અમદાવાદ: જન્માષ્ટમી અને આગામી તહેવારોને અનુલક્ષીને સરકારી કર્મચારીઓને રાજ્ય સરકાર દ્વારા મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે. જેના અંતર્ગત રાજ્ય સરકારના આઠ લાખથી વધુ અધિકારી/કર્મચારી- પેન્શનરોને બે ટકા મોંઘવારી ભથ્થાનો લાભ અપાશે તેમ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું.
રાજ્ય સરકારના આ નિર્ણયથી રાજ્ય સરકારના અને પંચાયતના કર્મચારીઓ તેમજ પેન્શનરો મળી કુલ ૮,૨૦,૭૬૪ કર્મચારીઓને લાભ મળશે. જો કે, તેનાથી રાજ્ય સરકારને વાર્ષિક રૂ. ૬૮૦ કરોડનો વધારાનો ખર્ચ થશે તેમ પણ તેમણે જણાવ્યું હતું.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે જણાવ્યું હતું કે, ગુજરાત સરકારના આઠ લાખથી વધુ અધિકારી/કર્મચારીઓ અને પેન્શનરોને તા.૦૧.૦૧.૨૦૧૮ થી બે ટકા મોંઘવારી ભથ્થું આપવાનો રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. આ મોંઘવારી ભથ્થુ સપ્ટેમ્બર-૨૦૧૮ ના પગાર સાથે જ ચુકવવામાં આવશે, જેનાથી રાજ્ય સરકારને રૂ.૬૮૦ કરોડનો વધારાનો વાર્ષિક બોજ પડશે.
મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા સરકારી કર્મચારીઓ માટે અનેકવિધ નિર્ણયો કરવામાં આવ્યા છે, જેના ભાગરૂપે આ નિર્ણય કરવામાં આવ્યો છે, તેમ જણાવી નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યુ હતુ કે, રાજ્ય સરકારના ૧,૮૫,૫૭૫, પંચાયત વિભાગના ૨,૦૮,૭૭૧ અને ૪,૨૬,૪૧૮ પેન્શનરો મળી, અંદાજીત કુલ ૮,૨૦,૭૬૪ અધિકારીઓ/કર્મચારીઓ અને પેન્શનરોને રાજ્ય સરકારે સાતમાં નાણા પંચના લાભો મંજૂર કરેલ છે, જે મુજબ હાલમાં પગાર તથા પેન્શન ચુકવવામાં આવે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારે તેના અધિકારીઓ/કર્મચારીઓ અને પેન્શનરોને જન્માષ્ટમી તથા આગામી તહેવારોને ધ્યાને લઇને, તા.૦૧.૦૧.૨૦૧૮ થી ૨% મોંઘવારી ભથ્થું રોકડમાં આપવાનો નિર્ણય કર્યો છે.