Bhavnagar PM Awas Yojana Roof Collapse: ભાવનગર મહાનગરપાલિકા (BMC) વિસ્તારમાં ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે બનાવવામાં આવેલી પ્રધાનમંત્રી આવાસ યોજનાના (PM Awas Yojana) મકાનો હવે રહીશો માટે જાનનું જોખમ બની રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. શહેરના સુભાષનગર વિસ્તારમાં આવેલી આવાસ યોજનાના એક મકાનમાં ચાલુ ઘરની છતમાંથી અચાનક મોટું ગાબડું નીચે પડવાની કાળજું કંપાવતી ઘટના સામે આવી છે. આ ભયાનક અકસ્માતમાં એક જ ઘરના 4 લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમાં 1 વ્યક્તિની હાલત અત્યંત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. સમગ્ર ઘટનાના સીસીટીવી (CCTV) ફૂટેજ સામે આવ્યા બાદ તંત્રની કામગીરી અને ભ્રષ્ટાચાર સામે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે.
Bhavnagar : કરોડોના આવાસમાં નબળા બાંધકામનો પર્દાફાશ
સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, સરકાર દ્વારા ગરીબોના આ મકાનો પાછળ કરોડો રૂપિયાનો ધુમાડો કરવામાં આવ્યો છે, પરંતુ કોન્ટ્રાક્ટરો દ્વારા વાપરવામાં આવેલી અત્યંત નબળી અને તકલાદી સામગ્રીને કારણે ટૂંકા સમયમાં જ મકાનો બિસ્માર બનવા લાગ્યા છે.
સામે આવેલા ચોંકાવનારા સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે કેવી રીતે અચાનક છતનો એક મોટો સ્લેબ (હિસ્સો) તૂટીને નીચે બેઠેલા પરિવાર પર પડે છે. આ ઘટના સમયે પરિવારના સભ્યો ઘરમાં જ હાજર હતા. ગાબડું સીધું માથાના અને શરીરના ભાગે વાગવાના કારણે એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થઈ ગઈ હતી, જેને તાત્કાલિક ગંભીર હાલતમાં સારવાર અર્થે સરકારી સિવિલ હોસ્પિટલ (Civil Hospital) ખસેડવામાં આવી છે. જ્યારે અન્ય ત્રણ લોકોને સામાન્ય ઈજાઓ થતા સ્થાનિક સ્તરે પ્રાથમિક સારવાર આપવામાં આવી છે. આ દુર્ઘટનામાં ઘરનો તમામ સામાન પણ કચ્ચરઘાણ થઈ ગયો છે.
કોન્ટ્રાક્ટર અને એન્જિનિયરો સામે પગલાં લેવા માંગ
આ હોનારતને પગલે સુભાષનગર આવાસ યોજનાના અન્ય બ્લોકના સેંકડો રહીશોમાં પણ ભારે ભય અને ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે. સ્થાનિક આગેવાનોનું કહેવું છે કે જો મકાનોની આવી જ સ્થિતિ રહી, તો આગામી ચોમાસામાં કોઈ મોટી જાનહાનિ કે હોનારત સર્જાઈ શકે છે.
અગાઉ પણ રહીશો દ્વારા આવાસોની નબળી ગુણવત્તા અંગે તંત્રને અનેકવાર લેખિત-મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશો દ્વારા હંમેશા આંખ આડા કાન કરવામાં આવ્યા હતા. આ ઘટના બાદ હવે સ્થાનિકોનો આક્રોશ ફાટી નીકળ્યો છે અને તેમણે એકસૂરે કોર્પોરેશન પાસે આ તમામ આવાસોનું તાત્કાલિક ‘સ્ટ્રક્ચરલ ઓડિટ’ (Structural Audit) કરાવવાની તેમજ ભ્રષ્ટાચાર આચરનાર જવાબદાર કોન્ટ્રાક્ટર અને બેદરકાર એન્જિનિયરો સામે કડક કાયદેસરના પગલાં લેવાની ઉગ્ર માંગ કરી છે.
