આણંદ ખાતે રહેતા યુવકે 2017માં વિદ્યાનગરની યુવતી સાથે લગ્ન કરી તેને ન્યુઝીલેન્ડ લઇ ગયો હતો. જોકે, ત્યાં તેણે ત્રાસ આપી કમાયેલા રૂપિયા જેઠાણીના ખાતામાં ટ્રાન્સફર કરી દેતો હતો. જોકે, વિઝા પત્યા બાદ પરત આવેલી પરિણીતાને સાસરીયાઓ સ્વીકારી ન હતી અને પિયરમાં રહેવા જણાવી દીધું હતું.
આણંદ ખાતે રહેતા સૌરભ ઉર્ફે સચીન ઇશ્વરભાઈ પારેખના લગ્ન વિદ્યાનગરના ભાર્ગવીબહેન સાથે 2017માં થયાં હતાં. લગ્ન બાદ પતિ સાથે સંયુક્ત પરિવારમાં રહેતા હતાં. જોકે, લગ્નના વીસ દિવસ બાદ સૌરભના વિઝા હોવાથી તે ન્યુઝીલેન્ડ જતો રહ્યો હતો. બાદમાં સાસરિયાએ પંદરેક દિવસ જેટલું સારૂ રાખ્યા બાદ ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું.
જોકે સમય દરમ્યાન ભાર્ગવીના પણ વિઝા આવી જતાં તે ન્યુઝીલેન્ડ પહોંચી હતી. અહીં છ મહિના સારૂ ચાલ્યા બાદ અચાનક પતિ સૌરભે નાની નાની વાતમાં હેરાન પરેશાન કરવા લાગ્યાં હતાં અને મામલો મારઝુડ સુધી પહોંચી ગયો હતો. આ ઉપરાંત સૌરભ ગમે તેમ બોલીને ભાર્ગવી પાસેથી પૈસા લઇ તેમના જેઠાણીના ખાતામાં નાંખી દેતાં હતાં.
આખરે વિઝાની સમય અવધિ પૂર્ણ થતાં ભાર્ગવી પરત ભારત આવી હતી. પરંતુ સાસરિયાઓએ તેમને રાખવાના બદલે પિયરમાં રહેજે પછી તેડવા આવીશું. તેમ કહી દીધું હતું. આખરે આ અંગે મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ સૌરભ ઉર્ફે સચિન પારેખ, સસરા ઇશ્વરભાઈ મોહનભાઈ પારેખ, સાસુ સુધાબહેન ઇશ્વરભાઈ પારેખ, જેઠ અલ્પેશભાઈ પારેખ ઉપરાંત મહેશ શનાભાઈ શર્મા અને શનાભાઈ મોહનભાઈ શર્મા સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.