કેરળ વિધાનસભામાં ડાબેરી મોરચાનું શાસન જશે કે રહેશે તે પેચીદો પ્રશ્ન, હૈદરાબાદના વિજય બાદ ભાજપ પણ પૂરી તાકાત સાથે ઝંપલાવે તેવી શક્યતા
રાજકારણીઓ પરિસ્થિતિ ગમે તેવી હોય પણ ચૂંટણીની રાહ જોતા જ હોય છે અને તે વાત આપણે જીવલેણ કોરોના કાળમાં યોજાયેલી ચૂંટણી પછી અનુભવી શક્યા છીએ. આગામી મે માસમાં જે પાંચ રાજ્યોમાં ચૂંટણી યોજાઈ રહી છે, તેમાંનું એક રાજ્ય છે કેરાળા. કેરાળા જે મોટે ભાગે કેરલ તરીકે ઓળખાય છે. જેનું પાટનગર પહેલા ત્રિવેન્દ્રમ હતું, હવે તે પણ થીરૂઅનંતપુરમ તરીકે ઓળખાય છે.
કેરાળામાં ૧૯૫૭ના તેના સ્થાપના કાળથી અત્યાર સુધીમાં ૧૫થી વધુ વખત ચૂંટણી યોજાઈ ચુકી છે. પાંચ વખત રાષ્ટ્રપતિ શાસન પણ લાગી ચૂક્યું છે અને ૧૩થી વધુ મુખ્ય મંત્રીઓને આ રાજયમાં શાસન કરવાનો મોકો મળ્યો છે. જો કે, કેરળની વિશિષ્ટતા એ છે કે, ત્યાંની પ્રજા નોરીપીટ થિયરીમાં માને છે. જો કે સત્તાનો સ્વાદ માત્રને માત્ર ડાબેરી સમાજવાદી વિચારધારા વાળા પક્ષોને અને કોંગ્રેસને મળ્યો છે. મુખ્ય સ્પર્ધા પણ આ બે પક્ષો વચ્ચે રહી છે. કેરાળામાં ડાબેરી અથવા કોંગ્રેસના ગઠબંધન વચ્ચે સત્તાની ફેરબદલીનો સીલસીલો યથાવત રહ્યો છે.
૨૦૧૬માં યોજાયેલ વિધાનસભાની ચૂંટણીમાં ડાબેરી મોરચો કે જેમાં સીપીએમનું નેતૃત્વ હતું, તેણે સત્તા કબ્જે કરી હતી. સીપીએમને ૫૬ અને સીપીઆઈને ૧૯ અને અન્ય પક્ષોને બાકીની બેઠકો મળી હતી. હાલ વિજયન મુખ્યમંત્રી છે. અને ડાબેરી મોરચાની સત્તા છે. જ્યારે લોકસભાની ૨૦ બેઠકોમાંથી ૧૩થી વધુ બેઠકો કોંગ્રેસ અને તેના ગઠબંધન પાસે છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ, રાહુલ ગાંધી પણ ૨૦૧૯માં અમેઠીમાં હાર્યા, પણ કેરળના વાયનાડ મતવિસ્તારમાંથી બે લાખ કરતા વધુ મતની સરસાઈથી જીત્યા હતા. અત્યારે કોંગ્રેસના મોવડી મંડળ સામે બાયો ચઢાવનાર અને વિવાદી વિધાનો કરવા માટે જેની ખ્યાતિ છે તે શશીધરૂર પણ કેરળમાંથી ચૂંટાયેલા કોંગ્રેસી સાંસદ છે.
કેરાળામાં સાક્ષરતાનું પ્રમાણ ૯૫ ટકા કરતાં વધુ છે. લીલીનાં ઘર જેવો વિસ્તાર છે – પ્રવાસ ધામો છે, દરિયો છે, છતાંય પૂર જેવી આફતો અવાર નવાર આવ્યા કરે છે. હમણાની વાત કરીએ તો ભારતમાં કોરોનાનો પ્રથમ દર્દી કેરળમાં નોંધાયો હતો. આમ છતાં મતદારો પ્રગતિશીલ વિચારધારાવાળા છે અને પરિવર્તનના હિમાયતી છે. ઘણા કિસ્સામાં ત્યાં આપણા ગુજરાતી ગીત (ભજન)ની પંક્તિઓ ખોટી પડે છે. ‘અભણ કેટલું યાદ રાખે અને ભણેલો ભુલી જાય’ અહિંયા તો કેરળનો શિક્ષિત મતદાર બધાને યાદ રાખે છે. પ્રજાની અપેક્ષા પૂર્ણ ન કરનાર શાસકોને વિદાય પણ મળી જાય છે. ત્યાં જો કે પક્ષાંતરનું દુષણ વર્ષોથી છે. તેના કારણે પાંચ વખત રાષ્ટ્રપતિ શાસન પણ લાદવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું.
કેરાળાનાં ચૂંટણી ઇતિહાસ પર નજર નાખીએ તો ૧૯૫૭થી ચૂંટણીઓ થાય છે. પહેલી ચૂંટણીમાં કોંગ્રેસ હતી તો મધ્ય સત્ર ચૂંટણી બાદ ડાબેરી પક્ષોના ટેકા સાથે પ્રજા સમાજવાદી પક્ષનું શાસન આવ્યું હતું અને કદાચ નજર નાખીએ અને ઈતિહાસ તપાસીએ તો ત્યાં પટ્ટમથાનુ પિલ્લાઈ પહેલા અને છેલ્લા પ્રજા સમાજવાદી મુખ્યમંત્રી હતા.
@વરિષ્ઠ પત્રકાર અને કટાર લેખક – હિંમત ઠક્કરની કલમથી…..
૧૯૫૭માં ડાબેરી મોરચો (સીપીઆઈ) ૧૯૬૦માં કોંગ્રેસ ૧૯૬૫માં ફરી ડાબેરી મોરચો, ૧૯૬૭માં ડાબેરી મોરચો ૧૯૭૦માં કોંગ્રેસ સત્તા પર હતી. ૧૯૭૦માં ડાબેરી મોરચો, ૧૯૭૭માં કોંગ્રેસ પ્રેરીત મોરચો ૧૯૮૨માં પરી ડાબેરી મોરચો ૧૯૯૧માં કોંગ્રેસ. ૧૯૯૬માં ડાબેરી મોરચો ૨૦૦૧માં ફરી ડાબેરી મોરચો ૨૦૦૬માં પણ ડાબેરી મોરચાએ ફરી સત્તા મેળવી હતી. ૨૦૧૧માં કોંગ્રેસ અને ૨૦૧૬માં ફરી ડાબેરી મોરચાની સત્તા આવી હતી.
જો કે, ૧૯૭૦ બાદ કેરળમાં કોંગ્રેસ ક્યારેય પોતાની તાકાતથી સત્તાપર આવી નથી. સ્થાનિક પક્ષો કે મુસ્લિમ લીગ જેવા પક્ષો સાથે સમજુતિ કરવી પડી છે. કોંગ્રેસ મોટો ભાઈ બને છે, પણ ઘણી ચૂંટણીમાં તે સિંગલ લાર્જેસ્ટ પાર્ટી પણ બની શકેલ નથી. ત્યાં કોંગ્રેસ ઉપરાંત સીપીએમ, સીપીઆઈ, પ્રજાસમાજવાદી પક્ષ અને સંયુક્ત સમાજવાદી પક્ષને બેઠકો મળેલી હતી. જો કે ૧૯૬૭ બાદ પ્રજા સમાદવાદી પક્ષ અને ૧૯૭૭ બાદ સંયુક્ત સમાજવાદી પક્ષ ભુતકાળ બની ગયા છે. જ્યારે ઈન્ડિયન મુસ્લિમ લીગ મોટે ભાગે કોંગ્રેસનો સાગરીત છે. જ્યારે કેઈસી પણ કોંગ્રેસની સાથે છે. ચારેક ચૂંટણીમાં અપક્ષો પણ કેરળમાં કીંગમેકર બન્યાના દાખલા છે.
ટુંકમાં કેરળના મતદારો ક્યારે નવું કરે તે કહી શકાય નહીં. ભાજપની વાત કરીએ તો છેલ્લી ચાર ચૂંટણીથી ભાજપ લડે છે, પણ ત્યાં તેના મતોની ટકાવારી વધતી નથી. ૨૦૧૬ની વિધાનસભા ચૂંટણીમાં એક બેઠક મેળવી ખાતુ ખોલ્યું હતું અને તે વખતે તેને સરેરાશ ૧૩ ટકા મત મળ્યા હતા. ટૂંકમાં કેરળ એવું રાજ્ય છે કે જ્યાં હાલ બે ગઠબંધનો છે અને તેમાં દરેકમાં આઠ આસપાસ રાજકીય પક્ષો છે એટલે કે કુલ ૧૬ પક્ષો છે તેમાના ૧૧ પ્રાદેશીક કે સ્થાનિક પક્ષો તરીકે માન્યતા મેળવે છે.
હવે ત્યાંના મુખ્ય પ્રધાનોની વાત કરીએ તો ૧૯૫૭માં ઈ.એમ.એસ. નામ્બુદ્રીપાદ મુખ્યમંત્રી બન્યા. તો ૧૯૬૦થી ૧૯૬૨ સુધી પ્રજા સમાજવાદી પક્ષના પટ્ટમથાનુ પીલ્લાઈ મુખ્યમંત્રી હતા. ત્યારબાદ કોંગ્રેસના પી.શંકર એકવાર તો સીપીએમાંથી નામ્બુદ્રીપાદ પણ બીજીવાર મુખ્યમંત્રી બન્યા હતા. સીપીએમના અચ્યુત પટ્ટવર્ધન ત્રણ વખત મુખ્યમંત્રી બન્યા હતા. તો કોંગ્રેસના કે.કરૂણાકરણે પણ કેરળના સુકાનીની ભૂમિકાની ભાળ હતી.
પૂર્વ સંરક્ષણ મંત્રી એ.કે. એન્થની ૧ વર્ષ માટે મુખ્યમંત્રી બન્યા હતા, પછી તેઓ કેન્દ્રમાં જતાં કરૂણાકરનને મુખ્યમંત્રી પદનો લાભ મળ્યો હતો. સીપીએમના વાસુદેવન નાયર પણ મુખ્યમંત્રી બની ચૂક્યા છે. મુસ્લિમ લીગના સી.એચ. મહમદ કોયાને પણ મુખ્યમંત્રી પદનો લાભ મળ્યો છે. ઓમાન ચાંડી ત્રણ વખત મુખ્યમંત્રી બન્યા છે. તેઓ ૨૦૧૧માં કોંગ્રેસી મોરચાના નેતા તરીકે મુખ્યમંત્રી પદે હતા. ૨૦૧૬માં ડાબેરી મોરચાને બહુમતી મળતા સીપીએમના નેતા વિજયન મુખ્યમંત્રી છે.
કોરોના સમયે કેરળમાં તેમની સરકારની પ્રારંભિક કામગીરીને કેન્દ્ર સરકારે તો વખાણી જ હતી. ત્યારબાદ વિશ્વ આરોગ્ય સંસ્થા (ડબલ્યુ એચ.ઓ.) દ્વારા તેમણે કરેલી કામગીરીની પ્રશંસા થઈ હતી. ૨૦૧૦માં પશ્ચિમ બંગાળમાં ડાબેરી મોરચાના ૩૩ વર્ષના શાસનનો અંત આવ્યો હતો. ૨૦૧૬ના પ્રારંભમાં ત્રિપુરામાં પણ ડાબેરી શાસનના મુખ્યમંત્રી માનેકરાવ સફળ વહિવટકર્તા અને સાદગીના પર્યાય હોવા છતાં ભાજપના આક્રમક પ્રચાર અને કોંગ્રેસે મતો તોડતા ત્યાં ભાજપનું શાસન આવ્યું. પછી ૨૦૧૬ના મે માસમાં યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસને પછાડી તેનો વિજયરથ અટકાવ્યો હતો. અને ડાબેરી મોરચાએ સત્તા સંભાળી હતી. ટુંકમાં અત્યારે દેશના એક જ રાજ્યમાં ડાબેરી મોરચાની સત્તા છે તેનો યશ તો કેરળના મતદારોને જ આપી શકાય.
કર્ણાટકમાં કુમારસ્વામીને હરાવી યેદીયુરપ્પા ત્રીજીવાર મુખ્યમંત્રી બન્યા. ત્યાં ભાજપની સત્તા આવી અને પેટા ચૂંટણી જીતીને પોતાની સત્તા ટકાવી પણ ખરી. આમ કર્ણાટક ભાજપનું ફરી એકવાર પ્રદેશદ્વાર બન્યું. ૨૦૧૪માં આંધ્રમાં ચંદ્રાબાબુ નાયડુ સાથે સત્તાની ભાગીદારી કરી ભાજપે સંસદમાં વધુ બેઠકો મેળવી અને ભાજપની તાકાત વધારી. જો કે આંધ્રમાં ૨૦૧૯માં ભાજપ તાકાત ન વધારી શક્યો. ચંદ્રાબાબુ નાયડુ અને કોંગ્રેસ સીંગલ આંકાડમાં બેઠકો ન મેળવી શક્યા. જગમોહન રેડીનો પક્ષ વાયઆરએસ કોંગ્રેસે ત્રણ ચતુર્થઆંસ બેઠકો જીતી પોતાનું વર્ચસ્વ જમાવ્યું.
તેલંગણામાં ૨૦૧૮ વિધાનસભામાં રાવ સરકાર રચાઈ લોકસભામાં તો તેલંગણાના આ પ્રાદેશિક પક્ષ ટીઆરએસને સત્તા મળી પણ હૈદરાબાદ નગરનિગમની તાજેતરમાં એટલે કે નવેમ્બર-ડિસેમ્બર ૨૦૨૦માં યોજાયેલી ચુંટણીમાં ભાજપે ત્યાં ૪૮ વોર્ડ બેઠકો જીતી બીજા નંબરનું સ્થાન મેળવ્યું છે એ ૩૦ ટકા મત પણ વધારે મેળવ્યા છે. આના આધારે હવે તેલંગણાના ભાજપના નેતાઓ ૨૦૨૩માં ભાજપની જ સત્તા આવશે તેવો દાવો કરતા થઈ ગયા છે.
ટૂંકમાં કર્ણાટક અને તેલંગણાના હકારાત્મક પરિણાોના પગલે ભાજપ હવે કેરળમાં નસીબ અજમાવશે.ભાજપ તેની ટેવ – પ્રણાલિ કે પરંપરા મુજબ તમામ તાકાતને કામે લગાવશે અને સત્તા મળે કે ન મળે પણ ૧૪૦ સભ્યોની કેરળ વિધાનસભામાં ૧૫ કરતા વધુ બેઠકો અને ૨૫ ટકા મત મેળવી ડાબેરી મોરચો અને કોંગ્રેસી મોરચો એ બન્નેને નડશે તે પણ નિશ્ચત છે. ટુંકમાં કેરળમાં ૨૦૨૧ના મે માસમાં યોજાનારી ૧૪૦ બેઠકોની ચૂંટણીમાં કોંગ્રેસી ગઠબંધન અને ડાબેરી ગઠબંધન વચ્ચે ખરાખરીનો જંગ ખેલાશે. જાે કે ભાજપ પણ તેમાં બહુ પાછળ નહિં હોય તેવું જાણકારો કહે છે. પરિવર્તનની પરંપરા કેરળના મતદારો જાળવે છે કે, પછી ભૂતકાળમાં બે વખત બન્યું છે તેમ પૂનરાવર્તન કરે છે તે જાેવાનું રહે છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…