NCBના પૂર્વ ઝોનલ ડાયરેક્ટર અને IRS ઓફિસર સમીર વાનખેડેની મુશ્કેલી વધી રહી છે. હવે મહારાષ્ટ્રના આબકારી વિભાગે વાનખેડે વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. આરોપ છે કે સમીર વાનખેડેએ છેતરપિંડી કરીને સદગુરુ હોટેલ એન્ડ બારનું લાઇસન્સ મેળવ્યું હતું. અગાઉ થાણે કલેક્ટરના આદેશ પર તેનું લાઇસન્સ રદ કરવામાં આવ્યું હતું.
થાણેના કોપરી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઈઆર મુજબ, વાનખેડેએ તેની ઉંમર વિશે ખોટા નિવેદનો કરીને હોટેલ અને બાર માટે લાયસન્સ મેળવ્યું હતું. 1996-97માં તે 18 વર્ષથી ઓછી વયનો હતો અને લાઇસન્સ માટે લાયક નહોતો. આ હોવા છતાં, તેણે થાણેની સદગુરુ હોટેલ માટેના તેના કરારમાં મેજર હોવાનો દાવો કર્યો હતો.
સમીર વાનખેડેની સદગુરુ હોટેલ માટે 1997માં ફાઈલ કરવામાં આવેલી લાઇસન્સ અરજીમાં ઉંમરની ખોટી રજૂઆત કરવામાં આવી હતી. થાણેના આબકારી અધિક્ષક અને વાનખેડેના વકીલને સાંભળ્યા બાદ, હોટેલનું લાઇસન્સ રદ કરવા માટે છ પાનાનો આદેશ પસાર કરવામાં આવ્યો હતો. આ બારમાં દારૂ વેચવાની છૂટ હતી.
કલેક્ટરની તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે વાનખેડેએ 27 ઓક્ટોબર 1997ના રોજ હોટલ અને બારનું લાઇસન્સ મેળવ્યું હતું. લાઇસન્સ મેળવવા માટે 21 વર્ષની ઉંમર જરૂરી હતી, પરંતુ તે સમયે વાનખેડેની ઉંમર 18 વર્ષથી ઓછી હતી તેથી તેનું લાઇસન્સ રદ કરવામાં આવ્યું હતું.