કોરોના મહામારીની વચ્ચે કેન્દ્ર સરકાર દ્વારા શક્ય તેટલા યથોચિત પગલાઓ લેવામાં આવી રહ્યા છે તેની વચ્ચે કોંગ્રેસ દ્વારા વારંવાર આક્ષેપો કરી અને સામાન્ય જનતામાં શંકાનું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું હોવાનો દાવો કરવા સાથે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ કોંગ્રેસનાં સોનિયા ગાંધીને વિગતવાર પત્ર લખ્યો છે. તેમજ આ પત્રમાં કેટલાંક સણસણતા પ્રશ્નો પણ પૂછ્યા છે. જે અહીં વિગતવાર પ્રસ્તુત છે.
રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા દ્વારા કોંગ્રેસનાં શ્રીમતી સોનિયા ગાંધીને લખેલ પત્રના મુખ્ય મુદ્દઓ :
ભારતે રસીકરણની જે વ્યૂહરચના અપનાવી છે તે વૈશ્વિક શ્રેષ્ઠ પદ્ધતિઓ પૈકી એક છે. આપણે જાન્યુઆરી મહિનાથી જ રસીકરણનો પ્રારંભ કરી દીધો હતો અને સુનિશ્ચિત કર્યું હતું કે કોરોના યોદ્ધાઓને સૌથી પહેલાં રસી મળે. તેને કારણે કોરોના રોગચાળાના બીજા તબક્કાનો સારી રીતે મુકાબલો કરવામાં આપણને મદદ મળી.
ભારતમાં યુવાનોને રસી આપવાની શરૂઆત કરી દેવામાં આવી છે, જ્યારે પશ્ચિમના ઘણા દેશોએ હજુ તેમની યુવા પેઢીને રસી આપવાનું શરૂ પણ નથી કર્યું એ તમે સારી રીતે જાણતા હશો તેની મને ખાતરી છે.
વડાપ્રધાનરેન્દ્ર મોદી સરકારના તમામ વિભાગ સાથે ગાઢ સંકલનમાં કામ કરી રહ્યા છે. તબીબી સુવિધાઓ વધારવાની બાબતને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે અને એ સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે કે કોરોનાનો ભોગ બનેલા લોકોને પૂરતી સારવાર સુવિધા મળે.
2020માં આઠ મહિના સુધી ભારત સરકારે 80 કરોડ ભારતીયોને નિઃશુલ્ક રાશન પૂરું પાડ્યું હતું. એ જ કામગીરી હજુ પણ ચાલુ જ છે.
કોરોના વાયરસ સામેના યુદ્ધમાં વડાપ્રધાન દેશના તમામ મુખ્યપ્રધાનોની સાથે પણ ગાઢ સંકલનમાં કામગીરી કરી રહ્યા છે.
પણ આવા પડકારજનક સમયે કોંગ્રેસ પક્ષની વર્તણૂંકથી મને આશ્ચર્ય નહીં પણ દુઃખ થયું છે.
તમારા પક્ષના કેટલાક ટોચના નેતાઓ સતત નકારાત્મકતા ફેલાવીને અન્ય લોકોની કામગીરીને ધૂળમાં મેળવી રહ્યા છે.
ભારત કોવિડ-19નો મુકાબલો કરી રહ્યો છે ત્યારે કોંગ્રેસના ટોચના નેતાઓએ લોકોને ગેરમાર્ગે દોરવાનું, ખોટો ભય ફેલાવવાનું તેમજ માત્ર રાજકીય કારણોસર તેમના વલણ બદલી નાખવાનું બંધ કરી દેવું જોઇએ.
રસી બાબતે દેશમાં કોઇપણ જાતની અનિશ્ચિતતા નહોતી તેમ છતાં કોંગ્રેસ પક્ષે આવા ગંભીર રોગચાળાની સ્થિતિમાં પણ લોકોના મનમાં આશંકાઓ ઊભી કરવાનો પ્રયાસ કર્યો.
ભારત સરકારે સુનિશ્ચિત કર્યું છે કે પ્રથમ થોડા તબક્કામાં જ રાજ્યોમાં 16 કરોડ વેક્સિન પૂરી પાડીને પ્રાથમિકતા ધરાવતા જૂથોનું રસીકરણ કરવાનો લક્ષ્યાંક હાંસલ કર્યો છે.
ભાજપ અથવા એનડીએ શાસિત રાજ્યોએ નિઃશુલ્ક વેક્સિન આપીને ગરીબો તેમજ વંચિતોની મદદ કરવાની પ્રતિબદ્ધતા જાહેર કરેલી છે. શું તમે નિઃશુલ્ક રસી આપવાનો નિર્ણય લેવા તૈયાર છો?
ભારતમાં બનેલી કોવિડ-19 વેક્સિન કોઈ રાજકીય પક્ષ અથવા નેતાની નથી, તે રાષ્ટ્રની છે. છતાં કોંગ્રેસ પક્ષ યોગ્ય પગલાં લેવાને બદલે ખોટું રાજકારણ રમી રહ્યો છે.
અત્યાર સુધીમાં આશરે 45,000 વેન્ટિલેટરનું નિર્માણ થયું છે અને તમામ રાજ્યોને મોકલી આપવામાં આવ્યા છે. પરંતુ પીએમ-કેર ફંડ હેઠળ મોકલવામાં આવેલા વેન્ટિલેટર કેટલાક રાજ્યમાં ખૂણામાં પડી રહેલા જોઇને દુઃખ થાય છે. આશા રાખું છું કે તમે આ મુદ્દો પ્રથામિકતાના ધોરણે હાથ ધરશો.
રોગચાળા વિરોધી જંગ દરમિયાન કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ શ્રી રાહુલ ગાંધી સહિત ટોચના કોંગ્રેસના નેતાઓની વર્તણૂંકને બેવડાં ધોરણો અને છીછરાપણા માટે યાદ રાખવામાં આવશે. પંજાબ જેવા રાજ્યમાં મૃત્યુદર આટલો વધારે શા માટે છે? આ પ્રશ્નો તમારે તમારા પોતાના મુખ્યપ્રધાનોને પૂછવા જોઇએ.
ભૂતપૂર્વ લોકસભા અધ્યક્ષ મીરા કુમારે પોતે સંસદના નવા મકાનની જરૂરિયાત ઉપર ભાર મૂક્યો હતો.
કોંગ્રેસને હકીકતોમાં રસ નથી. પ્રજા હવે કોંગ્રેસના સેન્ટ્રલ વિસ્ટા યોજના અંગેના વલણ અને સામે છત્તીસગઢ સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા નવી વિધાનસભાના મકાન બાબતે પ્રશ્ન ઉઠાવી રહ્યા છે.
દેશની સુપ્રીમ કોર્ટે પણ નિરીક્ષણ કર્યું છે કે, દેશમાં આરોગ્યની માળખાગત સુવિધાનો 70 વર્ષનો વારસો અપૂરતો છે. ત્યારે એ કહેવાની જરૂર નથી કે આ સાત દાયકામાં કયો રાજકીય પક્ષ ભારતમાં મોટેભાગે શાસન કરતો હતો.
આપણો મેડિકલ સ્ટાફ જે બલિદાનો આપે છે જેને કારણે અન્ય લોકો તંદુરસ્ત રહી શકે એ મેં નજીકથી જોયું છે. તેઓ તેમનું જીવન હોડમાં મૂકે છે જેથી અન્ય ભારતીયો તેમના પરિવારો સાથે રહી શકે.
સોનિયા ગાંધીને સણસણતા પ્રશ્નો:-
કોવિડ યોદ્ધાઓના નૈતિક બળને નબળું પાડવાનો આ સમય છે?
જાણી જોઇને અથવા અન્ય રીતે શું તમારાં પગલાં કોવિડ-19 વિરુદ્ધની લડાઈને નબળી તો નથી પાડી રહ્યાંને?
હજુ તો એપ્રિલ મહિનામાં જ કોંગ્રેસના ટોચના નેતાઓ “રસીકરણનું વિકેન્દ્રીકરણ” કરવાની માગણી કરતા હતા. શું કોંગ્રેસ પક્ષ અને તે જે રાજ્યોમાં શાસન કરે છે તેના વચ્ચે આટલી મોટી કોમ્યુનિકેશન ગૅપ છે?
વિવિધ રાજ્યોમાં કોંગ્રેસની સરકાર પણ ગરીબોની મદદ કરવા આગળ આવશે. શું તમે નિઃશુલ્ક રસી આપવાનો નિર્ણય લેવા તૈયાર છો?
પંજાબ જેવા રાજ્યમાં મૃત્યુદર આટલો વધારે શા માટે છે?