અમદાવાદ: રાજ્યના ભાજપ (BJP) ના સાંસદ મનસુખ વસાવાએ ગઈકાલે શિક્ષકો દારૂ પીવે છે તેવું નિવેદન કર્યું હતું. જે અંગે આજે ભાજપના સિનિયર નેતા અને રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ તેમના જ પક્ષના સાંસદ મનસુખ વસાવા ખોટા છે તેવું જણાવ્યું હતું.
રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા આજે કારેલી પ્રાથમિક શાળામાં યોજાયેલા શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે બાળકોને શાળા પ્રવેશ કરાવ્યો હતો. શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ બાદ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, ગઈકાલે ભાજપના ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ શિક્ષકો દારૂડિયા અને જુગારિયા છે તેવું નિવેદન કર્યું હતું જે બિલકુલ ખોટું છે. શિક્ષકો દારૂડિયા અને જુગારિયા છે તે મામલે મનસુખ વસાવા ખોટા છે તેમ શિક્ષણ મંત્રી ચુડાસમાએ જણાવ્યું હતું.
ચુડાસમાએ વધુમાં જણાવ્યું હતું કે, જો સાંસદ પાસે કોઈ શિક્ષક દારૂ પીતાં હોય તો તેમણે તંત્રનું ધ્યાન દોરવું જોઈએ.
આ ઉપરાંત રાજ્યમાં થઈ રહેલા દલિત અત્યાચાર મુદ્દે શિક્ષણ મંત્રી ચુડાસમાએ જણાવ્યું હતું કે, સવર્ણ અને આદિવાસી તેમજ દલિતોને એકબીજાની જરૂરિયાત છે. જો કે કેટલાક લોકો નેતા બનવા માટે વિવિધ સમાજો વચ્ચે ખાઈ ઉભી કરી રહ્યા છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીના રાજીનામાંના મામલે શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી વિજય રૂપાણી તો રાજીનામું નહીં આપે પણ કદાચ હાર્દિક પટેલ રાજીનામું આપી દેશે તેમ પણ જણાવ્યું છે.