રાજકોટના કોરોના કેસનો આંકડો દિનપ્રતિદિન વધી રહ્યો છે એટલું જ નહીં છેલ્લા 24 કલાકમાં દર એક કલાકે એક વ્યક્તિનું મૃત્યું થયું હોવાનું નોંધવામાં આવ્યું છે શહેરમાં 24 કલાકમાં 24 દર્દીના મોત નીપજતા આરોગ્ય વિભાગ ચિંતામાં મૂકાયું છે. જોકે આ મોત અંગે આખરી નિર્ણય ડેથ ઓડિટ કમિટી લેશે. શહેરમાં આજે બપોર સુધીમાં 180 કેસ નોંધાયા છે. તેમજ કુલ કેસની સંખ્યા 20787 પર પહોંચી છે. ત્યારે ઈન્ડિયન મેડિકલ એસોસિએશન રાજકોટના પ્રમુખ ડો.પ્રફુલ કમાણીએ તબીબોએ કરેલા અધ્યયન અને અંદાજ મુજબ જણાવ્યું છે કે, ‘રાજકોટમાં હાલ 20 ટકા જેટલા લોકો કોરોનાથી સંક્રમિત છે અને અજાણ્યે ચેપ ફેલાવી રહ્યાં છે. 20માંથી 5 ટકા લક્ષણો ધરાવે છે જ્યારે 15 ટકા લક્ષણો વગર છે એટલે તેઓ બેફિકર થઈ ફરતા વધુ સંક્રમણ ફેલાઈ રહ્યું છે. હાલની સ્થિતિએ તંત્ર દોડી રહ્યું છે પણ થોડા ફેરફાર કરવા જરૂરી છે જેમ કે કોરોનાની સારવાર માટે હાલ બેડ ખૂબ ઓછા છે તેથી માઈલ્ડ ટુ મોડરેટ દર્દીઓ માટે દરેક હોસ્પિટલમાં સારવાર શક્ય બનાવવી હાલની મોટી જરૂરિયાત છે.
રાજકોટ શહેર તેમજ ગ્રામ્યના આંકડા ચોંકાવનારા
રાજકોટમાં તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પણ ચોંકાવનારા જોવા મળ્યા છે એટલું જ નહીં પરંતુ 6 દિવસમાં 6 ટકાનો વધારો નોધવામાં આવ્યો છે.રાજકોટમાં તંત્રએ જાહેર કર્યા મુજબ શહેરમાં મંગળવારે 321 અને ગ્રામ્ય વિસ્તારમાં 64 સહિત કુલ 385 કેસ નોંધાયા હતા. જે અત્યાર સુધીમાં આવેલા કેસ કરતા ઘણા વધારે છે અને નવો રેકોર્ડ બનાવ્યો છે. અને દરરોજ 1 ટકાના દરે દર્દીઓની સંખ્યા વધી રહી છે. હાલની સ્થિતિએ કુલ કેસની સંખ્યા 28468 થઈ છે. જેમાંથી એક્ટિવ કેસ 1927 છે. આટકોટ પોલીસ સ્ટેશનમાં નીચે આવતાં 25 ગામના લોકો આવતા હોય સાવચેતી રાખવા માટે આટકોટ પોલીસ દ્વારા માસ્ક સાથે પ્રવેશ દ્વાર પર સેનિટાઈઝર મશીન મૂકવામાં આવ્યું છે. તેમજ આવનાર દરેકને ટેમ્પરેચર માપે, ઓક્સિજન મીટર પણ મૂકવામાં આવ્યું છે.તેમજ અલગ અલગ હોસ્પિટલમાં 1632 દર્દી સારવાર હેઠળ છે.
મનપાએ વિવિધ જગ્યાએ ચેકિંગ હાથ ધર્યુ
રાજકોટમાં વધી રહેલા કોરોના ના કેસના કારણે તંત્રમાં દોડધામ મચી ગઈ છે તેમજ રાજકોટમાં વધતા કેસના પગલે મનપાએ વિવિધ જગ્યાએ ચેકિંગ હાથ ધર્યુ છે. જેમાં રૈયા ચોકડી પર આવેલી મોમાઇ ચા અને ક્રિષ્ના ડિલક્સ પાનને મનપાએ સીલ કરી દીધી છે. માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના ભંગ બદલ દુકાનને સીલ કરવામાં આવી છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કાલથી લેનાર પરીક્ષા મોકૂફ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કાલથી લેનાર પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. મેડિકલ અને પેરામેડિકલની કાલથી શરૂ થવાની હતી. પરંતુ કોરોનાના કેસ વધતા યુનિવર્સિટીના સત્તાધિશો દ્વારા પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. રાજકોટમાં વધતા કોરોના કેસને લઇ મનપાના કર્મચારીઓ અને અધિકારીઓની રજા મનપા કમિશનર ઉદિત અગ્રવાલે આદેશ કર્યો છે.
રાજકોટમાં 500 ઓક્સિજન બેડ ઉભા કરવામાં આવશે : કલેકટર રેમ્યા મોહન
ઓક્સિજન બેડની સંખ્યામાં વધારો કરવામાં આવી રહ્યો છે, સમરસ હોસ્ટેલમાં 500 ઓક્સિજન બેડ ઊભા કરવામાં આવી રહ્યાં છે, હાલ 250 બેડની વ્યવસ્થા કરી લેવામાં આવી છે, કેન્સર હોસ્પિટલ ખાતે 200 ઓક્સિજન બેડની વ્યવસ્થા કરવામાં આવશે, નોન-કોવિડ દર્દીઓને રેલવેમાં સારવાર આપવામાં આવશે, રેલવેમાં ઓપરેશન થીએટર સહિતની સુવિધાઓ તૈયાર રાખવામાં આવી છે, ઓક્સિજનના વપરાશમાં વધારો જોવા મળી રહ્યો છે, ઓક્સિજનની ઘટ પડવા દેવામાં નહિ આવે, ભાવનગરથી 20 વેન્ટિલેટર રાજકોટને આપવામાં આવ્યા છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…