કોરોનકાળની બીજી લહેરમાં કેટલાક ભેજાભાજ ઈસમોએ માનવતાને ભૂલી જઈને અંધાધૂંધ ગેરકાયેદસર આવક કમાવી હતી અને નકલી ઇન્જેક્શન , નકલી દવાઓ વેંચીને અનેક લોકોએ મસમોટી રકમ ભેગી કરી હતી આવા ઈસમોની ધરપકડ કરવાની તજવીજ પોલીસ દ્વારા જે શરુ કરાઈ હતી તે અત્યારે પણ યથાવત છે. રાજ્યના મોરબીમાંથી નકલી ઇન્જેક્શનનું કૌભાંડ સામે આવ્યું હતું જેમાં આરોપીની ધરપકડ કરાઈ હતી.
મોરબી પોલીસે રાજ્ય વ્યાપી નકલી રેમડેસીવીર ઇન્જેક્શનોના કૌભાંડને ઝડપી.લીધા બાદ વધુ એક આરોપીને જેલહવાલે કર્યો હતો. જેમાં આ આરોપી મેડિકલ સ્ટોરનો સંચાલક હોય તેણે અગાઉ પકડાયેલા આરોપી પાસેથી નકલી રેમડેસીવીર ઇંજેક્શનો વેંચતા લઈને 465 ડુપ્લીકેટ ઇન્જેક્શનો વેચી નાખ્યાની પોલીસ સમક્ષ કબૂલાત આપી હતી.
રાજ્ય વ્યાપી નકલી રેમડેસીવીર ઇન્જેક્શનોના કૌભાંડની સઘન તપાસ ચલાવતા મોરબી એસ.ઓ.જી. પી.આઈ. જે.એમ.આલે જણાવ્યું હતું કે, થોડા દિવસો પહેલા આ કૌભાંડમાં વધુ એક આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો. જેમાં નકલી રેમડેસીવીર ઇન્જેક્શનોના કૌભાંડમાં સંડોવયેલા મધ્યપ્રદેશમાં મેડિકલ સ્ટોર ચલાવતા આરોપી સરબજીતસિંગ મનજીતસંગ મોખા (ઉ.વ.55, રહે જબલપુર, મધ્યપ્રદેશ) ની ગત તા 1 જુલાઈના રોજ એમપી.પોલીસ પાસેથી ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરી હતી અને આ આરોપીને મોરબી પોલીસે પાંચ દિવસના રિમાન્ડ ઉપર લીધો હતો.
એ દરમિયાન આ આરોપીએ અગાઉ પકડાયેલા આરોપીઓ પાસેથી નકલી રેમડેસીવીર ઇન્જેક્શનો ખરીદ્યા હતા અને 465 જેટલા નકલી રેમડેસીવીર ઇંજેક્શનોને વેચી નાખ્યા હોવાની કબૂલાત આપતા પોલીસે આ નકલી ઇન્જેક્શનો કોણે કોણે લીધા તે અંગેની સઘન તપાસ હાથ ધરી હતી. દરમિયાન આ આરોપીના પાંચ દિવસના રિમાન્ડ પુરા થતા તેને જેલહવાલે કરવામાં આવ્યો છે. આ સાથે અત્યાર સુધીમાં પોલીસે કુલ 31 આરોપીઓને પકડીને જેલહવાલે કર્યા છે.
