ભાજપે લોકસભા ચૂંટણી 2024ની તૈયારીઓ શરૂ કરી દીધી છે. મંગળવારે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહાસચિવ બીએલ સંતોષે કેન્દ્રીય મંત્રીઓ સાથે 144 લોકસભા સીટો પર પાર્ટીને મજબૂત કરવાની કવાયતની સમીક્ષા કરી હતી.
આ બેઠક મહત્વની છે કારણ કે તે એવા સમયે કરવામાં આવી રહી છે જ્યારે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની “ભારત જોડો યાત્રા” બુધવારથી શરૂ થવાની છે અને બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર દિલ્હીમાં વિપક્ષી નેતાઓને મળીને લોકસભાની ચૂંટણી પહેલા તમામ પક્ષોને એક કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
મીટિંગ કેમ કરવામાં આવી રહી છે
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, આ બેઠકમાં લોકસભાની એ 144 બેઠકો જીતવા માટે રણનીતિ તૈયાર કરવામાં આવી હતી, જેના પર ભાજપ છેલ્લી ચૂંટણીમાં મામૂલી માર્જિનથી ચૂકી ગઈ હતી. આમાં એવા મતવિસ્તારોનો પણ સમાવેશ થાય છે કે જ્યાં ભાજપ 2019ની લોકસભા ચૂંટણીમાં બીજા કે ત્રીજા ક્રમે રહી હતી અને એ પણ જે તે ક્યારેય જીતી શકી નથી.
સૂત્રોએ એમ પણ જણાવ્યું કે આ બેઠકોને જૂથોમાં વહેંચવામાં આવી હતી અને દરેક જૂથનું નેતૃત્વ એક કેન્દ્રીય મંત્રી દ્વારા કરવામાં આવ્યું હતું. મંત્રીઓએ આ મતવિસ્તારોમાં ભાજપની સ્થિતિનું વિશ્લેષણ કર્યું અને 2024ની ચૂંટણીમાં પાર્ટીની જીત સુનિશ્ચિત કરવા માટે જરૂરી પગલાંની ઓળખ કરી. માનવામાં આવે છે કે મંત્રીઓએ આજે બેઠક દરમિયાન આ મતવિસ્તારો અંગે વિગતવાર અહેવાલ રજૂ કર્યો હતો.
બેઠકમાં ભાજપના દિગ્ગજ નેતાઓ હાજર
ભાજપની આ મહત્વની બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ, રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, સંગઠન મહાસચિવ બીએલ સંતોષ, સુનિલ બંસલ, ભૂપેન્દ્ર યાદવ, કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ, કેન્દ્રીય મંત્રી પ્રહલાદ પટેલ, કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખર, સુભાષ સરકાર, કેન્દ્રીય મંત્રી જી. કિશન રેડ્ડી એલ મુર્ગન, પંકજ ચૌધરી, કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રા ટેની, કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશ, કેન્દ્રીય રાજ્ય મંત્રી કૌશલ કિશોર, કેન્દ્રીય મંત્રી સંજીવ બાલિયાન, કેન્દ્રીય મંત્રી બીએલ વર્મા અર્જુન મુંડા અને કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ હાજર હતા.