ચીની અધિકારિયોએ ભારતીય શ્રદ્ધાળુઓને કૈલાશ માનસરોવરમાં ડૂબકી લગાવવાની પરવાનગી આપી દીધી છે. શ્રદ્ધાળુઓએ મંગળવારે માનસરોવરમાં ડૂબકી લગાવી હતી અને વિદેશમંત્રી સુષમા સ્વરાજનો આભાર માન્યો હતો.
માનસરોવરમાં શ્રદ્ધાળુઓ સાથે ડૂબકી લગાવ્યા બાદ પુજારી સંજીવ કૃષ્ણ ઠાકુરે કહ્યું કે અમને આજે પવિત્ર માનસરોવરમાં ડૂબકી લગાવવાનો મૌકો મળ્યો, હું ભારત સરકાર અને વિદેશમંત્રી સુષમા સ્વરાજનો આભાર માનું છું.
આ પહેલા સંજીવે શ્રદ્ધાળુઓ સાથે એક વીડિઓમાં દાવો કર્યો હતો કે ચીની અધિકારીઓ એમને પવિત્ર માનસરોવરમાં ડૂબકી લાગાવવાની પરવાનગી નથી આપતા, ગુસ્સામાં તેમને એવું કીધું હતું કે જો પરવાનગી આપવી નહતી તો વિસા અને પરમીત શું કામ આપ્યા? પૂજારીએ એમ પણ કહ્યું કે જ્યાં સુધી એમને ડૂબકી લગાવવાની પરવાનગી નહિ મળે ત્યાં સુધી તેઓ ત્યાંથી નહિ હટે.
જો કે સુષમા સ્વરાજે આ દાવો ફગાવી દીધો હતો અને કહ્યું હતું કે નદીમાં ડૂબકી લગાવવાની એક ચોક્કસ જગ્યા છે, આપ ગમે ત્યાં ડૂબકી લગાવી શકતા નથી.
તમને જણાવી દઈએ કે કૈલાશ માનસરોવર તિબેટમાં છે અને બરફવાળા રસ્તાઓ પર યાત્રા ખુબ કઠીન હોય છે. આ યાત્રા બે માર્ગો થી પૂરી કરી શકાય છે, એક માર્ગ છે ઉતરાખંડનો લિપુલેખ પાસ અને બીજો રસ્તો છે નાથુ લાં પાસ.
ભારતીય વિદેશ મંત્રાલય તરફથી દર વર્ષે જુન થી સપ્ટેમ્બર વચ્ચે કૈલાશ માનસરોવર યાત્રાનું આયોજન કરવામાં આવે છે. ગયા વર્ષે યાત્રા દરમિયાન નાથુ લાં પાસ બંધ હતો જેના કારણે યાત્રીકોને ખુબ મુશ્કેલી પડી હતી.
વિદેશમંત્રી સુષમા સ્વરાજે જણાવ્યું કે આ વખતે કુલ ૧૫૮૦ તીર્થયાત્રીઓ કૈલાશ માનસરોવરની યાત્રા કરશે, તીર્થયાત્રીઓની ૧૮ બેચ બનશે, એક બેચમાં ૬૦ તીર્થયાત્રીઓ હશે અને તેઓ લિપુલેખ પાસ થઈને જશે જયારે ૫૦ તીર્થયાત્રીઓ વાળી ૧૦ બેચ નાથુ લાં પાસ થઈને જશે.