આજે ગુજરાતનો 60મો સ્થાપનાં દિવસ છે. ત્યારે ગુજરાત સ્થાપના દિવસની ઉજવણીના ભાગરુપે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ અમદાવાદ શહેરમાં મહાગુજરાત ચળવળનાં પ્રણેતા ઈન્દુલાલ યાજ્ઞિકની પ્રતિમાને પુષ્પાંજલિ કરી હતી. આ કાર્યક્રમમાં મુખ્યપ્રધાન રૂપાણીની સાથે શહેરનાં મેયર બીજલબેન પટેલ અને ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજા પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનાં ભાગરૂપે શહેરનાં ભદ્ર વિસ્તારમાં આવેલા શહીદ સ્મારક ખાતે યોજાનારા કાર્યક્રમમાં પણ મુખ્યપ્રધાન રૂપાણી સહિતનાં ભાજપ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત સ્થાપના દિવસની ઠેર-ઠેર ઉજવણી થઈ રહી છે ત્યારે મુખ્યપ્રધાન રૂપાણીએ તમામ ગુજરાતવાસીઓને શુભકામનાઓ પણ પાઠવી હતી. અમદાવાદ શહેરના ભદ્ર વિસ્તારમાં આવેલા શહીદ સ્મારક ખાતે યોજાનારા કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહ્યાં હતા. આ કાર્યક્રમમાં મહાગુજરાત આંદોલન દરમિયાન શહીદ થયેલા વીરોના સ્મારકને પુષ્પાંજલિ કરવામાં આવી હતી.
વડાપ્રધાન મોદીએ ટ્વીટર પર શુભેચ્છાએ આપતા જણાવ્યું હતું કે ‘ગુજરાત દિવસની શુભકામનાઓ ગુજરાતીઓ સાહસ, સંશોધન અને વ્યાપારી કુશળાતા માટે જાણીતા છે. રાજ્ય કિર્તીની નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરે તેવી શુભેચ્છા. જય જય ગરવી ગુજરાત !’