Not Set/ કપાસના ભાવમાં આગ ઝરતી તેજી ,માર્કેટિંગ યાર્ડમાં એક મણના ભાવ ઐતિહાસિક રૂ. 2200 બોલાયા

કપાસના સારા એવા ભાવ લખતર માર્કેટિંગ યાર્ડમાં મળતાં આસપાસનાં તાલુકાનાં ખેડૂતો પણ પોતાની જણસ લઇને લખતર એપીએમસી તરફ વળી રહ્યા છે

Gujarat
Untitled 16 10 કપાસના ભાવમાં આગ ઝરતી તેજી ,માર્કેટિંગ યાર્ડમાં એક મણના ભાવ ઐતિહાસિક રૂ. 2200 બોલાયા

સુરેન્દ્રનગર જીલ્લો કપાસનુ પીઠ્ઠુ ગણાય છે. અહીં મુખ્ય પાકમાં પણ ઉત્પાદન કપાસનુ સારૂ થાય છે.જ્યારે જીલ્લામા જીનીંગ અને સ્પીનીંગ મીલ આવેલી છે.હાલ કપાસના હાજર બજારમા ભારે તેજી જોવા મળી છે. જેમા રેકોર્ડ બ્રેક એક મણના ભાવ ઐતિહાસિક સપાટી રૂ.2200 ધ્રાંગધ્રા એપીએમસીમાં બોલાવા લાગ્યા છે. આ કપાસમા તેજી આવતા ખેડૂતો વેચાણ અર્થે આવી રહ્યા છે.

દેશમાં સુરેન્દ્રનગર જીલ્લો કપાસના વાવેતર અને ઉત્પાદન ક્ષેત્રે અવલ્લ નંબરે આવે છે. આથી જ સુરેન્દ્રનગર જીલ્લો કપાસનું પીઠ્ઠુ ગણાય છે. અને દેશના કપાસના ભાવ સુરેન્દ્રનગરથી નક્કી થાય છે. ત્યારે હાલ કપાસના હાજર બજારમાં કપાસના ભાવમાં લાબા સમય બાદ ઐતિહાસિક તેજી જોવા મળી છે. અને ભાવમા 800ના ઉછાળા સાથે 2200 રૂપીયાના ઉપર ભાવ ધ્રાંગધ્રા માર્કેટીંગયાર્ડમાં બોલાવા લાઞ્યા હતા.

આમ ઘણા સમય બાદ કપાસના ભાવોમાં તેજી સાથે ઉછાળો આવ્યો છે.જ્યારે વેપારીઓ દ્વારા સારા માલની ખરીદી કરી રહ્યા છે. જ્યારે થોડા વર્ષોથી કપાસ ઉત્પાદનમાં નબળુ વર્ષ અને ઓછા ભાવો વચ્ચે એકાએક ભાવમા ઉછાળો આવતા ખેડુતોમા આનંદની લાગણી છવાઈ ગઈ હતી.

વિદેશમાં માંગથી ભાવ ઉછાળો આવ્યો

કપાસની ખરીદી માટે હાલ સ્થાનિક વેપારીઓ અને વિદેશમાં પણ કપાસની માંગ રહે છે. આમ માંગ વધવાની ભાવમાં ઉછાળો આવતો હોય છે. હાલ વેપારીઓ અને વિદેશમાં પણ કપાસની માંગ હોવાથી સારા કપાસના માલના ભાવ રૂ.2200ને પાર બોલાયા છે જે રેકોર્ડ બ્રેક છે. -કરણસિંહ વાઘેલા, સેક્રેટરી, માર્કેટિંગ યાર્ડેે જણાવ્યુ હતુ.

લખતર માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા ચાર માસમાં 1.40 લાખ મણ કપાસ આવ્યો

લખતર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં ચારેક મહિનાથી કપાસની ખુલ્લી હરાજી શરૂ કરવામાં આવી છે. ત્યારે આ હરાજી હજી સુધી શરૂ જ છે. અને કપાસની પણ મોટા પ્રમાણમાં આવક થઈ રહી છે. તો કપાસના ભાવ રૂ.1950 નજીક પહોંચતા ખેડૂતોમાં આનંદ ફેલાયો હતો. બીજી તરફ ચાર માસમાં અંદાજે 1.40 લાખ મણ કપાસની આવક થઇ હતી. લખતર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં શરૂ થયું ત્યારથી અત્યાર સુધીમાં જાહેર હરાજીમાં ક્યારેય આ વર્ષ જેટલી કપાસની આવક થઈ નથી.

લખતર એપીએમસીના ચેરમેન હિતેન્દ્રસિંહ ઝાલા દ્વારા ખેડૂતોને પોતાનો માલ બહાર વેંચવા ન જવું પડે તે માટે થઈને ખેડૂત વેપારીઓની બેઠક બોલાવી પહેલા ઓક્ટોબરથી કપાસની જાહેર હરાજી શરૂ કરી છે. આ કપાસની હરાજી શરૂ થયાને ચારેક મહિના થયા છે. તેમ છતાં હજુ સુધી રોજ બરોજ લખતર માર્કેટિંગ યાર્ડમાં કપાસની આવક શરૂ જ છે. અત્યાર સુધીમાં માર્કેટિંગ યાર્ડમાં કપાસની મબલખ આવક થઈ છે. કપાસના ભાવ રૂ.1950ની નજીક પહોંચી જતા ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી છે.

કપાસના સારા એવા ભાવ લખતર માર્કેટિંગ યાર્ડમાં મળતાં આસપાસનાં તાલુકાનાં ખેડૂતો પણ પોતાની જણસ લઇને લખતર એપીએમસી તરફ વળી રહ્યા છે. આમ, હાલમાં પણ રોજબરોજ બપોરના સમયે ખેડૂતો ટ્રેકટર ભરીને કપાસ વહેંચવા આવે છે. બીજી તરફ છેલ્લા ચાર માસમાં એપીએમસીમાં અંદાજે 1,40,000 મણ આવક થઇ હોવાનું બહાર આવ્યું હતું.

લખતરનું APMC એવું છે જ્યાં ટેક્સ લેવાતો નથી. લખતર એપીએમસીમાં પહેલાં નોરતાથી કપાસની ખુલ્લી હરરાજી શરૂ કરવામાં આવી છે. ત્યારથી લઈને લખતર એપીએમસીમાં મોટી સંખ્યામાં ખેડૂતો કપાસ વહેંચવા આવી રહ્યાં છે. તેઓને સારો એવો ભાવ મળી રહે તે એકમાત્ર હેતુ છે. સમગ્ર ગુજરાતમાં હાલમાં લખતરનું એકમાત્ર એપીએમસી એવું છે. જ્યાં વેપારી પાસેથી કોઈ પણ જાતનો ટેક્સ કે શેષ લેવામાં આવતો નથી. જેનો સીધો ફાયદો ખેડૂતોને તેઓનાં માલના ભાવમા થાય છે. તેથી હાલમાં ખેડૂતોને રૂ.2000 જેટલો ભાવ મળી રહ્યો છે.