અમદાવાદ,
ગુજરાતનું ગૌરવ ગણાતાં સિંહોને જાણે નજર લાગી ગઈ હોય તેમ એક પછી એક જંગલ રાજા સિંહોના મોત થવા લાગ્યા છે. સદીની સૌથી મોટી આફત ગીરના સિંહો પર તૂટી પડી હોય એમ લાગી રહ્યું છે. ગીરના પૂર્વ વિસ્તારમાં આવેલી દલખાણિયા રેન્જ અને જશાધાર રેન્જમાં છેલ્લા 19 દિવસમાં પ્રોટોઝોઆ વાયરસે 21 સાવજનો ભોગ લીધો છે.
6 સપ્ટેમ્બરથી 12 સપ્ટેમ્બર દરમિયાન 11 સિંહ મોતને ભેટ્યા હતા. તેમના મૃતદેહ જંગલમાંથી જ મળી આવ્યા હતા. જ્યારે સારવાર દરમિયાન વધુ 4 સિંહ મૃત્યુ પામ્યા હતા. હવે કુલ 21 સિંહ મોતને ભેટ્યા છે.
નિષ્ણાંતોના મતે
સિંહ એ ખુબ જ સંવેદનશીલ પ્રાણી છે, સિંહના ટોળામાં જો કોઈ એક સિંહને ઘા પડ્યો હોય તો તે ઘાને જીભ વડે ચાટીને સાફ કરતા હોય છે, ક્યારેક એમની આંખમાં આંસુ આવે તો કોઈ બીજા સિંહ તે આંસુને જીભથી ચાટીને સાફ કરે છે જેના કારણે પણ ઇન્ફેકશન લાગી જાય છે. નિષ્ણાંતોનું માનવું છે કે ઇન્ફેકશન વાળા મરઘાના ખોરાક આપવાથી સિંહોમાં કોઈ ઇન્ફેકશન લાગી ગયું હોય, અથવા જંગલમાં ફરતા ગાય-ભેંસ જે ઇન્ફેકશન વાળા હોય, ઘણીવાર એવું બનતું હોય છે કે કોઈ ગાય-ભેસ બિમાર હોય તો તેને દવાઓના હેવીડોઝ આપવામાં આવે છે તો ઘણીવાર વધુ દૂધની લાલચે ઈન્જેકશન આપવામાં આવે છે, જો આવા કોઈ પ્રાણીનો શિકાર કર્યો હોય તો એક પછી એક સિંહોમાં તેનું ઇન્ફેકશન લાગી શકે છે.
સિંહોના મોતને મામલે અલગ અલગ કારણો બહાર આવી રહ્યા છે
હાલ તો સિંહોના મોતને મામલે અલગ અલગ કારણો બહાર આવી રહ્યા છે, સિંહોને બિમાર પશુઓ અને મરઘા ખવડાવાતા હોવાના વિડીયો જ ઘણું કહી જાય છે. તંત્રની ઘોર બેદરકારીથી સિંહોના પ્રાકૃતિક શિકાર સામે ખલેલ સર્જાઈ છે અને મારણની બિમારી સિંહોને લાગૂ પડી છે. સિંહોને કુદરતી શિકારને બદલે તૈયાર મારણ આપવાથી બીમારી વકરી છે.
વનતંત્રએ આખરે સ્વીકાર્યું
સિંહોના મોતની ખબર જ્યારથી આવતી હતી તો વન વિભાગ અલગ અલગ કારણો આપતી, તો ઘણીવાર ખોટા આંકડો જાહેર કરતી હતી. પરંતુ વનતંત્રએ આખરે સ્વીકાર્યું હતું કે 4 સિંહોમાં કેનાઈન ડિસ્ટેમ્પર જેવી ઘાતક બિમારીના લક્ષણો જોવા મળ્યા છે. આથી 31 સિંહોને રેસ્કયુ કરી એનિમલ કેર સેન્ટરમાં રાખી વેક્સીનેશનની કામગીરી ચાલી રહી છે. હાલમાં મૃત્યુ પામેલા 21 સિંહોની સાથેના અન્ય પાંચ સિંહોની સ્થિતિ ચિંતાજનક છે.
ઇતરડીથી ફેલાતો રોગ
પ્રારંભિક તબક્કે ઇનફાઇિટંગથી થયેલા મોતનાં તારણોએ નવો વળાંક લીધો છે. સિંહને આ રોગ પ્રોટોઝોઆ વાયરસના ચેપથી લાગ્યો છે. જે ઇતરડીથી ફેલાતો રોગ છે. સિંહના મૃત્યુના કારણ માટે તમામ સિંહના જુદા જુદા સેમ્પલ પુણેની નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ વાયરોલોજી ખાતે મોકલાયા હતા તેમજ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી જૂનાગઢને પણ મોકલાયા હતા.
140 ટીમ ગીરનાં જંગલ ખૂંદી રહી છે.
વન વિભાગ દ્વારા મોડે મોડે સ્ક્રીનિંગ કરવાનો નિર્ણય લેવાયા બાદ ગઇ કાલથી જુદી જુદી 140 ટીમ ગીરનાં જંગલ ખૂંદી રહી છે અને સાવજને ઇન્ફેક્શનની સારવાર માટે અમેરિકાથી આવેલી રસી આપી રહી છે.
સિંહોના રોગચાળાની તપાસ કરતી ટીમોના સુત્રોએ જણાવ્યુ હતું કે પુનાની વાઈરોલોજીના રિપોર્ટ્સ, જૂનાગઢ વેટરનરી કોલેજના રિપોર્ટ્સ તથા સિંહોની બોડી લેંગ્વેજ, ખોરાક વગેરે કેટલાક સિંહોની રોગ પ્રતિકારક શક્તિ મંદ થઇ હોવાનો સંકેત આપે છે. આથી વનવિભાગે નબળા સિંહોને અમેરીકી રસી આપવાનો નિર્ણય લેતા સક્કરબાગ ઝુ માં સિંહ-દિપડામાં સી.ડી.વી. દેખાયા બાદ આ રસી આપનારા ડો.સી.એન.ભુવા આજે મોડેથી વેક્સીનેશનની કામગીરીમાં જોડાયા છે અને વેટરનરી રીસર્ચ ઈન્સ્ટીટયુટ બરેલીની ટીમ સાથે તેઓ ચર્ચા કરશે.
ગુજરાત હાઇકોર્ટે લાલઆંખ કરી
ટપોટપ 23 સિંહોના મૃત્યુ થતાં જૂનાગઢ થી લઇ ગાંધીનગર સુધીનું તંત્ર દોડતું થઇ ગયું છે. ત્યારે આજે સિંહોના મામલે ગુજરાત હાઇકોર્ટે દ્વારા અવલોકન કરાયું છે. ગેરકાયદે લાયન શો અને સિંહોની પજવણી સામે ગુજરાત હાઇકોર્ટે લાલઆંખ કરી છે. સિંહને અપાતા પોલ્ટ્રી ચિકનથી વાયરસ ફેલાવાની શકયતા વધુ છે. પોલ્ટ્રી ચિકનથી વાયરસ ફેલાવાની શકયતા નકારી શકાય નહીં.
ગુજરાત રાજ્ય સરકારને સિંહોના મોત મામલે સુપ્રીમ કોર્ટે ફટકાર લગાવી છે. સુપ્રીમ કોર્ટ કહ્યું છે કે રાજ્ય સરકાર સિંહોના મોતનું કારણ શોધે, સિંહોના મોત એ ગંભીર બાબત છે.
છેલ્લી સિંહ વસ્તી ગણતરી દરમિયાન કુલ 523 સિંહ નોંધાયા હતા. તાજેતરમાં છેલ્લા બે દિવસ દરમ્યાન કુલ 600 સિંહ જોવા મળ્યા હતા, જેથી કુલ 77 સિંહની વસ્તી જોવા મળી છે. અત્યાર સુધીનો સિંહનો આ વર્ષનો મૃત્યુઆંક 44 છે. 2016-17માં 79સિંહ મૃત્યુ પામ્યા હતા.