ગરીબ હોય કે અમીર લાકડાની જરૂરિયાત સૌ કોઈને હોય છે. લાકડાના ઉધોગને ટીમ્બર ઉધોગ કહેવામાં આવે છે. રાજ્યમાં ટીમ્બરનો મોટો ઉધોગ કચ્છનાં ગાંધીધામના કંડલામાં આવેલો છે. અહીં પ્લાયવુડની ફેકટરીઓ, સો મિલો આવેલી છે. દેશ વિદેશમાંથી લાકડાની આયાત અને નિકાસ થતી હોય છે. જોકે કોરોનાની બે લહેર અને ત્રીજી લહેરના ખતરાથી આ ઉધોગ હવે નફાના બદલે ખોટમાં પરિવર્તિત ગયો છે.
કંડલા ટીમ્બર એસોસિએશન હજારો મજૂરો, વેપારીઓ અને કંપનીઓ સાથે સીધો અને આડકતરી રીતે સંપર્ક ધરાવે છે. આ સંગઠનના પ્રમુખ નવનીતભાઈ ગજ્જર જણાવે છે કોરોનાના કારણે અમારા ઇન્ડસ્ટ્રીઝની હાલત કથળી ગઈ છે. મોટા શહેરોમાં લોકડાઉન અને નિયંત્રણો હોવાથી લાકડાની ડિમાન્ડ આવી નથી. સામે ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે. જેથી ટ્રાન્સપોર્ટ મોંઘું થયું. તેમજ બંદરો પર ફ્રેઈટ ચાર્જ બમણા થઈ ગયા. જેથી ખર્ચ વધી ગયો. જેની સામે લાકડાની માંગ નથી. ઉપરથી માર્કેટમાંથી સમયસર પૈસા પણ નથી આવતા જેથી બેંકોના હપ્તા ભરી શકાતા નથી. જેના કારણે ઘણી સો મીલ બંધ પડી છે.
ઘણી પલાયવુડ ફેકટરીઓ વેચાણ માટે મુકાઈ ગઈ છે. સરકાર દ્વારા જીએસટીમાં રાહત આપવામાં આવે. એમબીઆર કેમિકલ કે જેના પર વિદેશમાં પ્રતિબંધ છે પણ ભારતમાં તે જ માન્ય હોવાથી દંડ ભરીને આ કેમિકલ લેવું પડે છે. જેથી પોલિસીમાં ફેરફાર કરવામાં આવે તે જરૂરી છે. ઉપરાંત મુન્દ્રા પોર્ટ પર સીઆઈએસએફ દ્વારા ચેકિંગ દરમિયાન માલને નુકશાની પણ પહોંચાડવામાં આવતું હોવાનું કહ્યું હતું.
કંડલા ટીમ્બર એસોસિએશનના ઉપપ્રમુખ હેમચંદ્ર યાદવ જણાવે છે કે, અમારો લાકડાનો ઉધોગ માલ અને મજૂરી પર આધારિત છે. શહેરોમાંથી લાકડાની માંગ આવે તે અમે પુરી કરીએ. કોરોનાના કારણે શહેરોમાંથી લાકડાની માંગ આવતી નથી. જેથી આવક થતી નથી ઉપરાંત આ ટીમ્બર ઉધોગની જીવાદોરી મજૂરો છે. જો મજૂરો હોય તો જ ઉધોગને વેગ મળી શકે, કોરોના તેમજ અન્ય રાજ્યોમાં ચૂંટણીના કારણે મજૂરો વતન ચાલ્યા ગયા બાદ પરત ફર્યા નથી. જેથી મજૂરો નથી ઉપરથી ડીઝલના ભાવ વધી ગયા, ફ્રેઈટ ચાર્જ બમણો થઈ ગયો છે જેથી ખર્ચા વધી ગયા છે સામે ડિમાન્ડ નથી જેથી સંકટમાંથી ઉધોગ પસાર થઈ રહ્યો છે સરકાર દ્વારા જીએસટીમાં 18 ટકાને બદલે માત્ર 5 ટકા ટેક્સ લેવામાં આવે તે માટે 8 વર્ષથી રજૂઆતો કરીએ છીએ પણ કોઈ પરિણામ આવ્યું નથી..