Amreli News : ગુજરાત સરકારના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલે આજે અમરેલી જિલ્લાના બગસરામાં રૂ. ૪.૫૨ કરોડના ખર્ચે અધ્યતન સહલતોથી સજ્જ સામૂહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કર્યું હતું.આરોગ્ય મંત્રીએ પવિત્ર શ્રાવણ માસના પ્રથમ દિવસે અમરેલી સ્થિત ભગવાન નાગનાથ મહાદેવના દર્શન કરીને ૩૦ બેડના આ આરોગ્ય મંદિરને ખુલ્લું મુકતા જણાવ્યું હતું કે, ભારતીય સંસ્કૃતિમાં શિક્ષણ અને આરોગ્ય સેવા સાથે જોડાયેલા છે, તે પાવન પરંપરાને કેન્દ્ર- રાજ્ય સરકાર આગળ વધારી રહી છે, આયુષ્માન કાર્ડ હેઠળ મોટાભાગની આરોગ્ય સેવાઓને આવરી લેવામાં આવી છે, દરેકને સ્વમાનભેર આરોગ્યના લાભો મળે તે માટે પીએચસી, સીએચસી, પેટા આરોગ્ય કેન્દ્ર વગેરે આરોગ્ય સેવાનું આધુનિકીકરણ કરવામાં આવી રહ્યું છે.

નવનિર્મિત બગસરા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લેબોરેટરી, એક્સ રે, ઓપરેશન રૂમ ફિઝીયોથેરાપી, ટીબી વિભાગ સહિતની સુવિધાઓ સાથેના આ નવા બિલ્ડિંગમાં ઉપલબ્ધ છે, તેમાં ઉમેરો કરવાનો ઉલ્લેખ કરતા મંત્રીએ વચન પણ આપ્યું કે, એક માસની અંદર અહીંયા ડાયાલિસિસ વિભાગ શરૂ કરવામાં આવશે. જેથી બગસરા શહેર અને ગ્રામ્યના લોકોને ડાયાલિસિસ માટે અમરેલી સુધી લાંબુ નહીં થવું પડે.
તેમણે ઉમેર્યું હતું કે, સામૂહિક આરોગ્ય કેન્દ્ર બગસરા શહેરની મધ્યમાં હોવાથી લોકોને ખૂબ સરળતાપૂર્વક આરોગ્ય સેવાઓ મળી રહેશે.
આરોગ્ય મંત્રીએ ભારત વર્ષની ઉજળી જ્ઞાન પરંપરા અને સનાતન સંસ્કૃતિનો ઉલ્લેખ કરતા કહ્યું કે, વિદેશી આતતાયીઓ અને આક્રમણકારો સામે ભારતીય સંસ્કૃતિ અજય અમર રહી છે, ત્યારે ૨૧મી સદીનું પ્રભાત સમગ્ર દેશમાં ગુજરાતી શરૂ થયું છે.તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતની પ્રજાના સામર્થ્યને સમગ્ર વિશ્વ સમક્ષ મૂકીને દેશના વિકાસના નવા આયામો સર કર્યાં છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર ભૌગોલિક વિસ્તાર અને અંતરની દ્રષ્ટિ એ પણ ઝડપી આરોગ્ય સેવાઓ મળે તે દિશામાં પણ કામ કરી રહી છે.

તેમણે ઉમેર્યું કે, વિકાસની રાજનીતિથી સતત જનતાએ વિશ્વાસ મૂક્યો છે અને વિકાસની સતત ચાલતી આ પ્રક્રિયામાં લોકોને જરૂરી સુવિધાઓ પૂરી પાડવા માટે ગુજરાત સરકાર પ્રતિબદ્ધ છે.આરોગ્ય મંત્રીએ અમરેલી જિલ્લાના સાહિત્ય અને લોકસેવાને વરેલા ઝવેરચંદ મેઘાણી, કવિ દુલા ભાયા કાગ, કવિ કલાપી, ભૂતપૂર્વ મુખ્યમંત્રી જીવરાજ મહેતા, પિ.કે. લહેરી, કે. લાલ, રમેશ પારેખ, વસંત પરીખ વગેરે પ્રતિભાઓને પણ સગૌરવ યાદ કર્યા હતા.

આ પ્રસંગે ધારી બગસરાના ધારાસભ્ય જે.વી. કાકડીયાએ પ્રાસંગિક સંબોધન કરતા કહ્યું હતું કે, ગુજરાત સરકારે સામૂહિક આરોગ્ય કેન્દ્ર આપવાની સાથે સાયન્સ કોલેજ પણ આપી છે, આમ, નાગરિકોને કોઈ સુવિધાઓ ઘટે તે દિશામાં કામ કરવામાં આવી રહ્યું છે.જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણીએ પણ પ્રસંગોચિત સંબોધન કરતા આરોગ્ય સવલતો અને કેન્દ્ર- રાજ્ય સરકારની યોજનાઓ જનધન સુધી પહોંચી છે તેનો ઉલ્લેખ કર્યો હતો.આ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદ અને વેપારી મંડળના હોદ્દેદારોએ આરોગ્ય મંત્રીનું વિશેષ સ્વાગત સન્માન કર્યું હતું.

કાર્યક્રમના પ્રારંભે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી આર.એમ. જોષીએ શાબ્દિક સ્વાગત કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, આ નવનિર્મિત ફાયર સેફટી સાથેના સીએચસીમાં ભોંયતળિયા તથા બે નિર્મિત કરવામાં આવ્યા છે. જેમાં લીફટ, ડ્રેનેજ, પાણી પુરવઠો, ઓપરેશન થિયેટર, પુરુષ તથા મહિલા દદીઁઓના વોર્ડ વગેરેનો સમાવેશ થાય છે.આ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ૩ મેડિકલ, ૧ ડેન્ટલ, ૩ લેબ ટેક્નિશિયન, ૧ ફિઝિયોથેરાપીસ્ટ, ૧ એક્સ રે ટેકનીશીયન સહિત ૩૩ અધિકારી કર્મચારીઓનું મહેકમ કાર્યરત રહેશે. જેમાં જનરલ વિભાગ, લેબર રૂમ, ઓપરેશન રૂમ, એન. બી.એસ.યુ., આઈ. સી.ટી.સી., ટીબી વિભાગ વગેરેનો સમાવેશ થાય છે.
આ પ્રસંગે લાઠી બાબરાના ધારાસભ્ય જનકભાઈ તળાવીયા, જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડ્યા, જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન અશ્વિનભાઈ કુંજડિયા, પૂર્વ ધારાસભ્ય નલીનભાઈ કોટડીયા, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી શારદાબેન બકરાણીયા, વિભાગીય નિયામક એચ.બી. વાળા, પ્રાંત અધિકારી કમલેશ નંદા, અગ્રણી સર્વ જીતુભાઈ ડેર, ઘનશ્યામભાઈ સાદરાણી, એ.વી. રીબડીયા સહિતના પદાધિકારી – અધિકારી અને સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો:રાજકોટ : આધારકાર્ડમાં નામ-સરનામાં બદલવાનું કૌભાંડ, 6 શખ્સો ઝડપાયા
આ પણ વાંચો:રાજકોટના રીબડા ગામે મોડી રાત્રે ફાયરિંગની ઘટના, પોલીસ તપાસમાં લાગી
