Gujarat News: ગુજરાતમાં ચાંદીપુરા વાઇરસથી સંક્રમિત દર્દીઓના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજકોટમાં 3 અને પંચમહાલમાં 1 બાળકનું મોત થતા રાજ્યભરમાં ચાંદીપુરા વાઇરસના કુલ કેસની સંખ્યા વધીને 31 થઈ છે. જ્યારે મૃત્યુઆંક વધીને 19 થયો છે. ચાંદીપુરા વાયરસે હવે શહેરમાં પણ પગપેસારો કર્યો છે. વાયુવેગે ફેલાતા ચાંદીપુરા વાયરસના કારણે આરોગ્ય વિભાગ સતર્ક થઈ ગયું છે.
માહિતી મુજબ અમદાવાદ સિવિલમાં ચાંદીપુરાથી અસરગ્રસ્ત 3 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. 1 બાળક વેન્ટિલેટર પર છે. જેમાં બે બાળકો ચાંદલોડિયા અને આંબાવાડીના છે. અસારવા સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓના વાયરસના સેમ્પલ પુણે મોકલવામાં આવ્યા છે.
ચાંદીપુરા વાયરસ વધુ વકરે નહીં તે માટે આરોગ્ય વિભાગ દ્વારા સ્ક્રિનિંગ વધારી દેવાયું છે. અંદાજે 10 હજારથી વધુ ઘરોમાં કુલ 51, 724 વ્યક્તિઓનું સર્વેલેન્સ કરવામાં આવ્યું હતું. કુલ 3567 કાચા મળેલ ઘરોમાંથી 3741 ઘરોમાં મેલેથિયોન પાવડરથી ડસ્ટિંગ કરવામાં આવ્યું છે.
સૌથી વધુ અરવલ્લી માં 3 બાળકોના મોત થયા છે. સાબરકાંઠા, મોરબી અને રાજકોટમાં 2-2 મૃત્યુ થયા છે. અમદાવાદ, મહીસાગર, સુરેન્દ્રનગરમાં 1-1 દર્દીઓના મોત થયા છે. ગાંધીનગર અને મહેસાણામાં પણ 1-1 દર્દીઓના મોત નિપજ્યા છે. રાજસ્થાનના ઉદેપુરના 2 દર્દી સારવાર હેઠળ છે. મધ્યપ્રદેશના 1 દર્દી વાઇરસનો શિકાર થયો છે. સારવાર દરમ્યાન રાજસ્થાનના 1 દર્દીનું મોત થયું છે.
શું છે આ રોગના મુખ્ય લક્ષણો અને કેવી રીતે થાય છે
જે વેકટર –અસરગ્રસ્ત સેન્ડ ફ્લાયના (રેત માંખ) કરડવાથી થાય છે અને ખાસ કરીને 9 મહિનાથી 14 વર્ષની ઉમરના બાળકોમાં જોવા મળે છે. હાઇગ્રેડ તાવ, ઉલ્ટી ઝાડા, માથાનો દુખાવો અને ખેંચ આવવી એ આ રોગના મુખ્ય લક્ષણો છે. આ પ્રકારના લક્ષણો બાળકોમાં જોવા મળે ત્યારે તાત્કાલિક તબીબી સલાહ લેવી જોઈએ.
શું આ રોગ ચેપી છે?
વધુ વિગતો આપતા ઋષિકેશ પટેલે કહ્યું કે, ચાંદીપુરા રોગ ચેપી નથી પરંતુ અસરગ્રસ્ત વિસ્તારોમાં સઘન સર્વેલન્સની પ્રાથમિક તબક્કે જ સૂચના અપાઇ હતી. જેના પરિણામે અત્યારસુધીમાં કુલ 4487 ઘરોમાં કુલ 18646 વ્યક્તિઓનું સ્ક્રીનીંગ કરાયું છે. સેન્ડ ફ્લાય કંટ્રોલ માટે કુલ 2093 ઘરોમાં જંતુનાશક દવાઓનો છંટકાવ પણ કરાયો છે.
રાજ્ય આરોગ્ય વિભાગે અગમચેતીના ભાગરૂપે આ રોગનો ફેલાવો અટકાવવા માટે રાઉન્ડ ધ ક્લોક કામ કરી રહ્યું છે. રાજ્યના નાગરિકોને આ રોગ થી ગભરાવવા નહીં પરંતુ સાવચેતી જોઈએ અને પ્રાથમિક લક્ષણો જણાઇ આવે તો નજીકના હોસ્પિટલમાં તપાસ અને સારવાર કરાવવા પણ અનુરોધ કર્યો છે.
આ પણ વાંચો: Gujarat Rain Live: ગુજરાતને ઘમરોળશે મેઘરાજા, રાજ્યમાં ભારે વરસાદની આગાહી
આ પણ વાંચો: શું ગુજરાતમાં શહેરોની સરખામણીએ ગામડામાં વધુ મોંઘવારી છે? કયાં મોંઘવારી વધી સામે આવ્યો રિપોર્ટ
આ પણ વાંચો: અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાંથી મળી આવ્યું ડુપ્લીકેટ દવાખાનું