અમદાવાદ
પેટ્રોલ- ડીઝલના વધતા જતા ભાવના વિરોધમાં કોંગ્રેસ સહિત વિપક્ષે ભારત બંધનું એલાન કર્યું છે. આ એલાનમાં ૨૧ રાજનૈતિક પાર્ટીઓએ સમર્થન આપ્યું છે. બંધના ભાગ રૂપે આજે સવારથી ભારતભરમાં અલગ-અલગ રાજ્યોમાં વિરોધ પ્રદર્શનમાં ક્યાંક ટ્રેન રોકવામાં આવી છે તો ક્યાંક બસોમાં તોડફોડ કરવામાં આવી છે.
ત્યારે દાણીલીમડા ચાર રસ્તા ખાતે બીઆરટીએસ અને એએમટીએસ રોકવામાં આવી છે. કોંગ્રેસ નેતા બદરૂ્દ્દીન શેખે બીઆરટીએસ બસ રોકીને ભારત બંધને સમર્થન આપવાનો પ્રયાસ કર્યો હતો. હાલ કોંગ્રેસ કાર્યકરોની પોલીસે અટકાયત કરી લીધી છે.
કોંગ્રેસના ભારત બંધના પગલે અમદાવાદમાં શાહપુર, દાણીલીમડા અને મિરઝાપુરમાં એએમટીએસ અને બીઆરટીએસની બસો પર પથ્થર ફેંકવામાં આવ્યા છે. પથ્થરમારાને કારણે બસોના કાચ તૂટી ગયા છે. બંધને પગલે કોંગ્રેસ અને કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ એનએસયુઆઈએ શહેરની અનેક સ્કૂલ અને કોલેજો બંધ કરાવી હતી.