- સીએમ ભુપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળતા જ દરેક વિભાગના સચિવ સાથે બેઠક
- મુખ્યમંત્રી કચેરીમાં સીમંધર સ્વામીની મૂર્તિ તથા પૂજય દાદા ભગવાનની પૂજા કરી
- રાજ્ય મંત્રીમંડળના નવનિયુક્ત મંત્રીઓ પણ પૂજન-અર્ચનમાં સહભાગી થયા હતા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રીનો કાર્યભાર સંભાળ્યાના પ્રથમ દિવસે આજે સાંજે છ વાગ્યે રાજ્ય સરકારના તમામ વિભાગોના અધિક મુખ્ય સચિવો સાથે વન-ટુ-વન સમીક્ષા બેઠક યોજશે. મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, મુખ્ય સચિવ પંકજકુમાર અને મુખ્યમંત્રી કાર્યાલયના વરિષ્ઠ સચિવો આ સમીક્ષા બેઠકમાં જોડાશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિધાનસભા ચૂંટણીઓમાં પ્રચંડ જનસમર્થન મેળવીને સતત બીજીવાર મુખ્યમંત્રીપદનો કાર્યભાર મંગળવારે તા. 13મી ડિસેમ્બરે સવારે શુભ મૂહુર્તમાં વિધિવત સંભાળ્યો છે. મુખ્યમંત્રી કાર્યાલયમાં ભૂપેન્દ્ર પટેલે સીમંધર સ્વામીની મૂર્તિ તથા પૂજ્ય દાદા ભગવાનના શ્રીચરણોમાં ભાવપુષ્પ અર્પણ કરીને રાજ્યનું જનસેવા દાયિત્વ આજથી સંભાળી લીધું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે રાજ્ય મંત્રીમંડળના નવનિયુક્ત મંત્રીઓ પણ પૂજન-અર્ચનમાં સહભાગી થયા હતા. મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સમગ્ર મંત્રીમંડળે સહુજન હિતાય-સહુજન સુખાયની ખેવના તેમ જ ‘સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસ’ના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલા ધ્યેયમંત્ર સાથે આજે મંગળવાર તા. 13મી ડિસેમ્બરથી જ પોતાના પદભાર સંભાળ્યા છે.
મુખ્યમંત્રીશ્રીએ નવનિયુક્ત સૌ મંત્રીશ્રીઓને શુભેચ્છાઓ પાઠવી હતી અને રાજ્યના ઉત્તરોત્તર અવિરત વિકાસમાં તેમનું યોગદાન મળતું રહે તેવી મંગળ કામનાઓ વ્યક્ત કરી હતી.
આ પણ વાંચોઃ
Parashottam solanki/કેશુબાપાથી લઈને ભુપેન્દ્ર પટેલ સુધીની સરકારમાં મંત્રીપદ પાક્કુ કરતા પરષોત્તમ સોલંકી
જંગી જીત માટે PM મોદીએ ગુજરાતની જનતાનો માન્યો આભાર, મંચ પર નતમસ્તક થઇને કર્યું નમન