સાધ્ય રોગ – અવબાહૂક
ડૉક્ટર જાહનવીબેન ભટ્ટ
9428598098
અવબાહૂક નામ કદાચ અજાણ્યું લાગે પણ જો આ જ રોગ ને ફ્રોઝન શોઉલ્ડર કહીશું તો આ રોગથી ઘણા લોકો અવગત હશે. જ્યારે પણ ખભામાં વાયુ ભરાઈને ત્યાં જ રોકાઈ જાય છે, ત્યારે ખભો આપો આપ થોડી – થોડી વારે ઉંચકાયા કરે છે અને તેથી ઘણીવાર ખભાની સાથે સાથે આખો હાથ ઉંચકાયા કરતો હોય એવું લાગે છે. આવું થાય ત્યારે માણસનું સઘળું ઘ્યાન સતત ત્યાં જ રહે છે. ખભા અને હાથની નસો ખેંચાઈ દુઃખાવા માંડે છે. કેટલીક વાર આ ખેંચાણ છેક છાતીની નસો અને મસલ્સ સુધી પણ થતું જોવા મળે છે. ઘણીવાર તો છાતીમાં પણ દુઃખાવો થાય છે. આ રોગ આયુર્વેદમાં “અવબાહૂક” અને મોર્ડન સાયન્સમાં Frozen Shoulder તરીકે ઓળખવામાં આવે છે.
![શું તમે ખભાનાં દુખાવાથી છો પરેશાન? તો કરો માત્ર આ કામ 2 Frozen Shoulder](http://api.mantavyanews.com/wp-content/uploads/2021/11/1-2021-11-26T115853.872.jpg)
આ પણ વાંચો – Poverty Index / દેશનાં ગરીબ રાજ્યોમાં ગુજરાત 13માં ક્રમે, 18.60 ટકા લોકો ગરીબી રેખા નીચે
ખૂબ જ સરળ ભાષામાં સમજાવવું હોય તો કહી શકાય કે, પ્રકુપિત વાયુ ખભાની અંસસંધિમાં પણ રહેલો હોય છે, જેથી “અવબાહૂક” રોગમાં વાત અને કફ બન્ને દોષો રહેલાં છે. આયુર્વેદમાં દર્શાવેલ’ વિશ્વાચી ‘ નામનાં રોગમાં પણ હાથની પેશીઓ ખેંચાય છે. પરંતુ આ બન્ને રોગોમાં ઘણો જ ફરક છે. વિશ્વાચી રોગ માત્ર વાતજન્ય હોય છે, અને પીડા અંગુલિતલથી ઉપરની તરફ જાય છે, અને અનુબાહ સુધીમાં પીડા સીમિત રહે છે. જ્યારે આથી વિપરીત અવબાહુકમાં વાત અને કફ બન્ને દોષો રહેલા હોય છે, અને પીડા ખભાનાં મૂળ અંસસંધિ થઈ શરૂ થઇ અર્ધગામી હોય છે, તથા સંપૂર્ણ હાથ પર આ પીડા પ્રભાવ પાડે છે. આધુનિક દ્રષ્ટિએ Paralysis of થઈ branchias plexus થી અવબાહુક નું સામ્ય જોવા મળે છે.
અવબાહુક થવાના કારણો જોઈએ તો, ગ્રીવા કે ડોક પાર વાગવું, અક્ષકા સ્થિ કોઈ પણ કારણોસર તૂટી જવું, અંસસંધિ વિશ્લેષ કે ક્યારેક ખભાનાં મૂળમાં અર્બુદ કે ગાંઠ થયેલ હોય તો તેના દબાણ થી ઉક્ત નાડી પાર આઘાતનાં કારણે પણ આ રોગ ની ઉત્પત્તિ માનવામાં આવે છે. આ રોગ માં ખભાનાં મૂળ પાસેથી માંસ પેશીઓની ક્રિયા ખૂબ ઘટવા લાગે છે, જેથી હાથનાં હલન ચલનમાં ખૂબ તકલીફ ઊભી થાય છે. ઘણી વખત હાથ સીધો કરવામાં કે હાથને પાછળની તરફ લઈ જવામાં પણ ખૂબ કષ્ટ અનુભવાય છે. ઘણી વખત હાથને માથા તરફ ઊંચો લઇ જઈ શકાતો નથી અને ખભાથી હાથ જાણે કે જકડાઈ ગયો હોય તેવો અનુભવ થાય છે. આ ઉપરાંત ઘરનાં નાના મોટા કામો જેવા કે રોટલી વણવી, કપડાં સૂકવવા, માથું ઓળવું આવા સામાન્ય કામો કરવામાં પણ ખૂબ જ કષ્ટતા થાય છે. કેટલીક વાર દર્દીને ખભાનાં મૂળમાં ખૂબ તકલીફ અનુભવાતી હોય તો પડખું ફરીને પણ સુઈ શકાતુ નથી. તેને બીજા પડખે કે પછી ચત્તા સુઈ જવું પડે છે. ઘણી વખત દર્દીને નાની અમથી વસ્તુ ઉપાડવામાં પણ અસમર્થતા લાગે છે.
સારવાર :-
કપુરકચલીનું ચૂર્ણ બનાવી પાણી સાથે ખૂબ લાસોટવું, પછી તેની ચના જેટલી ગોળીઓ બનાવીને સુકવી લેવી. આ ગોળી 1-1 સવાર-સાંજ લેવી. જો ખભાની પીડા ખૂબ વધારે હોય તો, વૈદ્યની સલાહ મુજબ આ ગોળીઓ વધારી શકાય છે.
આ ઉપરાંત મહારસનાદી ક્વાથમાં 1 ચમચી કૅસ્ટર ઓઇલ મેળવીને તે દર્દીને આપવું. આભયન્તર ઔષધોપચારમાં બૃહત વાતચિંતામણી રસ, કે એકાંગવીર રસ નિષ્ણાંતની સલાહ મુજબ આપી શકાય છે.
આ ઉપરાંત સિંહનાદ ગૂગલ અને યોગરાજ ગૂગલ પણ અવબાહુક માં સારું કામ કરે છે.
અવબાહુકમાં સરળ કસરતો,યોગનાં આસનો કે હાથ અને ખભાની ફિઝિઓથેરાપી પણ આ રોગમાં ઝડપી પરિણામ આપે છે.
આ ઉપરાંત રાતે 1 તોલો મેથી 1 કપ પાણીમાં પલાડવી. સવારે તેમા 2 થી 3 ગ્રામ સૂંઠ અને 10 ગ્રામ ગોળ નાખી ઉકલાવી, ગાળી, નવશેકી ગરમ ગરમ હોય ત્યારે તેનો ઉકાળો પીવાથી શરીરનો બધો જ આમ ઝાડા વાટે નીકળી જશે અને પકડાઈ ગયેલ હાથ એકદમ છૂટો થઈ જશે.
આ રોગમાં દર્દીએ ખોરાકમાં મગ, ભાત ,ખીચડી જેવો સાદો ખોરાક જ લેવો. લસણ, આદું વગેરેનું સેવન આ રોગમાં લાભદાયક છે. ઔષધ અને આહારની સાવધાની આ રોગમાંથી અવશ્ય મુક્તિ અપાવે છે.