એલ્યુમની એસોસિએશન, યુ.એસ.એ(USA), પંડ્યા ફેમિલી ફાઉન્ડેશન(PFF) તેમજ વર્ષ 1974ની બેચના વિદ્યાર્થી, ડૉ. ગૌરાંગ પંડ્યાનો આભાર વ્યક્ત કર્યો હતો.

મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, નવજાત શિશુઓ માટે માતાનું દૂધ સર્વોત્તમ આહાર છે. તે જરૂરી પોષક તત્વો, એન્ટિબોડીઝ અને સંરક્ષણાત્મક ગુણધર્મો પૂરા પાડે છે. પરંતુ, કેટલીક પરિસ્થિતિઓમાં માતાને પૂરતું દૂધ ન આવતું હોય, તેઓ ગંભીર બીમારીથી પીડાઈ રહ્યા હોય, અથવા સમય પહેલાં જન્મેલા (પ્રિમેચ્યોર) અને ગંભીર સ્થિતિવાળા નવજાત શિશુઓ માટે માતાનું દૂધ ઉપલબ્ધ કરાવવું અત્યંત જરૂરી બની જાય છે. આવી પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને અને શિશુ મૃત્યુદર ઘટાડવા માટે, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ‘મા વાત્સલ્ય’ માતાનું મિલ્ક બેંક સ્થાપવામાં આવી છે.
વધુમાં મંત્રીએ કહ્યું હતું કે, આ મિલ્ક બેંક બાળકોનું જીવન બચાવવામાં એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. ‘મા વાત્સલ્ય’ મિલ્ક બેંક હોસ્પિટલના માતા-શિશુ આરોગ્ય ક્ષેત્રમાં એક ક્રાંતિકારી પગલું છે. બાળકના જન્મ સમયે ગળથૂથી આપવાની પ્રથા છોડીને બાળકોના વિકાસ માટે માતાનું દૂધ આપવું જોઈએ જેથી બાળકોનો યોગ્ય વિકાસ શક્ય બને અને બાળક તંદુરસ્ત બને. તેની સાથે જ, માતાના દૂધના કારણે બાળ મૃત્યુદરમાં પણ સુધારો શક્ય બને છે, તેવું મંત્રી ઋષિકેશભાઇ પટેલે જણાવ્યું હતું.
મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં હાલમાં સુરત, વડોદરા, વલસાડ અને ગાંધીનગર ખાતે મિલ્ક બેંક કાર્યરત છે. વધારાની ૩ મિલ્ક બેંક ભાવનગર સરકારી મેડિકલ કોલેજ, જામનગર ગુરુ ગોબિંદસિંહ સરકારી સિવિલ હોસ્પિટલ અને પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલ, રાજકોટને મંજૂરી આપવામાં આવી છે.
આ પણ વાંચો:અમદાવાદની ઘટનાને માંડ અઠવાડિયુ વીત્યુ ત્યાં સુરતમાં 10માં ધોરણની વિદ્યાર્થીની આત્મહત્યા
આ પણ વાંચો:અમદાવાદ વિમાન દુર્ઘટના પીડિતોના પરિવારો બોઇંગ સામે યુએસ કોર્ટમાં કાનૂની લડાઈ શરૂ કરશે
આ પણ વાંચો:અમદાવાદ-ધોલેરા હાઇવે પર વિદેશી દારૂ ભરેલા ટ્રક સાથે મયુર ગોહિલની કરાઇ ધરપકડ!
