ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસની બીજી ઇનિંગ શરુ થઈ ગઈ છે. રાજ્યમાં કોરોના સંક્રમીતોની સંખ્યાએ 2 લાખને પર કરી છે. ત્યારે વડોદરામાં રેલવે વિભાગમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ કોરોના પોઝીટીવ આવ્યા છે. વડોદરા ખાતે ટેસ્ટ દરમ્યાન 190 રેલવેકર્મચારીઓ અને તેમનાં પરિવારજનો કોરોના પોઝીટિવ જણાતાં હાહાકાર મચી ગયો છે.
પોઝીટીવ દર્દીને પ્રતાપનગર રેલવે હોસ્પિટલમાં ભરતી કરી સારવાર શરૂ કરવામાં આવી છે, તો કેટલાકને હોમ ક્વોરન્ટીન કરી દેવાયા હતા. જોકે નોંધનીય વાત તો એ છે કે ધનવંતરી રથની કામગીરીમાં એકપણ કેસ પોઝિટિવ આવ્યો નહોતો.
વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા રેલવે વિભાગને કોરોના ટેસ્ટ કરવા માટે ઓગસ્ટ માસમાં આર્ટિફિશિયલ અને રેપિડ કિટ આપવામાં આવી હતી, ત્યાર બાદ પ્રતાપનગર રેલવે કોલોની અને યાર્ડમાં પણ ધનવંતરી રથના રાઉન્ડ પૂર્ણ કરાયા હતા, જેમાં રેલવેના અધિકારીઓ, કર્મચારીઓ અને તેમનાં પરિવારજનોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાં કોઇપણ પોઝિટિવ કેસ સામે આવ્યો નહોતો. જોકે હાલ પ્રતાપનગર રેલવે હોસ્પિટલ દ્વારા કોરોનાની ગંભીરતાને ધ્યાને લઇને આશરે 350 જેટલા આર્ટિફિશિયલ ટેસ્ટ કર્યા હતા, જેમાંથી 40 રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે અને 400 જેટલા રેપિડ કરવામાં આવતાં એમાંથી 150 જેટલા પોઝિટિવ કેસો મળી 190 કોરોના પોઝીટિવ કેસ આવતા ભારે ચિંતા નો માહોલ ઊભો થયો છે. આ દર્દીઓને પ્રતાપનગર રેલવે હોસ્પિટલ અને ગોત્રી હોસ્પિટલમાં ભરતી કરવામાં આવી રહ્યા છે અને જે કર્મચારી ઘરે રહીને સારવાર કરવા જણાવે છે તેવા દર્દીઓને હોમ ક્વોરન્ટીન કરવામાં આવી રહ્યા છે આ બધા વચ્ચેરેલવે હોસ્પિટલમાં એક 86 વર્ષીય મહિલા જેમને અન્ય પણ બીમારી હતી, તેમનું મોત થઈ ગયા ના અહેવાલ છે.