ઈંદિરા ગાંધીએ ભારતીય જવાનોની સહાયથી પાકિસ્તાનના ભાગલા કરાવ્યા ત્યારબાદ ક્યારેય કોઈએ પાકિસ્તાનને યોગ્ય પદાર્થ પાઠ ભણાવ્યો નથી આ વાતનો પ્રચાર કરવાનો કોંગ્રેસને હક છે -અધિકાર છે
@હિંમતભાઈ ઠક્કર, ભાવનગર
કેટલીક જૂની વાતો પણ લોકોને યાદ આપવા જેવી હોય છે. ભૂતકાળ કે ઈતિહાસ કદી ભૂલી પણ શકાય નહિ અને બદલી પણ શકાય નહિ. અત્યારે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાનખાન અને તેની મંડળી ભારત સામે રોજ નવા ખેલ પાડે છે. નેપાળે ભૂતકાળમાં ભગવાન રામ અમારા છે તેવો દાવો કર્યો હતો. હવે એવો દાવો પણ કરે છે કે યોગ એ નેપાળની શોધ છે. આ તો બધી રાબેતા મુજબની પ્રક્રિયા છે. સોશ્યલ મિડિયા વાળા જેને પતી ગયેલી પાર્ટી કહેવા માંડ્યા છે તે કોંગ્રેસ ઉપરાછાપરી થયેલા પરાજયમાંથી હજી બહાર આવી નથી. કોંગ્રેસના ઘણા નેતાઓ હજી પણ પોતાની જૂની વિચારધારામાંથી બહાર આવતા નથી. પરંતુ મુંબઈના કોંગ્રેસી નેતાઓને એક સારો વિચાર આવ્યો છે અને પાકિસ્તાનના ભાગલા કરનારા અને બાંગલાદેશને આઝાદી અપાવનારા યુદ્ધને ૨૦૨૧ના ડિસેમ્બરમાં ૫૦ વર્ષ પૂરા થશે અને ૧૯૭૧ના યુદ્ધની સુવર્ણ જયંતિ ઉજવવાનું નક્કી કર્યુ છે. આ યુદ્ધ થયું ત્યારે ભારતના વડાપ્રધાન તરીકે લોખંડી મહિલા શ્રીમતી ઈંદિરા ગાંધી હતા.
૧૯૭૧ બાદ પાકિસ્તાનને કારગીલના યુદ્ધમાં થોડો ઘણો પાઠ ભણાવાયો હતો, ત્યારબાદ ભારતની કોઈ સરકારે પાકિસ્તાનને જિંદગીભર યાદ રહે તેવો પાઠ ભણાવ્યો નથી. જો કે એક વાત કહેવી જ પડે કે, મુંબઈના કોંગ્રેસી આગેવાનોને જે વિચાર આવ્યો તે દિલ્હીમાં બેઠેલા કોંગ્રેસી મોવડીઓને આવવો જોઈતો હતો. જ્યારે રાષ્ટ્રવાદનો મુદ્દો આવે છે ત્યારે ભાજપ તેનું ભરપુર માર્કેટીંગ કરે છે પરંતુ કોંગ્રેસ આવું કરવામાં સદંતર નિષ્ફળ જાય છે. ૨૦૧૬માં સર્જીકલ સ્ટ્રાઈક અને ૨૦૧૯ના પ્રારંભકાળમાં જે એર સ્ટ્રાઈક આપણા જવાનોએ કરેલી તેનું ભાજપે ભરપૂર માર્કેટીંગ કર્યુ હતું. જૂન માસ આવે ત્યારે ભાજપ કટોકટી કાળની ઘટનાઓને તોડી મરોડીને રજૂ કરી લોકોને ગેરમાર્ગે દોરે છે અને ત્રાસવાસ સામેના જંગમાં જાનની આહુતી આપનારા ભારતના સદ્દગત વડાપ્રધાન શ્રીમતી ઈંદિરા ગાંધીને અને કોંગ્રેસને કટોકટીના બહાને બદનામ કરવાની ચેષ્ટા કરે છે તે વખતે કોંગ્રેસના આગેવાનોને મોઢે એવા તાળા લાગી જાય છે કે જાણે કે સત્તાધારી પક્ષના માર્કેટીંગ સામે શરણાગતી સ્વીકારી ન હોય? જે રીતે કોંગ્રેસ પેટ્રોલ ડિઝલના વધતા ભાવો અંગે યોગ્ય અવાજ ઉઠાવી શકતી નથી ભાજપે ૨૦૧૧-૧૨ના સમયગાળામાં પેટ્રોલ ડીઝલના ભાવમાં છ માસના ગાળા બાદ માત્ર રુપિયાનો વધારો થતો અને ભાજપ વિપક્ષ તરીકે જે પ્રકારનો દેકારો મચાવી દેતો હતો. જ્યારે બીજી મે બાદ ૫૦ દિવસમાં પેટ્રોલ અને ડિઝલના ભાવમાં ૧ લિટરે સાતથી આઠ લાખ ‚પિયાનો વધારો થયો તો પણ કોંગ્રેસ ભાજપે ભૂતકાળમાં વિરોધના જે માર્ગો અપનાવેલા તેના દસમાં ભાગનો વિરોધ પણ દર્શાવી શકતી નથી. મોટે ભાગે તો આવેદન પત્ર આપીને કે ટીવી ડિબેટ સમયે હોબાળો મચાવીને સંતોષ માને છે.
૧૯૭૧માં વિજય ફીલ્ડ માર્શલ જનરલ માણેકશાના નેતૃત્વ હેઠળ ભારતના જાંબાઝ જવાનોનો હતો તે હકિકત છે પરંતુ તે યુદ્ધ પહેલા અને પછી બનેલા બનાવો તો તે વખતના નેતૃત્વને આભારી હતા. ૧૯૭૧ના યુદ્ધ વખતે ભારત જલ્દી યુદ્ધવિરામ કરે તે માટે પાકિસ્તાનને તે વખતે દત્તક પુત્ર માનતા અમેરિકાએ પાંચ વખત વિટો વાપર્યો હતો તેની સામે રશિયાએ વળતો વીટો વાપરી પાકિસ્તાન અમેરિકન જોડીની ખંધી ચાલને નિષ્ફળ બનાવી હતી. આના માટે તત્કાલીન વડાપ્રધાન શ્રીમતી ઈંદિરા ગાંધીની સફળ વિદેશનિતિ જવાબદાર હતી તે હકિકત હોવા છતાં કોંગ્રેસ આ વાત લોકોના મન સુધી પહોંચાડી શકી નથી તે પણ હકિકત છે.
૧૯૭૧માં યુદ્ધ ચાલુ હતું ત્યારે એસોસીએટ પ્રેસ (એપી) નામની સમાચાર સંસ્થાએ એવો અહેવાલ પ્રસારિત કર્યો કે અમેરિકાનો સાતમો નૌકા કાફલો ઢાકા તરફ આવી રહ્યો છે આ ખબર મળતાની સાથેજ તત્કાલીન વડાપ્રધાન શ્રીમતી ઈંદિરા ગાંધીએ પોતાના ખાસ દૂત ડીપી ઘરને મોસ્કો દોડાવ્યા અને તેના આ ઝડપી પગલાના ફળ સ્વરુપ તે વખતના સોવિયેત સંઘ અને હાલના રશિયાનો નૌકા કાફલો ઢાકા આવી ગયો હતો અને અમેરિકાના શાસકોને એવો બચાવ કરવાનો વારો આવ્યો હતો કે અમે તો ઢાકામાં વસતા રાજદૂતાલયના કર્મચારીઓ અને ઢાકામાં વસતા કે આવેલા અમેરિકી નાગરિકોને પરત લેવા માટે આ કાફલો મોકલ્યો છે. આ ઈંદિરા ગાંધીની દિર્ઘદ્રષ્ટિ ભર્યા અને ઝડપથી લેવાયેલા નિર્ણયનું પરિણામ હતું. એટલે ૧૯૭૧નું યુદ્ધ આપણા જવાનો લડ્યા અને જીત્યા અને બીજી બધુ તો ઠીક પણ પાકિસ્તાનના ભાગલા કરાવ્યા. ત્યારબાદ ભારત આવું કોઈ યુદ્ધ લડ્યું નથી. હવે સર્જિકલ સ્ટ્રાઈક કે એર સ્ટ્રાઈકનું જો હાલના શાસકો ધૂમ માર્કેટીંગ કરતાં હોય અને અમેજ પાકિસ્તાનને પાઠ ભણાવ્યો તેવો દાવો કરતાં હોય તો પછી કોંગ્રેસે માત્ર મુંબઈ કે મહારાષ્ટ્ર સ્તરે નહિ પણ રાષ્ટ્રવ્યાપી ધોરણે ૧૯૭૧ના યુદ્ધની સુવર્ણ જયંતી ઉજવવી જોઈએ અને ૧૯૭૧ના યુદ્ધ સમયે ભારતની નેતાગીરીએ પણ જે કામગીરી કરી હતી તેનું સાચુ ચીત્ર રજૂ કરવાનો કોંગ્રેસને પણ અધિકાર છે. તેમાંય જ્યારે આ પાકિસ્તાનના ભાગલા કરનાર યુદ્ધનું સુવર્ણજયંતી વર્ષની દેશવ્યાપી ઉજવણી કરવીજ જોઈએ. વડાપ્રધાન શ્રીમતી ઈંદિરા ગાંધીના શાસનકાળ દરમિયાન ભારતે પ્રથમ અણુ અખતરો ૧૯૭૪-૭૫ના નાણાંકીય વર્ષમાં કર્યો હતો તે વાતની પણ ભારતની પ્રજાને યોગ્ય પ્રચાર દ્વારા જાણ કરવી જોઈએ. એક રાજકીય વિશ્ર્લેષક તો ત્યાં સુધી કહે છે કે, બલુચીસ્તાનના આંદોલનકારી નેતાઓએ ભારતીય નેતાગીરીનો ૨૦૧૪ બાદ ૧૦થી વધુ વખત સાથ માગ્યો છે. છતાંય મળ્યો ભારતની હાલની નેતાગીરી એક અક્ષર પણ બોલી નથી. આ પણ હકિકત લોકો સમક્ષ પહોંચાડવાની જવાબદારી કોંગ્રેસે બજાવવી જોઈએ તે પણ હકિકત છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પશ્ચિમ બંગાળની ચૂંટણી સમયે બાંગ્લાદેશની આઝાદી વર્ષની ઉજવણીમાં ભાગ લેવા જવાનો કાર્યક્રમ ઘડતા હોય અને પછી કોલકત્તા આવી સભામાં પોતાના બાંગ્લાદેશ પ્રવાસનું માર્કેટીંગ પણ કરતાં હોય તો પછી હવે કોંગ્રેસે પણ ૧૯૭૧ના યુદ્ધમાં પાકિસ્તાનને ભણાવેલ પાઠનું માર્કેટીંગ કરવું જ જોઈએ અને જો કોંગ્રેસ આવું કાંઈ કરવામાં નિષ્ફળ જાય તો તેણે જવાબદાર રાજકીય પક્ષ તરીકે લોકો સુધી સાચી વાત પહોંચાડવાની જવાબદારી નિભાવી નથી. તેવું કોઈ વિશ્ર્લેષક કહે તો તેની વાત જરાય ખોટી નથી.
કોંગ્રેસ માટે આ વર્ષમાં પોતાનો જનાધાર મજબૂત બનાવવા માટે ૧૯૭૧ના યુદ્ધની સૂવર્ણજયંતી વર્ષના કાર્યક્રમો આખા દેશમાં યોજવાની જ‚રત છે. એક વિશ્ર્લેષકે તો ત્યાં સુધી કહ્યું છે કે બદલાતા યુગ પ્રમાણે ભાજપની જેમ કોંગ્રેસે પણ માર્કેટીંગની કળાનો ઉપયોગ કરવો જ પડશે. ૧૯૭૧ના યુદ્ધની સુવર્ણજયંતિ અને વધતી મોંઘવારીએ પોતાનું સ્થાન મજબૂત બનાવવા માટેની સોનેરી તક છે તે તો કહેવું જ પડશે.