સ્ટેચ્યુ ઓફ યુનિટી/ ન્યાય’ શબ્દમાં ઘણું બધું સમાયેલું છે : રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ

ભારતના પ્રેરણાસ્ત્રોત લોહપુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલે આઝાદી પહેલાં ના પ૬ર જેટલા નાના-મોટા રજવાડાઓને સ્વતંત્રતા મળ્યા પછી ભારત રાષ્ટ્રમાં વિલીનીકરણ કરવામાં એ સમયે સરદાર સાહેબે મીડીએશન-મધ્યસ્થીકરણની આગવી મિશાલ પ્રસ્થાપિત કરેલી હતી.

Top Stories Gujarat
Untitled 3 10 ન્યાય’ શબ્દમાં ઘણું બધું સમાયેલું છે : રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ

સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતા નગર ખાતે દ્વિદિવસીય જ્યુડિશિયલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ઝડપી ન્યાયિક પ્રક્રીયા પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, ન્યાયમાં ઇચ્છિત પરિણામ માટે તમામ પક્ષોએ મધ્યસ્થીકરણ પ્રત્યે સકારાત્મક વલણ રાખવું જોઇએ. છેલ્લા બે દાયકાઓમાં તકરારોના વૈકલ્પિક નિવારણની પદ્ધતિ ન્યાયતંત્રમાં અસરકારક સાબિત થઇ છે. ખાસ કરીને દીવાની બાબતોના કેસોમાં આનાથી સુખદ સમાધાન લાવી શકાય છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદએ એકતાનગર ખાતે દ્વિદિવસીય નેશનલ કોન્ફરન્સ ઓન મીડિએશન એન્ડ ઇન્ફર્મેશન ટેક્નોલોજી નો રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, ભારતના મુખ્ય ન્યાયધીશ એન. વી રમણા, કેન્દ્રીય કાયદામંત્રી કિરણ રિજુજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ તથા સુપ્રિમ કોર્ટ અને વિવિધ હાઇકોર્ટસ જજીસની ઉપસ્થિતમાં શુભારંભ કરાવ્યો હતો

આ પ્રસંગે સંબોધન કરતા રાષ્ટ્રપતિએ તેમના લીગલ પ્રેક્ટિશનર તરીકેના દિવસોને યાદ કર્યા અને કહ્યું કે તે વર્ષો દરમિયાન, તેમના મન-મસ્તિષ્ક પર છવાયેલા રહેતા અનેક મુદ્દાઓ પૈકી એક ‘એક્સેસ ટુ જસ્ટીસ’ નો મુદ્દો હતો. ‘ન્યાય’ શબ્દમાં ઘણું બધું સમાયેલું છે અને આપણા બંધારણની પ્રસ્તાવનામાં તેના પર યોગ્ય રીતે ભાર મૂકવામાં આવ્યો છે.

તેમણે દરેક વ્યક્તિ સુધી ન્યાયની પહોંચ કેવી રીતે સુધારી શકાય તે વિષય પર ભાર મુક્યો. તેમણે કોન્ફરન્સ માટેના વિષયો ખૂબ જ કાળજીપૂર્વક પસંદ કર્યા હોવાની વાત કહી હતી. ન્યાયતંત્રમાં વૈકલ્પિક વિવાદ નિરાકરણ (ADR) મિકેનિઝમ અને ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી (ICT) બંને ઘણા કારણોસર મહત્વપૂર્ણ છે; પરંતુ તેમના માટે તે એટલે મહત્વપૂર્ણ છે કારણ કે તે સિસ્ટમને વધુ કાર્યક્ષમ બનાવવામાં મદદ કરશે અને ન્યાય આપવા માટે વધુ સક્ષમ બનશે, એમ રાષ્ટ્રપતિશ્રીએ જણાવ્યું હતું.

રાષ્ટ્રપતિએ કહ્યું કે છેલ્લા બે દાયકા દરમિયાન, તમામ પક્ષકારોએ વિવાદના નિરાકરણ માટે મીડિયેશન એટલે કે મધ્યસ્થીને અસરકારક સાધન માન્યું છે અને તેને પ્રોત્સાહન આપ્યું છે. ઘણા કાનૂની વિદ્વાનોએ એવું પણ અવલોકન કર્યું છે કે, નાગરિક અધિકારોના સંદર્ભમાં વ્યક્તિઓ વચ્ચે અદાલતોમાં પેન્ડિંગ મોટાભાગના કેસ એવા છે કે તેમને નિર્ણયની જરૂર નથી. આવા કિસ્સાઓમાં પક્ષકારો મધ્યસ્થીઓના માળખાગત હસ્તક્ષેપ દ્વારા તેમના વિવાદનું સમાધાન કરી શકે છે.

Untitled 3 11 ન્યાય’ શબ્દમાં ઘણું બધું સમાયેલું છે : રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ

રાષ્ટ્રપતિએ કહ્યું કે મધ્યસ્થીનો ઉદ્દેશ્ય વિવાદને કોઈ આદેશ અથવા સત્તા દ્વારા ઉકેલવાનો નહીં પરંતુ તેના બદલે, તે પક્ષકારોને મધ્યસ્થી દ્વારા વ્યવસ્થિત મધ્યસ્થી બેઠકો કરી સમાધાન પર પહોંચવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. કાયદો એક પ્રોત્સાહન પણ પૂરું પાડે છે: જો કોઈ પણ પેન્ડિંગ કેસની મધ્યસ્થી દ્વારા પતાવટ કરવામાં આવે, તો અરજદાર પક્ષ દ્વારા જમા કરવામાં આવેલી સમગ્ર કોર્ટ ફી પરત કરવામાં આવે છે. આમ, ખરેખર તો મધ્યસ્થીથી ઉકેલ લાવવામાં દરેક પક્ષ વિજેતા છે.

રાષ્ટ્રપતિએ કહ્યું કે મધ્યસ્થતાની વિભાવનાને હજુ સમગ્ર દેશમાં વ્યાપક સ્વીકૃતિ મળી નથી. તેમણે નોંધ્યું કે કેટલાક સ્થળોએ પૂરતા પ્રશિક્ષિત મધ્યસ્થીઓ ઉપલબ્ધ નથી. ઘણા મધ્યસ્થી કેન્દ્રો પર માળખાકીય સુવિધાઓને અપગ્રેડ કરવાની જરૂર છે. તેમણે કહ્યું કે આ અસરકારક સાધનથી વ્યાપક વસ્તીને લાભ મળે તે માટે આ અડચણોને વહેલી તકે દૂર કરવી પડશે. તદુપરાંત, જો આપણે ઇચ્છિત પરિણામો હાંસલ કરવા માંગતા હોઇએ, તો તમામ પક્ષકારોએ મધ્યસ્થી પ્રત્યે સકારાત્મક વલણ દર્શાવવું પડશે. આ સંદર્ભે, તાલીમ ઘણો ફરક લાવી શકે છે. તાલીમ વિવિધ સ્તરે પ્રદાન કરી શકાય છે, ઇન્ડક્શન સ્ટેજ પર પ્રારંભિક અભ્યાસક્રમોથી લઈને મિડ-કેરિયર વ્યાવસાયિકો માટે રિફ્રેશર અભ્યાસક્રમોનું પણ આયોજન કરી શકાય છે. તેમણે એ વાતની પણ પ્રશંસા કરી કે સુપ્રીમ કોર્ટની મધ્યસ્થી અને સમાધાન પ્રોજેક્ટ કમિટી રાજ્યોમાં તાલીમ કાર્યક્રમોનું આયોજન કરીને ઉત્તમ કાર્ય કરી રહી છે.

કોન્ફરન્સના બીજા વિષય એટલે કે ઈન્ફોર્મેશન ટેક્નોલોજી વિશે વાત કરતા રાષ્ટ્રપતિએ કહ્યું કે આપણે બધા ખૂબ જ મુશ્કેલ સંકટમાંથી પસાર થયા છીએ. છેલ્લા બે વર્ષ દરમિયાન પહેલા ક્યારેય ન જોયેલા સંકટ વચ્ચે, જો એક આશા હતી તો તે માહિતી અને સંચાર ટેકનોલોજીથી હતી. આવશ્યક પ્રવૃત્તિઓ માટે અને અર્થવ્યવસ્થાના પૈડાંને ગતિમાન રાખવામાં ICT સૌથી વધુ મદદરૂપ સાબિત થયું. રિમોટ વર્કિંગની જેમ, રિમોટ લર્નિંગે શિક્ષણમાં વિક્ષેપ ટાળવામાં મદદ કરી. એક રીતે, આ કટોકટી ડિજિટલ ક્રાંતિ માટે એક તક સાબિત થઈ છે. જાહેર સેવા વિતરણને વધુ કાર્યક્ષમ બનાવવા માટે ICTને લોકો ઝડપથી અપનાવી રહ્યા છે. જ્યારે પ્રત્યક્ષ મેળાવડાઓને ટાળવા પડ્યા, તે સમયમાં વર્ચ્યુઅલ સુનાવણી દ્વારા ન્યાય આપવો પણ શક્ય બન્યો હતો.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું કે સંસદ, સરકાર અને ન્યાયપાલિકા લોકશાહીના આધારસ્તંભ છે. ન્યાય પાલિકાને સૌના વિકાસ, વિશ્વાસ અને શ્રદ્ધાનું આસ્થા કેન્દ્ર ગણાવતા તેમણે ઉમેર્યું કે સરકાર અને ન્યાયપાલિકા પરસ્પર તાલમેલ અને પવિત્રતાથી કામ કરે તો રાષ્ટ્ર વિકાસની નવી ઉંચાઈઓ હાંસલ કરી શકે છે.

તેમણે ઉમેર્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સક્ષમ નેતૃત્વમાં દેશ આત્મનિર્ભર બનવાની દિશામાં આગળ વધી રહ્યો છે.કોવિડ કાળમાં પણ ન્યાય પાલિકાએ સમયાંતરે સંકટની ઘડીમાં સરકારને માર્ગદર્શન આપી પોતાની ભૂમિકા નિભાવી છે. નાગરિકોને પારદર્શિ અને ઝડપી ન્યાય મળશે તો સુંદર સમાજની રચના થશે એવો વિશ્વાસ વ્યક્ત કરતા રાજ્યપાલ જણાવ્યું કે અપરાધી બચી ન શકે અને ધર્માત્મા દુઃખી ન થાય એવા સકારાત્મક અને સમર્પિત ભાવથી કાર્ય કરીશું તો નાગરિકોનો ન્યાય પ્રણાલી પ્રત્યેનો વિશ્વાસ વધશે અને રાષ્ટ્રની પ્રગતિ, ઉન્નતિ સાથે પ્રજાજનોની સમૃદ્ધિ પણ વધશે તેમ તેમણે ઉમેર્યું હતું. નાગરિકોને ઝડપી ન્યાય આપવા માટે આ કોન્ફરન્સ સફળ અને પ્રેરણાદાયી બની રહેશે એવો વિશ્વાસ રાજ્યપાલશ્રીએ વ્યક્ત કર્યો હતો.

ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ એન. વી. રમણા*
ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ એન. વી. રમણાએ જણાવ્યું કે, સંઘર્ષ એ માનવજાતનો બીજો ચહેરો છે. સંઘર્ષથી થતાં નુકસાન અને ગેરફાયદા જોવા માટે વ્યક્તિ પાસે દૂરદર્શિતા હોવી જોઈએ. વિવાદ પક્ષકારોના સંબંધને માત્ર બગાડતા જ નથી. પણ, લાંબા ચાલતા મુકદ્દમા તેના સંસાધનોને જ નષ્ટ કરી શકે છે અને જીવનભરની દુશ્મનાવટનું કારણ બને છે. દરેક સંઘર્ષ કે મતભેદનો અંત કોર્ટમાં જ થાય એ જરૂરી પણ નથી.

મહાભારતનું ઉદાહરણ આપતા તેમણે કહ્યું કે, તટસ્થ વાતાવરણમાં મતભેદો ઉકેલી શકાય છે. જ્યાં તમામ પક્ષોને તેમનો ઇચ્છિત ન્યાય મળતો હોય છે. કારણ કે જીવન એક સંતુલિત કાર્ય છે. ગુજરાત વેપારીઓ માટે જાણીતું છે અને તેમનાથી વધુ સારી રીતે કોઈ જાણતું નથી કે સમય ખોવાઈ ગયો એટલે પૈસા ગુમાવ્યા. એટલે વિવાદનો ઝડપથી ઉકેલ આવે તે જરૂરી છે. વિવાદોને અસરકારક રીતે અને ઝડપથી ઉકેલવાની જરૂરિયાતને સમજવા માટે વેપારીઓ કરતાં કોણ વધુ સારું ઉદાહરણ હોય. હકીકતમાં કુશળ ઉદ્યોગપતિ આવા વિવાદોનો સામનો કરે છે. લોક અદાલતો અને આર્બિટ્રેશન કેન્દ્રો દ્વારા વૈકલ્પિક તકરાર નિવારણનો ખ્યાલ ભારતમાં કાયદાકીય લેન્ડસ્કેપને બદલી શકે છે, એમ તેમણે ઉમેર્યુ હતું.  એડીઆર ન્યાયિક સંસાધનોને પણ બચાવી શકે છે. પ્રિ-લિટીગેશન સ્ટેજ પર મધ્યસ્થી અને વાટાઘાટ એ વિવાદોને ઉકેલવા માટેની સૌથી વધુ સારી પદ્ધતિ છે. કારણ કે તે પક્ષકારોની સહભાગિતાને મહત્તમ બનાવે છે. પ્રક્રિયામાં બહારના લોકોને બદલે, તેમની સીધી ભાગીદારી ધરાવતા નાગરિકો પ્રક્રિયાના અંદરના લોકો હશે. મધ્યસ્થી આંતરરાષ્ટ્રીય વ્યાપારી ક્ષેત્રમાં પણ ચલણમાં આવી રહી છે. પ્રિ-લિટીગેશન સ્ટેજ પર ખાનગી મધ્યસ્થી પણ સામાન્ય બની રહી છે. એડીઆરની સંપૂર્ણ સંભાવનાને સાકાર કરવામાં અદાલતોની ભૂમિકા નિર્ણાયક છે. કેસ મેનેજમેન્ટ માટે મધ્યસ્થી અને વાટાઘાટોને ફરજિયાત બનાવવા માટે અદાલતો દ્વારા સક્રિય પ્રયત્નો કરવા જોઈએ. વકીલોએ પ્રિ-લિટીગેશન મધ્યસ્થીની દરેક તકને છોડવી ના જોઇએ. પ્રક્રિયાના વહેલા ઉકેલની ખાતરી કરવાની અને વિલંબની યુક્તિ તરીકે તેનો ઉપયોગ ન કરવાની જવાબદારી પક્ષકારોની છે. મધ્યસ્થી દરમિયાન કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓ નક્કી કરવા માટે અમને કુશળ મધ્યસ્થીઓની જરૂર છે, ખાસ કરીને જ્યારે તે એક પક્ષની તરફેણમાં હોય અને જો તે નબળા પક્ષ માટે અન્યાયી હોય અને જો મધ્યસ્થી મૂક પ્રેક્ષક હોવો જોઈએ અને ભારત જેવા વૈવિધ્યસભર સામાજિક તાણાવાળ દેશ માટે આ અસરકારક છે.
મહાત્મા ગાંધીએ કહ્યું હતું કે વકીલનું સાચું કામ પક્ષકારોને એક કરવાનું છે. વકીલો અને કાયદાના વિદ્યાર્થીઓ માટે મધ્યસ્થી અને વાટાઘાટોમાં કુશળતા વિકસાવવી ખૂબ જરૂરી છે. તેમ મુખ્ય ન્યાયમૂર્તિએ ઉમેર્યુ હતું. ન્યાયિક પ્રક્રીયામાં હવે નવી ટેક્નોલોજીનો ઉપયોગ થતો જાય છે. કોરોનાની વૈશ્વિક મહામારીએ ન્યાયતંત્રને વધુ ટેક્નોસાવી બનાવી છે. હવે, આ સેમિનાર જનકલ્યાણ માટે ટેક્નોલોજીના ઉપયોગ માટે અસરકારક સાબીત થશે, એવી અપેક્ષા તેમણે દર્શાવી હતી.

મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઇ પટેલ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેવડીયા ખાતે યોજાઈ રહેલ દ્વિ દિવસીય નેશનલ જયુડીસરી કોન્ફરન્સ પ્રસગે મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઇ પટેલ, મોરારજી દેસાઇ અને વિશ્વ નેતા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇની ભૂમિ ગુજરાતમાં સૌને આવકારતા કહ્યું કે, આ કોન્ફરન્સ એ દેશમાં ન્યાયપાલિકાને વધુ સુદ્દઢ બનાવવા માટે મહત્વની પુરવાર થશે, ન્યાયાલયમાં ઇન્ફર્મેશન ટેકનોલોજીનો ઉપયોગ થતા નાગરિકોને ઝડપથી અને સરળતાથી ન્યાય મળે તે માટે આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે યોજાઇ રહેલી આ કોન્ફરન્સ દેશભરમાં ન્યાયતંત્ર માટે અમૃતકાળ બનશે એમ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ હતું.

મુખ્યમંત્રી પટેલ ઉમેર્યું કે, ભારતની એકતા અખંડિતતાના પ્રતિક અને એક ભારત-શ્રેષ્ઠ ભારતના પ્રેરણાસ્ત્રોત લોહપુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલે આઝાદી પહેલાં ના પ૬ર જેટલા નાના-મોટા રજવાડાઓને સ્વતંત્રતા મળ્યા પછી ભારત રાષ્ટ્રમાં વિલીનીકરણ કરવામાં એ સમયે સરદાર સાહેબે મીડીએશન-મધ્યસ્થીકરણની આગવી મિશાલ પ્રસ્થાપિત કરેલી હતી.
આપણી સનાતન સંસ્કૃતિમાં પણ સદીઓથી આવી મધ્યસ્થીકરણની પરંપરા અસ્તિત્વમાં હતી. ત્યારે આ પરંપરા હાલની ન્યાય પ્રણાલિમાં સુસંગત નીવડી રહી છે. મીડીએશન દ્વારા પક્ષકારો પોતાના વિવાદને અલગ અલગ દ્રષ્ટિકોણથી જાણી, સમજી મીડીએશનની મદદથી તેમને માન્ય હોય તેવું સમાધાન અપનાવીને ન્યાય મળે એ માટે આજની કોન્ફરન્સ મહત્વની પુરવાર થશે, એવો વિશ્વાસ વ્યકત કર્યો હતો.