કેવું અનુભવાય, જ્યારે તમે જે નેતાનું ઉપરાણુુ લઇને કોઇની સામે બબાલ મચાવી હોય અને તે નેતા તમને તરછોડીને સામે પક્ષે એટલે કે વિરોધીઓમાં ભળી જાય અને કેવું અનુભવાય જ્યારે એ બબાલ માટે કોર્ટ તમને જેલની સજા કરે અને જે નીમિત છે તે હાલ મંત્રી બની ગયેલા નેતા તમને વિપક્ષ તરીકે જ મુલવે, બસ આવુ જ કઇંક થઇ રહ્યું હશે સૌરાષ્ટ્રનાં કોંગ્રેસી નેતાઓને, જી હા નેતાઓને એટલા માટે કે આ અનુભવ 1, 2, કે 3 નેતાને નથી થઇ રહ્યો હોય પણ એક સાથે 12-12 નેતા આ અનુભવ કરી રહ્યા હશે.
માંડીને વાત કરવામાં આવે તો કોર્ટ દ્વારા 2008માં કલેક્ટર કચેરી ખાતે, તે સમયનાં કોંગ્રેસી નેતા(હાલ ભાજપ સરકારમાં મંત્રી) કુંવરજી બાવળિયાની ધરપકડ મામલે સૌરાષ્ટ્ર કોંગ્રેસનાં નેતાનું ઝુંડ રજૂઆત કરવા ગયેલું હતું. કલેક્ટર કચેરી ખાતે મામલો બીચક્યો અને તોડફોડ થઇ હતી અને સૌરાષ્ટ્ર કોંગ્રેસનાં દિગ્ગજ નેતાઓ ઈન્દ્રનીલ રાજ્યગુરુ, અશોક ડાંગર, પિરઝાદા સહિતનાં નેતાઓ સામે કેસ નોંધવામાં આવ્યો હતો. તોડફોડ કેસનાં આ કેસમાં સૌરાષ્ટ્ર કોંગ્રેસનાં બે પૂર્વ MP, બે પૂર્વ MLA, અને વાંકાનેરનાં ચાલુ ધારાસભ્ય સહિત 12 દોષિતોને કોર્ટ દ્વારા એક વર્ષની સજા ફટકારવામાં આવી છે.
આપને જણાવી દઇએ કે, 11 વર્ષ પૂર્વે કોંગ્રેસના તત્કાલીન ધારાસભ્ય અને હાલ ભાજપ સરકારમાં મંત્રી એવા કુંવરજી બાવળીયાની સીઆઈડી ક્રાઈમ દ્વારા જમીન કૌભાંડ મામલે ધરપકડ કરવામાં આવી હતી. 4 ડિસેમ્બર 2008ના રોજ કોંગ્રેસના તત્કાલીન નેતાઓ કુંવરજી બાવળીયાની ધરપકડનાં વિરોધમાં કલેકટરને રજૂઆત કરવા ગયા હતા. બાવળીયાની ધરપકડ રાજકીય દબાણ હેઠળ કરવામાં આવી હોવાનું જણાવીને આવેદન આપવાનો કાર્યક્રમ હતો. તે દરમ્યાન ટોળુ ઉશ્કેરાયુ હતું અને કલેકટર કચેરીમાં તોડફોડ કરી હતી. આ મામલે રાજકોટનાં પ્રધ્યુમનનગર પોલીસ દ્વારા કોંગ્રેસનાં નેતાઓ સહિત 179 કાર્યકરો સામે ગુનો દાખલ કર્યો હતો. કોર્ટ દ્વારા 11 વર્ષમાં કુલ 56માંથી 49 સાક્ષીઓને તપાસવામાં આવ્યા બાદ કોંગ્રેસના પૂર્વ સાંસદ સભ્ય દેવજીભાઇ ગોવિંદભાઇ ફતેપરા, તે સમયના પ્રદેશ મહામંત્રી જસવંતસિંહ ભટ્ટી, ઇન્દ્રનીલ રાજયગુરૂ, મહેશ રાજપુત, અશોક ડાંગર, તે સમયના રાજકોટ દુધ ઉત્પાદક સંઘના ચેરમેન ગોવિંદભાઇ રાણપરીયા, વાંકાનેરના વર્તમાન ધારાસભ્ય મહમદ જાવેદ પીરઝાદા, ભીખાભાઇ જોશી, ભીખુભાઇ વેજાણંદભાઇ વારોતરીયા, ગોરધન ધામેલીયા સહિત 12ને અદાલતે દોષિત ઠેરવી સજા એક વર્ષની સજા ફટકારી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.