રાજયમાં તહેવારોની સિઝન શરૂ થઈ ગઈ છે. આમાં દિવાળીના તહેવારને ઘણી રીતે ખાસ માનવામાં આવે છે. ડાયાબિટીસ અને અસ્થમાના દર્દીઓને દિવાળી દરમિયાન ખાસ સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવે છે. દિવાળીની મીઠાઈઓથી ડાયાબિટીસ જ્યારે ફટાકડાને કારણે અસ્થમાના દર્દીઓની મુશ્કેલીઓ વધી શકે છે. ફટાકડામાંથી નીકળતા ધુમાડાથી અસ્થમાના દર્દીઓની મુશ્કેલીઓ વધી જાય છે.
સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે ફટાકડામાં અનેક પ્રકારના હાનિકારક રસાયણો હોય છે, જે પર્યાવરણને પ્રદૂષિત કરે છે. અસ્થમા જેવી શ્વસન સંબંધી સમસ્યાઓ ધરાવતા દર્દીઓ માટે આવું વાતાવરણ ઘણું નુકસાનકારક સાબિત થઈ શકે છે. ચાલો જાણીએ કે અસ્થમાના દર્દીઓએ કેવા પ્રકારની સાવચેતી રાખીને દિવાળીનો તહેવાર ઉજવવો જોઈએ?
ફરજિયાત માસ્ક પહેરો
કોરોનાના આ સમયે લોકોને માસ્ક પહેરવાની આદત પાડી દીધી છે, દિવાળીની આ સિઝનમાં તમામ લોકોએ ખાસ કરીને અસ્થમાના દર્દીઓએ બહાર જતી વખતે માસ્ક પહેરવું જ જોઈએ. પર્યાવરણમાં રહેલી ધૂળ-માટી અને ફટાકડામાંથી નીકળતા ધુમાડાથી તમને સુરક્ષિત રાખવા માટે આ માસ્ક તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. અસ્થમાના દર્દીઓએ દિવાળીના દિવસે ડબલ માસ્ક પહેરવું જોઈએ.
ઇન્હેલર અને દવાઓ સાથે રાખો
દિવાળીના દિવસે વાયુ પ્રદૂષણ વધી જાય છે આવી સ્થિતિમાં અસ્થમાના દર્દીઓએ ખાસ તકેદારી રાખવી જોઈએ. ઇન્હેલર અને દવાઓ હંમેશા તમારી સાથે રાખો. અસ્થમાનો એટેક કોઈપણ સમયે થઈ શકે છે, તેથી ઇન્હેલર સાથે રાખવાથી તમે જટીલતાઓથી સુરક્ષિત રહી શકો છો.
બિનજરૂરી બહાર નીકળવાનું ટાળો
અસ્થમાના દર્દીઓએ દિવાળીના દિવસે ખૂબ કાળજી રાખવાની જરૂર છે, કારણ કે બહારના વાતાવરણમાં વધુ પ્રદૂષણ હોય છે, તેથી આ દિવસે બને તો ઘરની અંદર રહેવાનો પ્રયાસ કરો. તમે બારી-બારણાં બંધ રાખીને પ્રદૂષણથી પોતાને બચાવી શકો છો. જો તમારે ઘરની બહાર નીકળવું હોય તો પણ માસ્ક પહેરીને જ બહાર નીકળો.
વ્યાયામ કરો અને ડોક્ટર સાથે સંપર્કમાં રહો
અસ્થમાના દર્દીઓ માટે શ્વાસને લગતા વ્યાયામ કરવા ફાયદાકારક માનવામાં આવે છે. આ વ્યાયામ કરવાથી ફેફસાંને મજબૂત બનાવવામાં મદદરૂપ થાય છે. આ સિવાય જો તમને દિવાળીના દિવસે શ્વાસ સંબંધિત કોઈ તકલીફો અનુભવાય તો તરત જ તમારા ડોક્ટરનો સંપર્ક કરો.