મોરબીવાસીઓ અને મચ્છુ જાણે દુર્ઘટનાનો પર્યાય બની ગયા છે. તેમા પણ મોરબી પરના સસ્પેન્શન બ્રિજની દુર્ઘટનાએ ફરી પાછા ઐતિહાસિક વિરાસતોની જાળવણી અને તેના સમારકામ અંગે સવાલ સર્જયા છે. બીજા શબ્દોમાં કહીએ તો મોરબીવાસીઓએ છઠના દિવસે ફક્ત 17 રૂપિયામાં ‘ઉપર’ની ટિકિટ ખરીદી હતી.
તહેવારના દિવસે સ્વાભાવિક રીતે ધસારો હોય ત્યારે બ્રિજ પર જવા માટે સાંજે ટિકિટ ખરીદનારાઓને કબર નહી હોય હોય કે તેઓ તેમની આખરી ટિકિટ ખરીદી રહ્યા છે. આ લોકોએ રીતસરની ઉપરની જ ટિકિટ ખરીદી હતી.
દુર્ઘટના માટે તંત્ર તો જવાબદાર છે જ, પણ તેની સાથે પ્રજા તરીકેની સામૂહિક શિસ્તનો અભાવ પણ ઉડીને આંખે વળગીને સામે આવ્યો. દરેક દુર્ઘટના વખતે તંત્રએ તો જાગવું જોઈએ તેવી વાતો આપણે પ્રજા તરીકે કરતા રહીએ છીએ, તેના દોષિતોની તપાસ કરવા લાગી જઈએ છીએ. કોઈકના માથે દોષનો ટોપલો ઠેરવીને આપણે બધુ પૂરુ કર્યાનો સંતોષ માનીએ છીએ.
પણ પ્રજા તરીકે આપણે કેટલા જવાબદાર. કમાણી કરનારે તો 17 રૂપિયામાં આપણને મોતની ટિકિટ પકડાવી, પણ પુલની ભીડને જોઈને આપણને ખ્યાલ ન આવ્યો કે ભાઈ આપણી શું સ્થિતિ થશે. પુલના પ્રારંભમાં જ 150ની ક્ષમતાવાળુ બોર્ડ મૂકાયેલું જ છે અને સૂચનાઓ લખેલી જ છે, પરંતુ પુલ પર પણ આપણે દરેક જાહેર સંસાધનને નુકસાન પહોંચાડવાની માનસિકતામાંથી બહાર ન આવ્યા. પુલ તૂટ્યા પહેલાનો વિડીયો બધાએ જોયો છે, કેટલાક યુવાનો રીતસરને પુલ પર કૂદકા મારી રહ્યા હતા, તેની જાળીઓને જોર-જોરથી હલાવી રહ્યા હતા. શું આ લોકો પણ બેદરકાર નથી.
સરકારે તો દરેક મૃતદેહની કિંમત ગણીએ તો રાજ્ય સરકારના બે લાખ અને કેન્દ્ર સરકારના ચાર લાખ એમ છ લાખ આંકી લીધી. પણ આ મૃત્યુ પામ્યા તેમણે તો ફક્ત પોતાની અને પોતાના કુટુંબના દરેક સભ્યની કિંમત 17 રૂપિયા જ આંકી.
