કોરોના મહામારીના કારણે ચોપટ થયેલા વેપાર ધંધા હવે ધીમે ધીમે વેગ પકડી રહ્યાં છે. ત્યારે ગીરસોમનાથ જિલ્લાના વેપારીઓને ઓનલાઈન વેપાર અસર પહોંચાડતો હોવાની વેદના વેપારીઓ ઠાલવી રહ્યાં છે.
- ઓનલાઈન ખરીદી વધતા દુકાનદારો પરેશાન
- વેપાર-ધંધામાં પહેલાં જેવી તેજી નહીં
કોરોનાની બીજી લહેર હવે ધીમી પડતા તંત્રએ અને સરકારે રાહતનો શ્વાસ લીધો છે. એમાં પણ સરકાર દ્વારા 18 શહેરમાં કરફ્યુના નિયમો હળવા કરતા હવે અર્થતંત્ર પણ ધીમે ધીમે પાટે ચડી રહ્યુ છે. પરંતુ વેપારીઓને બજારમાં તેજી અને પહેલાં જેવી ઘરાકી ન મળતાં તેઓ ચિંતા અનુંભવી રહ્યાં છે. આ ઉપરાંત ઓનલાઈન વેપારે પણ સ્થાનિક વેપારીઓની કમર તોડી નાખી હોવાની વેદના વ્યક્ત કરી છે. ગારમેન્ટ, મોબાઈલ સહિત ચશ્માના વેપારીઓને ઓનલાઈન વેપાર ખુબજ ફટકો પહોંચાડતો હોવાની ભીતિ વ્યક્ત કરી છે.
જિલ્લાના વેપારીઓએ ઘરાકી ઓછી મળવા પાછળ ઓનલાઈન વેપારને પણ જવાબદાર ગણાવ્યો છે. વેપારીઓનું કહેવું છે કે, તેઓ લોભામણી સ્કીમ આપીને ગ્રાહકો આકર્ષી લે છે જેના પરિણામે તેમને સારો વેપાર મળતો નથી. જેથી સરકાર ઓનલાઈન વેપાર પર કાયદો લાવવાની માંગ કરી રહ્યાં છે.
આમ તો કોરોનાની મહામારીમાં ઘણા લોકો બેરોજગાર બન્યા છે. જ્યારે ઘણાં લોકોના વેપાર રોજગારને પણ મોટી અસર પડી છે. બીજી તરફ ઓનલાઈન વેપાર પણ હવે સ્થાનિક વેપારીઓની નુકસાન પહોંચાડી રહ્યો છે. જેનાથી વેપારીઓ ચિંતાતૂર બન્યાં છે.