સુરત,
મકરસંક્રાંતિના તહેવારનું સુરતી લાલાઓમાં અનેરું મહત્વ હોય છે. મકરસંક્રાતિ આવે એ પહેલા તેની તૈયારીઓ ચાલુ થઇ જાય છે.પતંગરસિયા તો કાગડોળે રાહ જોતા હોય છે આ તહેવારની. એવામાં સુરત શહેરમાં મજુરા ગેટ પાસે આવેલા કૈલાસનગર વિસ્તારમાં રહેતા મુકેશભાઈ સોરઠીયા ૪૮ વર્ષ જૂની એન્ટિક પીસ કહીં શકાય તેવી ફિરકીથી જ પતંગ ઉડાવે છે.
આ ફીરકી અંગે મુકેશભાઈ કહે છે, કે તેમણે આ ફીરકી તેઓ ધોરણ ૮માં ભણતા હતા ત્યારે બનાવી હતી. તેમણે બાળપણથી જ પતંગ ચગાવવાનો ગાંડો શોખ હતો. શાળાથી છૂટીને સીધા તેમના ઘરના છાપરા પર પતંગ ચગાવવા ચડી જતા. એ સમયે તેમના ઘરમાં ફીરકી બજારમાંથી લઇ શકાય તેવી પરીસ્થિતિ ન હતી. આથી તેમણે ફીરકી ઘરે બનાવવાનો વિચાર આવ્યો. મુકેશભાઈ શનિવારી બજારમાંથી ચકરડી લઇ આવ્યા અને તેની વચ્ચે લાકડાનો ડાંડો ભરાવી દીધો. આ ફીરકીની રચના અત્યારે બજારમાં મળતી સ્ટીલ, ફાઈબર કે લાકડાની મળતી ફીરકી કરતા થોડીક અલગ છે.
વધુમાં મુકેશભાઈએ ઉમેર્યું હતું કે, દર વર્ષે તેઓ ઉત્તરાયણમાં આ ફીરકીનો ઉપયોગ કરે છે. તેમની આ ફીરકીને જોવા માટે મોટી સંખ્યામાં લોકો આવે છે. આજની યુવા પેઢીમાં તે અનોખું આકર્ષણ જમાવે છે. આ ફિરકીમાં ૩૦૦૦ થી ૪૦૦૦ વાર દોરો સમય છે. મુકેશભાઈ આ ફિરકી સાથે વિવિધ પતંગ હરીફાઈમાં ભાગ પણ લે છે.
