વિનાયક દામોદર સાવરકર એક એવું નામ છે જે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે દાયકાઓથી ચર્ચામાં રહ્યું છે. તાજેતરમાં જનતા સમક્ષ ભાજપે કરેલા વચનથી આ મુદ્દો આગમાં ઘી નાખવા બરાબરનનો બની ગયો છે. મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે પોતાનું સંકલ્પ પત્ર બહાર પાડ્યું છે જેમાં પાર્ટીએ સાવરકરને ભારત રત્ન આપવાની અપીલ કરી છે. આ અંગે નિશાનો સાધતા કોંગ્રેસે કહ્યું કે, હવે ભગવાન જ આ દેશને બચાવી શકે, અહીં કંઈ પણ થઈ શકે છે.
ભાજપ પર કટાક્ષ કરતાં કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા મનીષ તિવારીએ આ વાતની આકરી ટીકા કરી છે. તેમણે કહ્યું હતું કે, મહાત્મા ગાંધીની હત્યા માટે સાવરકર પર ફોજદારી કાર્યવાહી કરવામાં આવી હતી, આ મામલે કપૂર પંચ દ્વારા પણ તપાસ કરવામાં આવી હતી. મનીષે કહ્યું કે, તાજેતરમાં જ પ્રકાશિત લેખમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે આયોગે સાવરકરને મહાત્મા ગાંધીની હત્યા માટે જવાબદાર ઠેરવ્યા હતા, હવે તેમને ભારત રત્ન આપવાનું કહેવામાં આવી રહ્યું છે. હવે ભગવાન આ દેશને બચાવે.
આપને જણાવી દઈએ કે, મહારાષ્ટ્રમાં જારી કરાયેલા પોતાના સંકલ્પ પત્રમાં ભાજપે પણ વીર સાવરકરને ભારત રત્ન આપવાનું વચન આપ્યું છે. રાજ્યનાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, અમારી સરકાર કેન્દ્ર સરકારને વીર સાવરકરને ભારત રત્ન આપવાની માંગણીને આગળ ધપાવશે. અમારો પ્રયાસ છે કે સાવરકરને ભારત રત્ન મળે. આ ઉપરાંત ભાજપે સાવિત્રીબાઈ ફુલે અને જ્યોતિ રાવ ફુલેને પણ પોતાના સંકલ્પ પત્રમાં ભારત રત્ન આપવાનું વચન આપ્યું છે.
આપને જણાવી દઈએ કે, મહારાષ્ટ્ર અને હરિયાણા બંને રાજ્યોમાં 21 ઓક્ટોબરે વિધાનસભાની ચૂંટણી માટે મતદાન થવાનુ છે. 24 ઓક્ટોબરનાં રોજ મતની ગણતરી કરવામાં આવશે. ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજકીય પક્ષો રેલીઓ કરી રહ્યા છે, ભાજપે પણ આ ચૂંટણીમાં લોકોને ઘણા મોટા વચનો આપ્યા છે. શિવસેનાની રચના બાદ પહેલીવાર ઠાકરે પરિવારનો સભ્ય ચૂંટણીનાં મેદાનમાં છે. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેનાં મોટા પુત્ર આદિત્ય ઠાકરે મુંબઈની વરલી વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. આવી ઘણી બાબતો છે કે જેને લઇને આ વખતની આ બે રાજ્યોની વિધાનસભાની ચૂંટણી જોવા જેવી રહેશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવો મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.